Thursday, June 26, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં ખારવા જ્ઞાતિ દ્વારા અષાઢીબીજની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાશે

પોરબંદરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા ઇષ્ટદેવ શ્રી રામદેવજી મહાપ્રભુની શોભાયાત્રા (વરઘોડા)નું અષાઢીબીજના દિવસે ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

શ્રી પોરબંદર સમસ્ત ખારવાજ્ઞાતિના વાણોટ (પ્રમુખ) પવનભાઈ જીવાભાઈ શિયાળ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી તથા વરિષ્ટ સલાહકાર સમિતિના અધ્યક્ષ રણછોડભાઈ ગગનભાઈ શિયાળ તથા પંચપટેલ ટ્રસ્ટીઓની નિશ્રામાં તા. ૨૭-૬ને શુક્રવારે અષાઢીબીજના પાવન દિવસે પંચાયત મંદિર(મઢી) ખાતેથી સવારે નવ વાગ્યે શોભાયાત્રાનું પ્રસ્થાન થશે અને શ્રી રામદેવજી મહાપ્રભુની પરંપરાગતરીતે યોજાતી આ શોભાયાત્રાના ધર્મોત્સવમાં શહેરના તમામ જ્ઞાતિ પ્રમુખો, સામાજિક સંસ્થાના વડાઓ, ધાર્મિક વડાઓ, વિવિધ પ્રક્ષોના રાજકીય આગેવાનો તેમજ શહેરના પ્રતિષ્ઠિત નગરજનો અને શ્રેષ્ઠીઓ શ્રી રામદેવજી મહાપ્રભુજીને હારતોરા કરી આશીર્વાદ લઇ સાથે-સાથે પોરબંદર ખારવા સમાજના વાણોટ, પ્રમુખ, પંચપટેલ, ટ્રસ્ટીઓનું સ્વાગત કરવાની પરંપરા વર્ષોથી પ્રચલિત છે. આ પ્રથા સમાજના સ્નેહસંબંધોને વધુ મજબુત બનાવે છે.

શોભાયાત્રા નો રૂટ
શોભાયાત્રા શ્રી પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ પંચાયત મંદિરેથી પ્રયાણ કરી શહીદચોક, શીતલાચોક, માણેકચોક, કસ્તુરબા ગાંધી રોડ, વાણોટ જશુભાઈ શિયાળ માર્ગ, પાલાનાચોકથી પસાર થી શ્રી રામદેવજી મહાપ્રભુજીના નિજમંદિરે બપોરે ૨ વાગ્યે પૂર્ણ થશે અને ત્યારબાદ ત્રણ વાગ્યે પંચાયત મંદિરની પાસેના શ્રી રામદેવજી મહાપ્રભુજી મંદિર ખાતે મહાઆરતી થશે.

મહાપ્રસાદી નું પણ આયોજન
માજી વાણોટ સ્વ. જશુભાઈ ગગનભાઈ શિયાળ, સ્વ. હીરાલાલભાઇ ગગનભાઈ શિયાળ, રણછોડભાઈ ગગનભાઈ શિયાળ તેમજ શિયાળ પરિવાર તરફથી અષાઢીબીજના પવિત્ર દિવસે બપોરે ૧૨ વાગ્યે સાગરભુવન હોલ, વાંદરીચોક ખારવાવાડમાં મહાપ્રસાદી રાખેલ છે જેનો સર્વે જ્ઞાતિજનોએ લાભ લેવા જણાવાયુ છે.

મહાઆરતીની તક મળશે
સર્વે ખારવાજ્ઞાતિબંધુને જાણ કરવામાં આવી છે કે જે લોકો શ્રી રામદેવજી મહારાજની મહાઆરતી કરવા ઇચ્છતા હોય તે લોકોએ ફકત રૂા. ૧૦૦ કવરમાં પેક કરી ઉપર પૂરુ નામ, સરનામુ, મોબાઈલ નંબર સ્પષ્ટ અક્ષરથી લખીને સમાજ દ્વારા સીલ કરેલ દાનપેટીમાં નાખવાના રહેશે. શોભાયાત્રાના અંતે દાનપેટીમાં જમા થયેલ કવરમાંથી નાની બાળાઓ દ્વારા છ કવર બહાર કાઢવામાં આવશે. જે લોકોના કવર નીકળશે તે લોકોને શ્રી રામદેવજી મહાપ્રભુના મંદિરમાં મહાઆરતીનો લ્હાવો મળશે અને સમાજ તરફથી આ છ ભાગ્યશાળી પરિવારને સ્મૃતિ ભેટ આપવામાં આવશે. સમાજમાં રાખેલ દાનપેટીમાં તમે કવર નાખી શકશો.તેમ વાણોટ પવનભાઈ શિયાળે જ્ઞાતિજનોને જણાવ્યુ છે.

જ્ઞાતિજનોને જોડાવા કરાઈ અપીલ
વાણોટ પવનભાઈ શિયાળ સહિત સૌ આગેવાનોએ જ્ઞાતિજનોને અપીલ કરતા જણાવ્યુ છે કે કે ખારવા સમાજની પરંપરા મુજબ આપણા ઇષ્ટદેવ શ્રી રામદેવજી મહાપ્રભુજીની શોભાયાત્રા (વરઘોડો) અષાઢીબીજ તા. ૨૭-૬-૨૦૨૫ શુક્રવારના રોજ છે. જેમાં સામાકાંઠા વિસ્તાર, બંદર વિસ્તાર, ફીશમાર્કેટ, હરાજી માર્કેટ તથા શીતલાચોક વિસ્તારના દરેક ભાઈઓ-બહેનો, વડીલો તેમજ યુવાનોએ પોતાના કામધંધા, દુકાનો, અડધો દિવસ બંધ રાખી શોભાયાત્રામાં જોડાવા સમાજ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે. શોભાયાત્રાનો સમય સવારે ૯ થી બપોરે ૨ વાગ્યા સુધીનો છે.

