પોરબંદર માં દર રવિવારે ચોપાટી ખાતે યોજાતી ગુજરી બજારને અન્ય દિવસે મંજુરી આપવા રજૂઆત કરાઈ છે.
પોરબંદર ના સામાજિક કાર્યકર જયેશભાઈ સવજાણી એ કલેકટર ને રજૂઆત કરી જણાવ્યું છે કે પોરબંદરમાં દર રવિવારે ચોપાટી વાહન પાર્કિંગ ગ્રાઉન્ડમાં ગુજરી બજાર ભરવાની મંજુરી નગરપાલિકા દ્વારા અપાયેલ છે. ગુજરી બજારમાં ધંધો કરતા આસામીઓએ ચોપાટીનો પાર્કિંગ વિસ્તાર તેમજ ચોપાટી જતો મેઈન રોડ તેમજ બાજુના ગ્રાઉન્ડમાં ગેરકાયદેસર રીતે પોતાની વસ્તુઓના ખડકલા કરી દઈ ચોપાટી જતો મેઈન રોડ પોતાના બાનમાં લીધેલ હોય તેમ જેથી સ્કુટર પણ ચલાવવું મુશ્કેલ થઈ ગયેલ છે.
ચોપાટી પર પોરબંદર શહેરીજનો રવિવારે એક દિવસ ફેમીલી સાથે ફરવા આવતા જતા હોય છે. ત્યારે ચોપાટીના મેઈન રોડથી જ આ ગુજરી બજાર ભરનારાઓ દ્વારા રસ્તા વચ્ચે પોતનો સરસામાન પાથરી મેઈન રસ્તો પણ બંધ કરી દેવામાં આવે છે. અને બંદોબસ્તમાં રહેલ પોલીસ પણ મુક પ્રેક્ષકની જેમ જોતી રહે છે. આમ છતાં હટાવવામાં આવતા નથી. તો આ બાબતે તપાસ હાથ ઘરી આ ગુજરી બજાર દર રવિવારના બદલે શુક્ર-શનિ કે અન્ય દિવસોમાં ભરવાની મંજુરી આપવા વિનંતી છે.
વધુ માં જણાવ્યું હતું કે ચોપાટી ઉપર સરકાર દ્વારા કરોડોના ખર્ચે જોવા તેમજ ફરવા લાયક બનાવેલ છે. ત્યારે રવિવારે ચોપાટી ફરવા આવતા શહેરીજનો તેમજ બહારથી આવતા યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાય છે. તો તાત્કાલીક દિવસોમાં ફેરફાર કરવા માંગ કરી છે.