રાણાવડવાળાના હનુમાનવાડી વિસ્તારમાં આવેલ ફાર્મહાઉસમાં રાત્રી ના સમયે ધાડપાડુઓ ત્રાટકયા હતા. દસ જેટલા શખ્શો દાગીના, મોબાઈલ રોકડ ઉપરાંત મોટરસાયકલ ઉઠાવી ગયા છે. પરપ્રાંતીય મજુરો હોવાની શક્યતા ના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો અન્ય એક બનાવ માં પીપળીયા ના પાટિયા પાસે બે કલાક બંધ રહેલા તેના મકાનમાં ઘુસેલા તસ્કરોએ કાંડા ઘડીયાળ, સોનાનો ચેન સહિત ૩૫૦૦૦ નો મુદામાલ ચોરી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
રાણાવડવાળા ગામની હનુમાનવાડી વિસ્તારની સીમમાં નીહાર ફાર્મહાઉસ ખાતે રહેતા અને ખેતીકામ કરતા લાલજીભાઈ ડાયાભાઈ લગધીર(ઉવ ૫૫)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ , તા. ૨૦/૧૧ની રાત્રે પોતે તથા તેનો પરિવાર વાડીએ સુતા હતા. તે દરમીયાન રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં વાડીના કુતરાઓ એકદમ ભસવા લાગ્યા હતા. આથી લાલજીભાઈ ની પત્ની જમના તથા પુત્રવધુ હર્ષીતા મકાનનો દરવાજો ખોલી ફળીયામાં જોવા જતા ૮-૧૦ શખ્સો હતા. તેઓએ બન્ને ને પકડી ઢસડીને ઘરની ઓસરીમાં લાવ્યા હતા. જેથી લાલજીભાઈ તેને છોડાવવા વચ્ચે પડતા તમામ શખ્સો એ આડેધડ ઢીકા પાટુનો માર મારી ઘરમાં ઢસડી જઈ રૂમ માં પૂરી દીધા હતા. જેમાં બે શખ્શ પાસે છરી તેમજ બીજા શખ્સો પાસે લાકડાના ધોકા હતા. તેના વડે તમામ ને આડેધડ માર માર્યો હતો. અને લાલજીભાઈ ના ખિસ્સા માંથી પાકીટ ઝુંટવી લીધું હતું. તેમજ જમનાબેને કાનમાં પહેરેલ સોનાની બુટી જેનું વજન આશરે એક તોલાનું હતી તે કાઢી લીધી હતી. તથા પતી પત્ની નો મોબાઈલ લઇ લીધો હતો.
ઘરનો સામાન વેરવિખેર કરી બધા ને ઘરમાં પુરી જેમ ફાવે તેમ ગાળો કાઢી જતા રહ્યા હતા. અને બહાર ના ભાગે સુતેલા તેના પુત્ર યોગેશને પણ લાકડાના ધોકા વડે આડેધડ માર મારી ખિસ્સામાં રહેલ રોકડ રૂપિયા ૧૭,૦૦૦/- અને મોબાઈલ પણ ઝુંટવી ગયા હતા. અને ઘર પાસે પડેલ બાઈક પણ લઇ ગયા હતા. આમ કુલ રૂ ૮૨,૫૦૦ ના મુદામાલ ની લુંટ કરી હતી. તમામ શખ્સો હીન્દી ભાષ બોલતા હતા. અને શરીરે પાતળા બાંધાના અને પેન્ટ-શર્ટ પહેરેલ હતા. પોલીસે ગુન્હો નોંધી આ શખ્સો પરપ્રાંતીય ટોળકી હોવાની શક્યતા ના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
તો અન્ય એક બનાવમાં પોરબંદરના એમ.જી.રોડ ઉપર બેંક ઓફ બરોડાવાળી ગલીમાં રહેતા અને એમ.જી. રોડ ઉપર ચામુંડા રેસ્ટોરન્ટમાં બેસતા હિતેશ જાદવભાઈ માલમ(ઉવ ૩૫)એ નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ તેણે જુના પીપળીયા ગામના પાટીયા પાસે નંદકાર્ય નામે મકાન લીધું છે. જ્યાં તે પરિવાર સાથે છેલ્લા દસેક દિવસથી રહેવા માટે આવ્યો હતો. અને ગત તા. ૨૦/૧૧ ના રોજ પુત્રી હની (ઉં.વ.૭)નો જન્મદિવસ હોવાથી રાત્રી ના સાડા અગિયારેક વાગ્યે પરિવાર સાથે હોટલ માં જમવા આવ્યા હતા. અને દોઢેક વાગ્યે ઘરે પરત જઈ જોતા ઘર નો સમાન વેરવિખેર હાલત માં હતો.
અને કબાટ માં રાખેલ રૂ ૨૫૦૦૦ ની કીમત નો એક તોલા સોના નો ચેન તથા દસ હજાર ની કીમત ની ૪ અલગ અલગ કંપનીની કાંડા ઘડીયાળ મળી રૂ ૩૫૦૦૦ હજાર ના મુદામાલ ની ચોરી થઇ હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.