સતત વરસાદથી કાદવ કીચડ અને ગંદકીના કારણે શહેરભરમાં રોગચાળો ફાટી નીકળવાની શરૂઆત થઈ છે, ત્યારે ગરીબ દર્દીઓને મદદરૂપ થવા જેસીઆઈ પોરબંદર અને બેંક ઓફ બરોડા દ્વારા ગોઢાણીયા કોલેજ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 450 જેટલા દર્દીઓને વિવિધ પ્રકારના દર્દોનું નિદાન, સારવાર અને જરૂરી દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી.
◆ નિષ્ણાંત તબીબોએ સેવા આપી:
આ સર્વરોગ નિદાન કેમ્પમાં ફિજીશ્યન ડો. પર્યન્ત વાળા, હાડકાંના સર્જન ડો. જીતેન્દ્ર તાવરી, સ્ત્રી રોગના નિષ્ણાત ડો. પારસ મજીઠીયા, આંખના નિષ્ણાત ડો. નિખિલ રૂપારેલીયા, ચામડીના રોગના નિષ્ણાત ડો. મોના પુરોહિત, કાન નાક ગળાના નિષ્ણાત ડો. બિપિન મહિડા, દાંતના સર્જન ડો. મિત બાપોદરા, મનોચિકિત્સક ડો. નીરવ ચાનપા, બાળ રોગના નિષ્ણાત ડો. માલદે ઓડેદરા, ફિજીયોથેરાપીસ્ટ ડો. ચારુ મકવાણા વગેરે પોતાની સેવાઓ આપી હતી.
◆ આરોગ્ય વિભાગનો પણ સહયોગ:
જેસીઆઈ અને બેંક ઓફ બરોડા દ્વારા આયોજિત આ સર્વરોગ નિદાન અને રક્તદાન કેમ્પમાં જિલ્લા આરોગ્ય અધિકારી અને ભાવસિંહજી હોસ્પિટલનો પણ અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો હતો. રક્તદાન કેમ્પમાં એકત્રિત થયેલ તમામ બ્લડ ભાવસિંહજી હોસ્પિટલમાં દર્દીઓ માટે આપવામાં આવ્યું હતું. સર્વરોગ નિદાન કેમ્પમાં ભાવસિંહજી હોસ્પિટલની ટિમ દ્વારા દરેક દર્દીઓને ડાયાબિટીસ અને બ્લડપ્રેશરના રિપોર્ટ પણ કરી આપવામાં આવ્યા હતા.
◆ મહાનુભાવોની ઉપસ્થિતિ :
આ સર્વરોગ નિદાન અને રક્તદાન કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે ડો. સુરેશભાઈ ગાંધી, રામદેવભાઈ મોઢવાડીયા, પૂર્વ ઝોનપ્રમુખ બિરાજ કોટેચા, ઝોન ઉપપ્રમુખ હાર્દિક મોનાણી, ઝોન ડિરેકટર તેજસ બાપોદરા, બેંક ઓફ બરોડાના મેનેજર રજનીશકુમાર દાસ, લલિતકુમાર નંદમેહર, પંકજ ગિરનારા અને મૈનક ગુપ્તા વગેરે ઉપસ્થિત રહી આ સેવાકાર્યને બિરદાવી જેસીઆઈ પોરબંદરની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
◆ પ્રોજેક્ટ ટીમની મહેનતને સફળતા :
જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયાના માર્ગદર્શન હેઠળ પ્રમુખ રોનક દાસાણી, સેક્રેટરી પ્રિન્સ લાખાણી, પ્રોજેક્ટ ચેરમેન ભાવેશ તન્ના, હરેશ રાડીયા, સમીર ધોયડા, રાજેશ રામાણી, બેંક ઓફ બરોડાના જ્યંતભાઈ ધોળકિયા અને જેસીઆઈ પોરબંદર તથા બેન્ક ઓફ બરોડાની સમગ્ર ટીમની મહેનતથી આ સર્વરોગ નિદાન અને રક્તદાન કેમ્પને સફળતા મળી હતી.