ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા માર્ચ-એપ્રિલ 2025માં લેવાયેલ બી.એ.ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં સરકારી વિનયન કોલેજ, રાણાવાવનું બી.એ. સેમ-6નું 90% જેટલું ઊંચું પરિણામ રહ્યું છે. ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ પૈકી મનોવિજ્ઞાન વિષયમાં 16, સમાજશાસ્ત્રમાં 10, ઈતિહાસમાં 3, ગુજરાતીમાં 3 અને અંગ્રેજીમાં 1 મળીને કુલ 44 માંથી 33 વિદ્યાર્થીઓએ ડિસ્ટિકશન પ્રાપ્ત કરેલ છે. વ્યક્તિગત પરિણામ પણ અત્યંત ધ્યાનાકર્ષક છે. સેમ-6માં નિરાલી બાબુભાઈ છાયા 87.43% (મનોવિજ્ઞાન) કોલેજમાં પ્રથમ, રેખા ભીખાભાઈ બાલસ 85.57% (મનોવિજ્ઞાન) દ્વિતીય, દિવ્યા કાનજીભાઈ શિયાણી 82.00% (મનોવિજ્ઞાન) તૃતીય, લીરી ખીમાભાઈ મોરી 81.57% (મનોવિજ્ઞાન) ચતુર્થ અને સાજણ લાખાભાઈ ઓડેદરા 81.43% (મનોવિજ્ઞાન) પાંચમો ક્રમ પ્રાપ્ત કરેલ છે.
સેમ-6માં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને કોલેજના આચાર્ય ડો. કે. પી. બાકુ તથા સમગ્ર સ્ટાફ દ્વારા અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. પોરબંદર પંથકમાં વર્ષ 2012થી ઐતિહાસિક નગર રાણાવાવમાં શરૂ થયેલી આ વિસ્તારની એકમાત્ર મોડેલ ડિગ્રી કોલેજ સરકારી વિનયન કોલેજ રાણાવાવ કોલેજ સ્થાપના વર્ષથી જ સતત ઉત્તમ પરિણામ આપી રહી છે. પોરબંદર જિલ્લામાં સૌથી વધુ વિષય પસંદગીની સ્વતંત્રતા આપતી આ સરકારી કોલેજ અનેક વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દીમાં સહભાગી બની છે. કોલેજના અધ્યાપકોની નિષ્ઠા અને સામર્થ્ય વિદ્યાર્થીઓને ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરવા પ્રેરિત કરે છે. સરકારી વિનયન કોલેજ રાણાવાવમાં આર્ટ્સ વિદ્યાશાખામાં ચાર ભાષા (ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી) તથા ત્રણ સામાજિક વિજ્ઞાનના વિષયો (સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને ઇતિહાસ) એમ કુલ સાત જેટલા વિષયોનો અભ્યાસ કરાવવામાં છે. કલા-આર્ટ્સના વિષયો દ્વારા પણ વિદ્યાર્થીઓ પોતાની ઉત્તમ કારકિર્દીનું નિર્માણ કરી શકે છે. કોલેજનું ઉત્તમ પરિણામ આ બાબતની સાબિતી આપે છે.




