પોરબંદર ના શ્રી હરિમંદિર ખાતે દીપાવલી પર્વ ની ઉજવણી નો પ્રારંભ કરાયો છે.
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં પૂજ્ય ભાઇશ્રી શ્રીરમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીના પૂજન અને રુપ ચતુર્દશીના દિવસે હનુમાનજીની પૂજા અને સાંજે દીપદાન સાથે દિપાવલી પર્વની ઉજવણીનો પ્રારંભ થયો.
તા. ૧૮-૧૦-૨૦૨૫, શનિવારના રોજ ધનતેરસના દિવસે શ્રીહરિ મંદિરમાં સાંજે પૂજ્ય ભાઈશ્રી અને મનોરથી પરિવાર દ્વારા ૫:૩૦થી ૬:૩૦ દરમિયાન શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ભગવાન ધન્વંતરીનું પૂજન કરવામાં આવ્યું. ધન્વંતરી ભગવાનની પૂજા બાદ સાયં ૬:૩૦ થી ૭:૦૦ દરમિયાન દીપદાન વિધિ સાથે દીપાવલી ઉત્સવનો પ્રારંભ થયો..
આ સાથે તા. ૧૯-૧૦-૨૦૨૫, રવિવારના રોજ રૂપચતુર્દશીના અવસરે સવારે ૯:૩૦ થી ૧૦:૩૦ દરમ્યાન પૂજ્ય ભાઈશ્રી તથા મનોરથી પરિવાર દ્વારા શ્રી હનુમાનજી મહારાજની વિધિવત્ ષોડશોપચારપૂર્વક પૂજા કરવામાં આવી હતી. તેમજ સાંજે ૬:૩૦ થી ૭:૦૦ દરમ્યાન દીપદાન વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
દિવાળીના દિવસે શ્રીલક્ષ્મીનારાયણ ભગવાનની વિશેષ પૂજા
તા.૨૦-૧૦-૨૦૨૫, સોમવાર દિવાળીના શુભ દિવસે સાંજે સમય ૪:૩૦ થી ૬:૩૦ શ્રીહરિ મંદિરમાં બિરાજિત શ્રીલક્ષ્મી નારાયણ ભગવાનનું પૂજ્ય ભાઈશ્રી અને મનોરથી પરિવાર દ્વારા સહસ્રકમલોથી વિધિપૂર્વક પૂજન-અર્ચન સંપન્ન થશે. ૬:૩૦ વાગ્યેથી દીપદાન વિધિ થશે, ૭:૦૦ વાગ્યે શયન આરતી થશે. શયન આરતી બાદ ૭:૩૦ થી ૮:૦૦ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન સન્મુખ દીપોત્સવ થશે અને ત્યારબાદ ૮:૦૦ વાગ્યે શ્રીહરિ મંદિરના પ્રાંગણમાં આતશબાજી કરવામાં આવશે.
તા. ૨૧-૧૦-૨૦૨૫, મંગળવારના રોજ શ્રીહરિ મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન સહિત સર્વે વિગ્રહોના દર્શન યોજાશે. જેના દર્શનનો લાભ સવારે ૭:૩૦થી બપોરે ૧:૦૦ તથા સાંજે ૪:૩૦ થી રાત્રે ૮:૦૦ સુધી સૌ ભાવિકજનો લઇ શકશે. સાંજે ૪:૩૦ થી ૮:૦૦ સુધી દીપોત્સવ સંપન્ન થશે. તેમજ સાંજે ૭:૦૦ વાગ્યે સાયં આરતી સંપન્ન થશે.
તા. ૨૨-૧૦-૨૦૨૫, બુધવારના રોજ વિક્રમસંવતના નૂતન વર્ષના પ્રારંભે શ્રીહરિ મંદિરમાં પ્રાતઃ ૭:૩૦ વાગ્યે મંગલાઆરતીના દર્શન થશે. ત્યારબાદ ૮:૦૦ થી ૦૧:૦૦ તથા સાંજે ૪:૩૦ થી ૮:૦૦ સુધી શ્રીલક્ષ્મીનારાયણ ભગવાનને અર્પણ કરવામાં આવેલા અન્નકૂટના દર્શન યોજાશે. આ સાથે મધ્યાહ્નમાં ૧૨:૦૦ વાગ્યે અન્નકૂટની આરતી સંપન્ન થશે.
નૂતનવર્ષ નિમિત્તે પૂજ્ય ભાઈશ્રીની ઉપસ્થિતિમાં સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ દરમ્યાન સ્નેહમિલન યોજાશે.જેમાં દીપાવલી ઉત્સવ નિમિત્તે સાંદીપનિમાં આવેલા ભક્તજનો તેમજ પોરબંદર અને આસપાસથી આવેલા સૌ ભક્તજનોને પૂજ્ય ભાઇશ્રી આશીર્વાદ આપશે.
પૂજ્ય ભાઈશ્રીની ઉપસ્થિતિમાં દીપાવલી ઉત્સવ નિમિત્તે આયોજિત મનોરથ દર્શનનો લાભ લેવા માટે આપ સૌ ભાવિકોને સાંદીપનિ વિદ્યાનિકેતનન દ્વારા હાર્દિક નિમંત્રણ આપવામાં આવે છે.
દીપદાનનું મહત્ત્વ
ભગવાન વિષ્ણુના વામન અવતારમાં જ્યારે ભગવાને સંપૂર્ણ પૃથ્વીને એક ચરણમાં માપી લીધી ત્યારે બલિરાજાના દાન અને ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને જ્યારે વરદાન માંગવાનું કહ્યું ત્યારે બલિરાજાએ પ્રાર્થના કરી કે આસો માસની ત્રયોદશી, ચતુર્દશી અને અમાસ સહિત ત્રણ દિવસ સુધી જે વ્યક્તિ યમરાજને દીપદાન કરે, એમને યમયાતના ભોગવવી ન પડે અને ત્રણ દિવસ સુધી જેઓ દીપાવલિ ઉજવશે એના ઘરનો શ્રીલક્ષ્મીજી ક્યારેય ત્યાગ ન કરે. ભગવાનને “એવમસ્તુ” કહીને કહ્યું કે જે મનુષ્ય આ ત્રણ દિવસમાં દીપદાન /દીપાવલી કરશે તો મારી પ્રિયા લક્ષ્મી એને છોડીને જશે નહિ.

