બગવદર પંથકમાંથી બે વર્ષ પહેલા સગીરાનું અપહરણ કરીને બળત્કાર ગુજારનાર પરપ્રાંતીય શખ્સ ને કોર્ટે ૨૦ વર્ષ ની સજા ફટકારી છે.
મૂળ મધ્યપ્રદેશના તથા પોરબંદર પંથક માં ખેતમજૂરી કરતા રાહુલ શેરશીંગ ડોડવે સામે અપહરણ અને બળાત્કારનો ગુન્હો નોંધાયો હતો. જેમાં રાહુલે તા. ૭-૨-૨૦૨૨ના રોજ બાર વાગ્યાના અરસામાં વાડીએથી ફરીયાદીની સગીર વયની પુત્રીનું લલચાવી-ફોસલાવી અને લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી લઇ ગયો હતો. અને ભોગ બનનાર સાથે રાવલગામ, ધુરેલ ગામ, બેલાગામ, તથા મોરબીના લક્ષ્મીપુરા અને બાબરાના પીઠ કોટડા ગામે લઇ જઇ અનેક વખત તેણીની મરજી વિરૂધ્ધ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો.
જે અંગે સગીરા ના પિતાએ બગવદર પોલીસસ્ટેશનમાં રાહુલ સામે ફરિયાદ નોંધવી હતી જે કેસ માં પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ જેઠવા દ્વારા ૫૧ દસ્તાવેજી પુરાવાઓ તથા ૧૨ સાહેદો તપાસવામાં આવ્યા હતા તથા સરકાર તરફે ધારદાર દલીલો કરવામાં આવી હતી. મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ બન્ને પક્ષોની દલીલો સાંભળી રાહુલ વિરૂધ્ધ આઇ.પી.સી.ની કલમ તથા પોકસો એકટની કલમ મુજબના ગુનામાં તકસીરવાન ઠરાવી ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂા. ૨૬,૦૦૦નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.