પોરબંદર માં પ્રાથમિક શિક્ષકો ને વર્ષા ઋતુ કંટ્રોલરૂમ ની કામગીરી સોપવામાં આવતા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા વિરોધ નોંધાવી કલેકટર ને આવેદન પાઠવ્યું છે.
પોરબંદર જીલ્લા માં આગામી વર્ષા ઋતુ ને ધ્યાને લઇ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા તાલુકા અને જીલ્લા કક્ષા એ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કાર્યરત કરાયા છે. તા ૧-૬ થી ૩૧-૮ સુધી આ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં વિવિધ સરકારી વિભાગ ના કર્મચારીઓ ને કંટ્રોલરૂમ ની જવાબદારી સોપવામાં આવી છે. અને દરેક કર્મચારી ને ૮ કલાક ની ફરજ બજાવવા સુચના અપાઈ છે. આ કર્મચારીઓ માં વિવિધ પ્રાથમિક સરકારી શાળાઓ ના શિક્ષકો નો પણ સમાવેશ કરાયો છે. અને તેઓને પણ જવાબદારી સોપવામાં આવી છે.
જેનો વિરોધ કરતા જીલ્લા પ્રાથમીક શૈક્ષિક મહાસંઘ ના અધ્યક્ષ લાખાભાઈ ચુંડાવદરા એ કલેકટર ને લેખિત આવેદન પાઠવી જણાવ્યું છે કે મામલતદાર મારફત વષાઋતુ -૨૦૨૫ કંટ્રોલરૂમ કામગીરીના આદેશ પ્રાથમિક શિક્ષકોને કરવામાં આવ્યા છે પરંતુ બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમનની કલમ નં. ૨૭ અન્વયે આવી કામગીરી પ્રાથમિક શાળાના શિક્ષકો પાસેથી લઈ શકાય નહી. આમ છતાં જો લેવામાં આવે તો અદાલતના અનાદરનો પ્રશ્ન ઉદભવે છે. આમ છતાં મામલતદાર મારફત તા. ૫/૬ થી તા. ૩૧/૮ સુધી વર્ષાઋતુ -૨૦૨૫ કંટ્રોલરૂમ કામગીરીના આદેશો પોરબંદર તાલુકાના શિક્ષકોને કરેલ છે. હાલ શિક્ષકોની ઘટ છે, શાળા શરૂ થવાની સાથે જ પ્રવેશોત્સવ વગેરે કામગીરી પણ હોવાથી આવી કામીગીરીથી શિક્ષણ પર માઠી અસર પડે છે. આથી આ આદેશો રદ કરવા રજૂઆત માં જણાવ્યું છે વધુ માં જણાવ્યું છે કે આવી કામગીરી શિક્ષકો પાસેથી ન લેવા આદેશ થયો છે. આમ છતાં જો લેવામાં આવશે અને ભવિષ્યમાં અદાલતના આદેશના અનાદરનો પ્રશ્ન ઉદભવશે તો તેની જવાબદારી જે તે આદેશ કરનાર અધિકારીની રહેશે.તેવું પણ જણાવ્યું છે.