પોરબંદર ના મિયાણી થી માધવપુર સુધી ની દરિયાઈ પટ્ટી પર તહેવારો બાદ ફરી ગેરકાયદે ખાણો ધમધમી છે. સ્થાનિક તંત્ર ની મીઠી નજર હેઠળ શરુ થયેલ આ ખનીજચોરી એસ એમ સી અથવા વિજીલન્સ ની ટીમો ત્રાટકે તો જ અટકી શકે તેમ છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે.
પોરબંદર ના મિયાણી થી માધવપુર સુધી ની દરિયાઈ પટ્ટી પર વર્ષો થી ખનીજચોરી ચાલી રહી છે. ખનીજચોરો એ સરકારી અને ગૌચર ની જમીન પણ ચારે બાજુ થી ખોદી નાખી છે. ત્યારે થોડા સમય અગાઉ એસ એમ સી ના કુછડી ગામે દરોડા બાદ ખનીજચોરી પર અંકુશ આવ્યો હતો. પરંતુ તાજેતર માં તહેવારો બાદ ફરીથી ખનીજચોરો સક્રિય થયા હોવાનું જાણવા મળે છે. ગેરકાયદે મશીનો પર ધૂળ ખંખેરી ફરીથી કાર્યરત કરાયા છે.
અને હાલ બળેજ,ઊંટડા,મિયાણી,રાતડી,ભાવપરા સહીત અનેક ગામો માં રાત્રી ના સમયે મશીનો ધમધમતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ખનીજચોરી ની સાથે સાથે કેટલાક સ્થળો એ ડાયરેક્ટ વીજ પોલ માંથી કનેક્શન લઇ ને વીજચોરી પણ થઇ રહી હોવાનું સમગ્ર પંથક માં ચર્ચાઈ રહ્યું છે. સ્થાનિક પોલીસ અને તંત્ર ની મીઠી નજર હેઠળ જ શરુ થયેલ ગેરકાયદે ખાણો પર એસ એમ સી અથવા વિજીલન્સ ટીમો ત્રાટકે તો જ આ ખનીજચોરી અટકી શકે તેમ છે. તેવું જાણકારો નું માનવું છે. ત્યારે ઉચ્ચ કક્ષાએ થી દરોડા નો દોર શરુ થાય તેવી આશા પણ સ્થાનિકો રાખી રહ્યા છે.