પોરબંદરના જયુબેલી-બોખીરા વિસ્તારમાં અંદજે ૪૧૯ જેટલા વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. અને તેઓ હવે ધો.૯ માં આવ્યા છે. પરંતુ આ વિસ્તારમાં સરકારી માધ્યમિક શાળા નહી હોવાથી ડ્રોપ આઉટ રેસીયો વધે છે.તે અંગે આ વિસ્તારમાં રહેતા લોકોએ સાંસદ અને જીલ્લા શિક્ષણાધિકારીને પણ રજૂઆત કરી હતી,પરંતુ યોગ્ય પ્રત્યુતર નહી મળતા રાજયસભાના સાંસદને જૂઆત કરવામાં આવતા તેમના દ્વારા શિક્ષણમંત્રીને ભલામણ કરવામાં આવી હતી. અને યોગ્ય કાર્યવાહી કરવા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના સચિવને સુચના આપવામાં આવી છે.
રાજયસભાના સાંસદરામભાઈ મોકરીયાએ જણાવ્યું છે કે,જયુબેલીના મહારાજબાગ રોડ પર નારાયણ પાર્ક વિસ્તારમાં રહેતા વેજાભાઈ ખીમાભાઈ ભુતિયા સહિત રહેવાસીઓએ તેમને એવું આવેદન આપ્યું હતું કે, પોરબંદર જિલ્લાના બોખીરા વિસ્તારમાં એક પણ સરકારી માધ્યમિક શાળા આવેલ નથી. જેને કારણે વિદ્યાર્થી ભાઈ-બહેનોને દૂર શિક્ષણ મેળવવા જવું પડે છે. તેના લીધે અભ્યાસમાં વિઘ્ન આવવાથી ઘણા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે છે. આ બોખીરા અને જયુબેલી વિસ્તાર હાલ વિકાસ ઉપર છે. અને તે ખાપટ-આવાસ- તેમજ રિલાયન્સ પંપ સુધી ફેલાયેલો છે, અને જેથી વસ્તી પ્રમાણે પણ એક સરકારી માધ્યમિક શાળા હોવી જોઈએ.
તેમજ બાળકો અને વાલીઓને આર્થિક બોજ સહન ન કરવો પડે તે માટે પણ આ વિસ્તારમાં માધ્યમિક શાળા માટે આપને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી આ અગાઉ પણ તમામ વાલીઓ સાથે મળી તા. ૨૮-૯-૨૨ ના રોજ સંસદ સભ્ય તથા જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી, પરંતુ કોઈ પ્રત્યુતર નહીં મળતા રામભાઈ મોકરિયા ને આ બાબતે જો આ વિસ્તાર માં નવી સરકારી શાળા તાત્કાલીક ઉભી કરવામાં આવે તો આગામી સત્રમાં પણ ૨૦૦ થી ૩૦૦ જેટલી સંખ્યા આ શાળામાં મળી રહે તેમ છે.તેવી રજૂઆત કરી હતી.
તેઓએ અગાઉ પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે, જયુબેલી બોખીરા વિસ્તારના રહેવાસીઓની માંગણી છે કે જયુબેલી બોખીરા વિસ્તારમાં એક પણ સરકારી કે ગ્રાન્ટેડ માધ્યમિક શાળા આવેલ નથી. જેને કારણે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને દુર સુધી શિક્ષણ મેળવવા જવું પડે છે. તેના લીધે વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશીયો પણ વધે છે, જેને કારણે આર.ટી.ઈ. કાયદાનો હેતુ સિધ્ધ થતો નથી, તેમજ શિક્ષણ મેળવવા જતાં રસ્તામાં પુલ, રેલ્વે, તેમજ શહેરી ટ્રાફિકને કારણે બાળકો ખૂબ જ હેરાન થાય છે. સાયકલ લઈને તેમજ ટ્રાન્સપોર્ટ ખર્ચ કરીને શાળાએ પહોંચે છે. જેથી બાળકોને અને વાલીઓને શારીરિક માનસિક અને આર્થિક બોજ વહન કરવો પડે છે, અમારી વિસ્તારની કુલ વસ્તી ૨૦,૦૦૦ છે, આસપાસ વિસ્તારમાં ધો.૮ ના વિદ્યાથીઓની સંખ્યા બોખીરા પે સેન્ટર શાળાની ૧૫,બોખીરા કન્યા શાળાની ૬૦,ખાપટ પે સેન્ટર શાળાની ૩૯,દેગામ પ્રાથમિક શાળાની ૧૫ અને ખાનગી સ્કુલના ૨૦૦ મળી અંદાજે ૪૧૯ વિદ્યાર્થીઓ ભણે છે.
લાભાર્થી, બાળકોની સંખ્યા તેમજ ભૌગોલિક બાબતો જેવી કે નેશનલ હાઈવે રેલ્વે ફાટક જોતા અમારા વિસ્તારમાં માધ્યમિક શાળાની ખૂબ જ જરૂરિયાત હોય સૌ વાલીઓની માંગણી છે કે આ વિસ્તારમાં તેમજ આજુબાજુમાં કોઈ સરકારી માધ્યમિક શાળા નથી તો નવી સરકારી માધ્યમિક શાળા શરૂ કરવામાં આવે. આ વિસ્તારમાં ચામુંડા શાળા બોખીરા બંધ હોય શાળા માટેનું બિલ્ડીંગ પણ પ્રાપ્ય છે, જેનો ઉપયોગ માધ્યમિક શાળા તરીકે થઇ શકે તેમ છે, જેથી સરકારી ઈમારત નો પણ સદુપયોગ થાય અને બાળકોને શિક્ષણનો લાભ પણ ગળે,ઉપરોક્ત બાબતે ધ્યાન આપી કાર્યવાહી કરવા જયુબેલી વિસ્તારના રહેવાસીઓએ માંગ કરી હતી.
રામભાઈ મોકરીયાએ શિક્ષણમંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરને ભલામણ કરી હતી. અને તેમણે એવો પ્રત્યુતર આપ્યો છે કે નિયમ અનુસાર યોગ્ય કાર્યવાહી કરવા પ્રાથમિક અને માધ્યમિકના સચિવને સુચના આપી દેવામાં આવી છે, ત્યારે આ વિસ્તારમાં હવે માધ્યમિક શાળા શરૂ થાય તેવી આશા જન્મી છે.