પોરબંદર જિલ્લામાં ગંભીર ગુન્હામાં મહત્વની કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓનું જિલ્લા પોલીસવડાના હસ્તે સન્માન કરાયું હતુ. ઉપરાંત તહેવાર અનુસંધાને થનારા સંભવિત ક્રાઇમ ઉપર બ્રેક લાવવા બનાવાયેલ એકશન પ્લાન વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
પોરબંદર જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા તથા આગામી સમયમાં આવનાર જાગરણ,રક્ષાબંધન,સ્વાતંત્ર્ય દિવસ સહિતના તહેવારો તેમજ જન્માષ્ટમીના લોકમેળા સંદર્ભે તથા ટ્રાફિક નિયમન અંગે તથા અસામાજિક તત્ત્વો વિરૂધ્ધમાં કરવાની બાકી રહેલ કામગીરી અંગે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ શરીર સંબંધી તથા મિલ્કત સંબંધી ગુન્હાઓનું પ્રમાણ ઘટાડવા એકશન પ્લાન અમલીકરણ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ક્રાઈમ કોન્ફરન્સમાં મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વી.,નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા, હેડ કવાર્ટર તથા નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ, સહીત ના અધિકારીઓ તથા તમામ થાણા તથા બ્રાન્ચના અધિકારીઓ હાજર રહ્યા હતા.
શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓનું અભિવાદન
જૂન માસમાં ગંભીર ગુન્હાના ભેદ ઉકેલી તથા ગુજસીટોકનો ગુન્હો રજી. કરાવવાની તથા ગંભીર ગુનાના ઘણા વર્ષથી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડી તથા જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર આરોપીઓને પકડી પાડવાની સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓને પ્રોત્સાહન મળે અને ભવિષ્યમાં સારી કામગીરી કરતા રહે તે સારુ પ્રોત્સાહન રૂપે પોલીસ કર્મચારીઓને પ્રશંસાપત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા.જેમાં નેશનલ લો ઇન્સ્ટીટયુટ યુનિવર્સીટીમાં પી.જી.ડી.ડી.એફ. નો કોર્સ સારા રેન્ક સાથે પાસ કરનાર વાયરલેસ શાખાના પોલીસ ઇન્સ્પેકટર પી.આર. પટેલનું અભિવાદન થયુ હતુ. એજ રીતે લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ હિમાંશુભાઈ મકકા અને વિરેન્દ્રસિંહ પરમારે મધ્યપ્રદેશના લૂંટના ગુન્હામાં અઢી વર્ષથી વોન્ટેડ આરોપીને રાણાવાવ વિસ્તારમાંથી પકડી પાડયો હત જેના ઉપર મધ્યપ્રદેશ પોલીસે ૨૦૦૦ રૂા.નું ઇનામ પણ રાખ્યુ હતુ તેને પકડી પાડવા બદલ બંને જવાનોનું અભિવાદન કરવામાં આવ્યુ હતુ. લોકલ ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલો વિપુલભાઈ ઝાલા અને કુલદીપસિંહ જાડેજાએ બધા ભોરા શામળાની ગેન્ગ વિરૂધ્ધ ગુજસીટોકની પ્રપોઝલ તૈયાર કરવામાં ચીવટપૂર્વક કામગીરી કરતા તેઓનું પણ અભિવાદન થયુ હતુ.
લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ દુદાભાઈ ઓડેદરાએ સાત વર્ષથી દારૂના ગુન્હામાં નાસતા આરોપીને પકડી પાડવા બદલ સન્માન થયુ હતુ. બગવદર વિસ્તારમાં મંદિરમાં થયેલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા બદલ એલ.સી.બી.ના એ.એસ.આઈ. રણજીતસિંહ દયાતર અને મુકેશભાઈ માવદીયાનું અભિવાદન થયુ હતુ. પત્નીના ખૂનના ગુન્હામા રાજકોટમાં સજા કાપીને વચગાળાના જામીન પરથી ચાર વર્ષ પહેલા ફરાર થઇ ગયેલ એમ.પી.ના આરોપીને મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતેથી પકડી પાડવા બદલ પેરોલ ફર્લો સ્કવોડના બે હેડ કોન્સ્ટેબલો હરેશભાઈ આહિર અને પીયુષભાઈ સીસોદીયાનું પણ સન્માન થયુ હતુ. બોખીરા વિસ્તારમાં સીમેન્ટની પાટની આડમાં ૧૧,૮૬૮ બોટલ દારૂ ભરેલો ટ્રક સહિત ૬૬ લાખ ૫૪ હજારનો મુદ્દામાલ પકડવામાં પ્રશંસનીય કામગીરી કરનાર ઉદ્યોગનગર પોલીસમથકના હેડ કોન્સ્ટેબલ વિશાલભાઇ વિંઝુડા અને કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ ગોહિલનું પણ સન્માન થયુ હતુ. તો ભોદ ગામના વાડીવિસ્તારમાં યુવાનની પ્રેમપ્રકરણના મનદુઃખમાં ઘાતકી હત્યાના ગુન્હામાં આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા બદલ રાણાવાવ પોલીસમથકના કોન્સ્ટેબલ સંજયભાઇ બાબરીયા અને સરમણભાઈ મારૂનું પણ અભિવાદન થયુ હતુ.






