પોરબંદરમાં કોઈ તત્વો એ માદા શ્વાનના ગુદાના ભાગે હુકવાળો સવાફૂટ લાંબો લોખંડનો સળીયો ભરાવી દેતા જીવદયાપ્રેમીઓએ મહામહેનતે આ સળીયો બહાર કાઢી તેને પીડા મુક્ત કરી હતી. અને આવું કૃત્ય કરનાર સામે સી.સી.ટી.વી. ફૂટેજના માધ્યમથી તપાસ શરૂ કરવામાં આવી છે.
પોરબંદરની વીરભનુની ખાંભી તરફ જતા રસ્તે આવેલી સિગ્મા સ્કૂલ પાસે કોઈ તત્વો એ એકાદ વર્ષની નાની ઉંમરની માદાશ્વાનના ગુદાના ભાગે લોખંડનો સવાફૂટ લાંબો હુકવાળો સળીયો ઘુસાડી દેતા શ્વાન પીડા થી કણસતું ચીસો પાડતું આમતેમ ભટકતું હતું. સ્થાનિકો ને જાણ થતા સળીયો કાઢવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળતા ન મળતા ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ ડો. નેહલબેન કારાવદરાને જાણ કરી હતી.
આથી તેઓએ તાત્કાલિક તેની ટીમને મોકલી સ્થાનિક યુવાનોની મદદથી એનિમલ કેર સેન્ટર ખાતે લાવ્યા હતા અને અહી વેટરનરી તબીબો દ્વારા એનેસ્થેસીયા આપીને તેને બેહોશ કરી ચાલીસેક મિનિટની જહેમત પછી સળીયો બહાર કાઢવામાં સફળતા મળી હતી. સળીયો આગળથી હુકવાળો અને અંદાજે સવાફૂટ લાંબો હોવાનું સામે આવ્યું હતું ડો નેહલબેને જવ્યું હતું કે આ અકસ્માતે નહી પરંતુ કોઇ તત્વો એ જાણીજોઇને સળીયો ભરાવીને વિકૃતિની હદ વટાવી છે.
આથી આ વિસ્તાર માં આવું હીન કૃત્ય કરનાર કોણ છે તે અંગે આ વિસ્તર માં આવેલ મકાન અને દુકાનના સી.સી.ટી.વી. કેમેરાના માધ્યમ થી જીવદયાપ્રેમીઓ એ તપાસ હાથ ધરી છે અને આ શખ્શની ઓળખ થઇ જશે પછી તેની સામે પોલીસ કેસ સહિતની કાર્યવાહી કરવામાં આવશે આ બનાવ વિષે કોઈ જાણતુ હોય તો ડો. નેહલબેનનો મોબાઈલ નં ૯૮૨૫૯ ૧૯૧૯૧ પર સંપર્ક સાધવા જણાવાયુ છે. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેવું પણ તેઓએ જણાવ્યું હતું.