પોરબંદર લોહાણા મહાજન ની ૩ માસ માં તટસ્થ ચૂંટણી કરવાના ચેરીટી કમિશ્નર ના આદેશ બાદ આગેવાનો ની બેઠક મળી હતી જેમાં ચૂંટણી પ્રક્રિયા ન થવી જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો.
પોરબંદરના રઘુવંશી સમાજની સંસ્થા લોહાણા મહાજન માં ચાર દાયકા થી ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી ન હતી. અગાઉ અઢી દાયકા સુધી વજુભાઈ કારિયા પ્રમુખપદે રહ્યા બાદ તેમના પુત્ર સંજયભાઈ છેલ્લા દોઢ દાયકા થી પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. જે અંગે ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ જીગ્નેશભાઈ કારીયા એ ચેરીટી કમિશ્નર ની કોર્ટ માં રજૂઆત કરી જ્ઞાતિ ના બંધારણ મુજબ ચૂંટણી કરવા માંગ કરી હતી. જેથી ચેરીટી કમિશ્નર દ્વારા લોહાણા મહાજન ની ૩ માસ માં તટસ્થ ચૂંટણી કરવા આદેશ આપવામાં આવ્યો હતો. જેને લઇ ને જ્ઞાતિ આગેવાનો દ્વારા લોહાણા મહાજન સંચાલિત નવા જલારામ મંદિર ખાતે એક મીટીંગ બોલાવવામાં આવી હતી.
જેમાં શહેરના વિવીધ ક્ષેત્રના અને અલગ-અલગ સંસ્થાઓ સાથે જોડાયેલા જ્ઞાતિજનોએ ચર્ચાઓ કરી હતી.
-જો લોહાણા મહાજનમાં ચુંટણી થાય તો આપણા રઘુવંશી સમાજમાં ભાગલા પડશે અને જુથવાદ થી વિકાસ નબળાઈ પામશે… કપીલભાઈ કોટેચા/કીરીટભાઈ સવજાણી.
-એક જ દિવસમાં યુવાનોએ આયોજન કરેલ આ મીટીંગમાં જૂજ લોકોનો સમાવેશ કરી શકાયેલ છે અને બહુ જલ્દી સમાજના મોટા પ્રમાણને સાથે જોડી એકતા સંમેલન કરી ચુંટણીઓ ટાળવા માટે પ્રયાસો કરવા જોઈએ… ચંદ્રેશભાઈ સામાણી.
-કોઈ ચોકકસ લોકો પોતાના અહં અને સ્વાર્થ માટે સરકારી જોગવાઈઓનો ઉપયોગ કરી ચુંટણી સમાજ માથે થોપી દે તે ચલાવી ન શકાય, સર્વ-સહમતીથી જ સમાજ ચાલી શકે, ચુંટણીના કારણે સમાજમાં વિખવાદ વધે તો તેની સીધી અસર વેપાર-ધંધા પર પડી શકે છે. કેતનભાઈ ભરાણીયા.
-સમાજ હિત સહુએ વિચારવું જોઈશે, સમાજને વિખુટો નહીં પડવા દઈએ, જે ચુંટણી ઈચ્છુક એ ચુંટણી પ્રક્રિયા ની માંગણી કરી છે તે ૪ દાયકાથી ક્યાં સુતા હતાં… ડો. નુતનબેન ગોકાણી.
-ચુંટણી થવાથી કેટલું નુકશાન થશે તેનો આપણે અંદાજ નથી, વર્તમાન લોહાણા મહાજનના હોદેદારો એ રાત-દિવસ જોયા વગર આપણા સમાજની બે વાડીઓના નવીનીકરણનું ભગીરત કાર્ય કરેલ છે, ૧૦૦ વર્ષ બાદ સસ્તા ભાડાની ચાલનું રીનોવેશન થયું, આવા અનેક સમાજલક્ષી કાર્યો જે લોકો જોઈ નથી શકતાં તે જ ચુંટણી ઈચ્છી શકે.. નલીનભાઈ કાનાણી
-જો લોહાણા મહાજનમાં ચુંટણી થાય તો આપણા રઘુવંશી સમાજમાં ભાગલા પડશે અને જુથવાદ થી વિકાસ નબળાઈ પામશે… પરિમલ ઠકરાર/પ્રકાશભાઈ ઉનડકટ.
આપણા સમાજનું થોડા સમય પહેલાં જ એક વિશાળ સંમેલન યોજાયેલ જેની રાજકીય લોકોએ જ નહીં પણ સમગ્ર શહેર એ નોંધ લેવી પડેલ અને લોહાણા સંમેલનથી સહુની આંખ પહોળી થઈ હતી તે ભુલી ન શકાય, યુવા આગેવાન અમિત ખોડા એ આક્રમક રીતે સમાજને ચિંતન અને મનન કરવા અને કોઈ જ ચુંટણી કરવામાં ન આવે તેવી લાગણી વ્યકત કરેલ હતી.
સહુ વકતા અને શાતિ આગેવાનોનો એક જ સુર રહયો કે જયારે સંસ્થા નમુનેદાર બની ગઈ, ત્યારે જ કોઈની નજર કેમ પડી? હાલના હોદેદારો સંજયભાઈ કારીયા ની ટીમ પાસે એક વીઝન છે, સમાજ માટે કાંઈક કરવાની ભાવના અને ઈચ્છાશકિત છે, સમાજનો તેમના પર વિશ્વાસ છે અને એટલે જ તો ફંડના ધોધ વહે છે, ત્યારે સામાજીક રીતે અને કાયદાકીય રીતે આપણા સમાજમાં સંભવિત ચુંટણીઓ અટકવી જોઈએ અને હાલના હોદેદારો સંજયભાઈ કારીયા, રાજુભાઈ લાખાણી ને આપણે સહુ સાથે રહીને આપણી લાગણીઓ પહોંચાડીશું.






