પોરબંદર ના ઘેડ પંથક માં ચણા નું સૌથી વધુ વાવેતર થાય છે. પરંતુ તેનું વેચાણ કરવા ૬૦ કિમી દુર પોરબંદર આવવું પડતું હોવાથી ખેડૂતો ને મુશ્કેલી પડે છે આથી ઘેડ પંથક માં જ ચણા ની ખરીદી નું કેન્દ્ર ફાળવવા માંગ ઉઠી છે.
પોરબંદર જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત ના સદસ્યો તથા ઘેડ વિસ્તારના સરપંચો દ્વારા કૃષિમંત્રીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે પૉરબંદર તાલુકાના ઘેડ વિસ્તારમાં રવિ પાક તરીકે ચણાનું હજારો હેક્ટર માં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવે છે. અને દર વર્ષે સરકાર દ્વારા થતી ટેકા ના ભાવની ખરીદી મા ચણા ના વેચાણ માટે પોરબંદર સુધી 50 થી 60 કી.મી દૂર ચણાનો પાક ભરીને આવવું પડે છે. જેથી ખેડૂતો ને ખૂબ મોટો ટ્રાન્સપોર્ટ ખર્ચ ભોગવવો પડે છે. અને સમય પણ વેડફાય છે.
જેથી ઘેડ પંથક માં ચણાની ખરીદી નું સેન્ટર ફાળવવામાં આવે તેવી માંગ કરી છે. વધુ માં જણાવ્યું છે કે ઘેડ વિસ્તારમાં મોટા ભાગના ખેડૂતો બીન પીયત ચણા નું વાવેતર કરવામાં આવે છે. અને જમીનની લાક્ષણિકતા મુજબ ચણાની કાપણી કરતી વખતે તથા હાર્વેસ્ટિંગ કરતી વખતે અમુક માત્રામાં પાક સાથે માટી ભળી જાય છે. અને ચણા જેવડી માટી ને અલગ કરવી પણ અશકય છે. જેથી ખેડૂતો ના ચણા ના સેમ્પલ રીજેક્ટ થાય છે. આથી નક્કી કરેલ ગુણવત્તા ચકાસણી ધારાધોરણમાં બાહ્ય અશુદ્ધિ એક ટકાની જગ્યાએ 4 થી 5 ટકા સુધી માન્ય રાખવા માંગ કરી છે.