રાતડી ગામે ૫ વર્ષ પૂર્વે સગીરા પર બળાત્કાર કરનાર બરડિયા ના શખ્સ ને પોરબંદર કોર્ટે ૨૦ વર્ષ ની સખ્ત કેદ ની સજા ફટકારી છે.
બરડીયા ગામે રહેતા સાયર ઉર્ફે સાગર દુદાભાઈ છગનભાઈ વાઘેલા નામના શખ્સે ગત તા ૨૮/૮/૨૦૧૯ ના રોજ સવારે ૧૦ થી ૧૧ વાગ્યાના અરસામાં રાતડી ગામથી પોતાના બાઈક પર ફરીયાદીની સગીર વયની પુત્રી ને વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે દરીયાકાંઠા તરફ જતા ખાણનાં રસ્તે લઇ ગયો હતો. અને ત્યા બાઈક મુકી પગપાળા ચલાવી દરીયાકાંઠા નજીક પથ્થરની ખાણ વિસ્તારમાં બાવળની ઝાડીમાં લઇ જઈ સગીરા પર બળાત્કાર કર્યો હતો.
જે અંગે સગીરા ના પિતા એ મિંયાણી મરીન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી જે કેસ કોર્ટ માં ચાલી જતા પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ બી. જેઠવા દ્વારા ૩૩ દસ્તાવેજી પુરાવાઓ તથા ૧૬ સાહેદો તપાસવામાં આવ્યા હતા તથા સરકાર તરફે દલીલ કરવામાં આવી હતી જે અનુસંધાને બન્ને પક્ષોની દલીલો સાંભળી સાયર ઉર્ફે સાગર ને કસુરવાન ઠરાવી એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ કે.એ.પઠાણની કોર્ટ દવારા ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૧૪,૦૦૦ દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.