કુતિયાણા ના બાવળાવદર ગામે કામુશાહ વલીની દરગાહ ખાતે જામનગરના યુવાન અને તેના મામા ઉપર દરગાહ ના મુંજાવર અને તેના બે પુત્રો એ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પોલીસે ત્રણેય આરોપી ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરના ચુનાભઠ્ઠા પાસે બાઈની વાડીવિસ્તારમાં રહેતા પરવેજ બસીર ખીરા(ઉવ ૨૧)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તા. ૧૦ના તે તથા તેની બે બહેનો મુસ્કાન અને સોફિયા તથા મામા ઈરફાન અબ્બાસ ખીરા બાવળાવદર ગામે દાદાબાપુની દરગાહે આવ્યા હતા. અને ત્યાંથી કામુશાહ પીરની દરગાહે ગયા હતા અને દરવાજે ઉભા હતા ત્યારે સાંજે સાતેક વાગ્યે કોઈ અજાણી મહિલા દોડાદોડી કરતી હોવાથી ત્યાં ઉભેલા સાતેક વર્ષના બાળકને ધકકો લાગી જતા તે પડી ગયો હતો. અને શરીરમાં સામાન્ય ઇજાઓ થઇ હતી.
તેથી એ બાળકના સબંધી મહિલા મુસ્કાન પાસે આવીને ‘છોકરાને શું કામ ધકકો મારીને નીચે પછાડી દીધો છે?’ તેમ કહેતા મુસ્કાને કોઇ અજાણી મહિલા દોડીને નીકળી તેમાં બાળક પડી ગયો હોવાનું જણાવ્યુ હતુ. એ દરમિયાન દરગાહના મુંજાવર રફીકબાપુ અને તેના બંને પુત્રો સાજીદ અને ઇકબાલ આવી અને પરવેજ ના મામા ઇરફાનભાઈને માર મારવા લાગ્યા હતા. આથી મામાને બચાવવા માટે પરવેજ વચ્ચે પડતા ત્રણેય જણા બંનેને દરવાજાની અંદર લઇ ગયા હતા. અને સાજીદ લાકડી વડે તથા અન્ય બે લોકો ઢીકાપાટુનો માર મારતા હતા. લોકો એ એકત્ર થઇ તેઓને વધુ મારથી બચાવ્યા હતા રફીકબાપુ અને તેના બંને પુત્રો “ હવે પછી અહીં દરગાહે આવશો તો તમને જીવતા નહી મુકીએ” તેમ કહી મારી નાખવાની ધમકી આપી દરગાહમાં જતા રહ્યા હતા. આથી ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે મુંજાવર તથા તેના બન્ને પુત્રો ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.