હારતોરાના ખર્ચને બદલે શૈક્ષણિક અને મેડિકલ વિકાસ માટે ફંડ એકત્ર કરાશે
વાણોટ પવનભાઈ શિયાળે જણાવ્યુ છે કે ખારવા સમાજનો પરંપરાગત ઉત્સવ અષાઢી બીજ અને શ્રી રામદેવજી મહાપ્રભુની શોભાયાત્રાનો અનેરો અવસર તા. ૨૭-૬-૨૦૨૫ શુક્રવારના શુભ દિવસે આવી રહ્યો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખારવા સમાજની ઇચ્છા છે કે દરેક લોકો સ્વૈચ્છિક રીતે શોભાયાત્રા દરમ્યાન ખારવાસમાજના પ્રમુખનું સન્માન હારતોરાને બદલે હારતોરાના ખર્ચ જેટલી રકમનું બંધ કવર આપી કરવામાં આવે. આ પ્રથાનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે હારતોરા પછી વિખરાયેલા ફૂલો રસ્તામાં જ્યાં ત્યાં પડયા રહી ગંદકીમાં ઉમેરો કરે છે. જે પર્યાવરણ માટે ખૂબજ હાનીકારક છે અને શહેરની સ્વચ્છતામાં પણ ઘટાડો કરે છે. આ રકમ અમે અમારા શૈક્ષણિક અને મેડિકલ વિકાસ ફંડમાં જમા કરાવી આપનુ નામ અમારી કાયમી યાદીમાં જમા રાખશુ
અને આ રકમનો ઉપયોગ મેડિકલ અને સદ્કાર્ય માટે થશે. તેમ જણાવાયુ છે.

સુવ્યવસ્થિત આયોજન માટે તડામાર તૈયારીઓ
સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટ, પ્રમુખ પવનભાઈ જીવાભાઇ શિયાળ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ ભીખુભાઈ જુંગી, વરિષ્ઠ સલાહકાર સમિતિના અધ્યક્ષ રણછોડભાઈ ગગનભાઇ શિયાળ તથા શ્રી મઢીના ડાયરાના ટ્રસ્ટી રાજેશભાઈ પઢુભાઈ ગોહેલ, પટેલ મુકેશભાઈ રામજીભાઈ ગોહેલ તથા પ્રતાપભાઈ પ્રેમજીભાઈ ગોહેલ, શ્રી ગોયાના ડાયરાના ટ્રસ્ટી અશ્વિનભાઈ મધુભાઈ જુંગી, ઉપપ્રમુખ અશ્વિનભાઈ ભીખુભાઈ જુંગી અને પટેલ જીતેન્દ્રભાઈ હરજીભાઈ મોતીવરસ, શ્રી કાઠાના ડાયરાના ટ્રસ્ટી હિરાલાલભાઇ ગગનભાઈ જુંગી, પટેલ કિશોરભાઈ રમેશભાઈ બાદરશાહી અને હરીશભાઈ ભીમજીભાઈ શેરાજી, શ્રી દેલવાડીનો ડાયરોના ટ્રસ્ટી રણછોડભાઈ ગગનભાઈ શિયાળ, પટેલ મનીષભાઈ કરશનભાઈ શિયાળ અને જીતેન્દ્રભાઈ કરશનભાઈ સલેટ, શ્રી કાજીપીરના ડાયરાના ટ્રસ્ટી વિનેશભાઈ નરશીભાઈ લોઢારી, પટેલ મુકેશભાઈ નારણભાઈ લોઢારી અને અશોકભાઈ આલાભાઈ લોઢારી, શ્રી રામદેવજીના ડાયરાના ટ્રસ્ટી હિરેનભાઈ લલીતભાઈ જુંગી, પટેલ ભાસ્કરભાઈ કાનજીભાઈ પાંજરી અને હિતેષભાઇ દેવજીભાઈ મોતીવરસ, શ્રી હરદાસના ડાયરાના ટ્રસ્ટી વિજયભાઈ હરજીવનભાઇ કોટીયા, પટેલ ભીખુભાઈ ભીમજીભાઈ ગોહેલ અને લાલજીભાઈ હીરાભાઈ કોટીયા, શ્રી મઠનો ડાયરાના ટ્રસ્ટી અનિલભાઈ રામજીભાઈ મોતીવરસ, પટેલ ધનજીભાઈ નારણભાઈ મોતીવરસ અને ધીરુભાઈ નારણભાઈ ચુડાસમા અને શ્રી મનજીભુવાના ડાયરાના ટ્રસ્ટી હરીશભાઈ પ્રધાનભાઈ બાદરશાહી, પટેલ દીપકભાઈ પ્રેમજીભાઈ બાદરશાહી અને ભરતભાઈ લાલજીભાઈ બાદરશાહી સહિત ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે અને સમાજના સર્વે લોકોને ઉમંગ ઉત્સાહ સાથે આ ધર્મોત્સવમાં જોડાવા અપીલ કરવામાં આવી છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે