“પશુઓને પણ જીવવાનો અધિકાર છે અને કાયદાકીય રીતે પણ તેમને રક્ષણ અપાયું છે.” આમ છતાં શેરી-ગલીમાં પશુઓ ઘુસી ન જાય તે માટે પોરબંદરમાં અનેક મુખ્ય રસ્તાઓની બાજુમાં ગલી હોય ત્યાં લોખંડના દરવાજા ફીટ કરીને પશુઓને અંદર જતા અટકાવવામાં આવ્યા હોવાથી અઢી-અઢી વર્ષ સુધી સ્થાનિકથી માંડીને નગરપાલિકાના પ્રાદેશિક કમિનર સુધી ફરિયાદ પહોંચાડયા બાદ દૂર થયેલા દરવાજાનું અનેક ગલીઓમાં પુનઃસ્થાપન કરી દેવાયું છે આથી તેને દૂર કરવાની માંગણી સાથે જીવદયાપ્રેમીએ આર.ટી.આઇ. કરીને ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરી છે.
પોરબંદરના આર.ટી.આઇ. એકટીવીસ્ટ અને જીવદયાપ્રેમી રમેશભાઇ માલદેભાઇ ઓડેદરાએ રાજકોટ પ્રાદેશિક કમિશ્નરની કચેરીને લેખિત ફરિયાદ કરી જણાવ્યું છે કે પોરબંદર-છાચા નગરપાલિકા મારફત ફરિયાદોને આધારે શહેરના અનેક જાહેર રસ્તાઓના દરવાજા પોલીસ પ્રોટેકશન સાથે દૂર કરવાની કાર્યવાહી કરેલ હતી. જે બાબતે જણાવવાનું કે આ લોકોએ ફરી તેજ જગ્યાએ આ કાઢી નાખેલ દરવાજા ફરી ફીટ કરી નાખીને અગાઉ જે પરિસ્થિતિ હતી તે ફરી નિર્માણ કરેલ છે. જે અતિ દુઃખદાયક છે.
આ વિષયમાં આપના દ્વારા અનેક વખત લેખિત પત્રો પાઠવેલ છે. અને તેની માંડ માંડ અમલવારી કરવામાં આવી હતી. અને મારા માનવા અને જાણકારી મુજબ આ દરવાજાઓ ફરી ફીટ કરાવવાનો સાથ સહકાર પોરબંદર છાયા નગરપાલિકાની સુચનાથી જ ફરી આ દરવાજા ફીટ કરવાનું ચાલુ કરેલ છે. અને નગરપાલિકાના કબ્જામાં રહેલ દરવાજા નગરપાલિકાની કચેરીએથી જ પરત આપવામાં આવેલ છે. અને તે જ દરવાજા ફીટ કરી નાખેલ છે.
તો પ્રથમ દૃષ્ટિએ નગરપાલિકાના કર્મચારી, ચુંટાયેલા સદસ્યોનો મોટો ફાળો છે. માટે આ અરજીને ધ્યાને લઇને જે જે દરવાજા કાઢી નાખેલ છે. તે તમામ રેકર્ડ પર છે. અને જે દરવાજા નથી કાઢેલ તે પણ રેકર્ડ પર છે. શહેરના તમામ વિસ્તારમાં ફીટ કરેલ દરવાજા પર જાહેર નોટીસના માધ્યમથી તમામને જાણ કરીને પછી જ પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરેલ છે. આ સત્ય હકીકત રેકર્ડ આધારિત છે. માટે આ અરજી મળ્યે ફરી ફીટ થયેલ તેમજ કાઢવાના તમામ દરવાજાઓ કાઢીને જાહેર રસ્તાઓ ફરી ખોલી નાખવા માંગ કરી છે. અને જરૂર જણાય તેવા ઈસમો વિરુધ્ધ ફોજદારી રાહે થતી તમામ કાર્યવાહી કરવા માટે રમેશભાઇ માલદેભાઇ ઓડેદરાએ માંગ કરી છે.