પોરબંદર
પોરબંદર જીલ્લા માં પુરવઠા વિભાગ દ્વારા સર્વે હાથ ધરી સમૃદ્ધ પરિવાર ના ૨૭૭૮ લોકોને એનએફએસએ માંથી દુર કરાયા હતા.જયારે ૫૩૮૮ ગરીબ લોકો નો એનએફએસએમાં સમાવેશ કરાયો હતો.
ગુજરાત સરકારના અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ હેઠળની પોરબંદર જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી તથા મામલતદાર કચેરી દ્વારા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા” અંતર્ગત ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સમાજના નબળા વર્ગ જેવા કે અશક્ત,વિધવા,બિમાર,દાવા અરજી કરનાર ગરીબ પરિવાર,મજુર પરીવાર જેવા પરીવારોનો સર્વે કરવામાં આવ્યો હતો.
આ અંગે માહિતી આપતા પુરવઠા અધિકારી વિવેક ટાંકે જણાવ્યું હતું.કે સર્વે અંતર્ગત છેલ્લા ત્રણ માસમાં મૂળ માધવપુર, બળેજ,ઉંટડા,ભડ,દેરોદર,ઓડદર,મિયાણી,ભેટકડી,રોજીવાડા વગેરે ગામો તેમજ પોરબંદરના ભાટીયા બજાર, ભોયવાડા ,ખળા વિસ્તાર વગેરે વિસ્તારોનો ઘરે ઘરે જઇને સર્વે કરવામાં આવ્યો હતો.તથા હાથ ધરાયેલ સર્વે પર કમિટીની બેઠક બોલાવી પોરબંદર તાલુકાના ૪૮૨૪ રાણાવાવ તાલુકાના ૧૩૪ તથા કુતિયાણા તાલુકાના ૪૩૦ એમ કુલ ૫૩૮૮ જેટલા વ્યક્તિઓને આ યોજનાનો લાભ આપવા સમાવેશ કરાયો છે.
ઉપરાંત સમૃદ્ધ પરીવાર,નોકરી કરતા તેમજ આર.ટી.ઓ.કચેરી ખાતેથી ફોર વ્હિલ ધરાવતા વ્યક્તિઓની યાદી મેળવી આવા ૨૭૭૮ વ્યક્તિઓને એન એફ એસ એ માંથી દૂર કરવામાં આવ્યા છે. જેથી જરૂરિયાતમંદ,ગરીબ પરિવારો ને લાભ આપી શકાય.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત સમાવેશ થયેલ પરિવાર જે વ્યાજબી ભાવની દુકાન સાથે જોડાયેલ હોય તે વાજબી ભાવની દુકાન પરથી વ્યક્તિદીઠ ૫ કિ.ગ્રા.અનાજ (ઘઉં તથા ચોખા) મેળવી શકે છે.