પોરબંદર
પોરબંદરમાં ઉંચા વ્યાજે નાણા આપનાર શખ્શ સામે એક માસ અગાઉ ગુન્હો નોંધાયા બાદ અન્ય કોઈ વ્યક્તિ પણ આ પ્રકારે ભોગ બન્યો હોય તો માહિતી આપવા પોલીસે અપીલ કરી છે.
પોરબંદરના મેમણવાડામાં રહેતા અને સુકી મચ્છીનો ધંધો કરતા મહમ્મદ આરીફ અબ્દુલ કરીમ ઓડેદરા(ઉવ ૫૬) એ બે વર્ષ પહેલા મચ્છીનો ધંધો કરવા માટે પૈસાની જરૂરીયાત ઉભી થતા જુની મચ્છી માર્કેટ પાસે ધોબીવાડમાં રહેતા રમેશ ઉર્ફે રાજુ જીવન વારા પાસેથી ૩૦,૦૦૦ રૂપિયા માસિક ૪ ટકા લેખે વ્યાજે લીધા હતા.
આ પૈસાના વ્યાજ પેટે ૩૫,૦૦૦ રૂપિયા ચુકવી દીધા હોવા છતાં કોરા ચેકમાં ૬૦,૦૦૦ રૂપિયાની રકમ ભરીને ચેક બાઉન્સ કરાવી ચીફ કોર્ટમાં કેસ કર્યો હતો. જે કેસ માં સેટલમેન્ટ પેટે રકમ ચૂકવી આપી હોવા છતા રમેશ ઉર્ફે રાજુ વારા તેને વારંવાર ધમકી આપતો હોવા અંગે તેણે એક માસ પહેલા કીર્તીમંદિર પોલીસ મથકમાં ગુજરાત મનીલેન્ડરીંગ એકટ-૨૦૧૧ની કલમ મુજબ રાજુ સામે ઉંચા વ્યાજે ધિરાણ કરી લાયસન્સ પરવાના વગર વ્યાજ વટાવવાનો ધંધો કરીને ધાકધમકી આપવા અંગે પોલીસ ફરીયાદ નોંધાવી હતી.આ શખ્શ દ્વારા હજુ પણ અનેક લોકો ને આ રીતે ઊંચા વ્યાજે પૈસા આપવાની શક્યતા ના આધારે પોલીસે અન્ય કોઈ વ્યક્તિ આ પ્રકારે ભોગ બન્યું હોય તો માહિતી આપવા અપીલ કરી છે.