જેતપુરના સાડી ઉદ્યોગનું ગંદુ પાણી પોરબંદર ના દરિયામાં ન વહાવવા અંગે ની સીનીયર સીટીઝન ની રજૂઆત અંગે જીપીસીબીએ વૈજ્ઞાનિક અભ્યાસ બાદ નક્કી કરેલા પોઇન્ટ પર પાણી વહાવાશે તેવો જવાબ આપ્યો છે.
પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા સિનીયર સીટીઝન પુંજાભાઈ લાખાભાઈ કેશવાલાએ સરકારને રજૂઆત કરી જણાવ્યું હતું કે જેતપુરના સાડી ઉદ્યોનું ગંદુ પાણી કરોડો નો ખર્ચ કરી પાઈપલાઈન મારફત પોરબંદરના સમુદ્રમાં વહાવવું જોઈએ નહી. આ પાણી ના કારણે દરિયાઈ જીવસૃષ્ટિ સહીત સમગ્ર માનવજાત પણ લાંબા ગાળા નું નુકશાન થશે. જેની ભરપાઈ પણ થઇ શકશે નહી. આ મામલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના પ્રાદેશિક અધિકારી ડી સી વંકાણી એ એવો લેખિત જવાબ આપ્યો છે. કે ગુજરાત સરકાર દ્વારા ડીપ-સી એફલ્યુઅન્ટ ડીસ્પોઝલ પાઈપલાઈન પ્રોજેકટ અંતર્ગત સામૂહિક શુધ્ધિકરણ એકમમાંથી (સી.ઈ.ટી.પી.) શુધ્ધ પાણી કરેલ ગંદુ પાણીના ઉંડા દરિયામાં નિકાલ કરવા માટેની પાઇપલાઇન તથા પમ્પીંગ સ્ટેશનના અમલીકરણની કામગીરી ગુજરાત પાણી પુરવઠા અને ગટરવ્યવસ્થા બોર્ડ હસ્તક ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમીટેડને સોંપવામાં આવેલ છે.
જે અંતર્ગત જે તે વિસ્તારના સંલગ્ન સામૂહિક શુધ્ધિકરણ એકમમાંથી (સી.ઈ.ટી.પી.) શુધ્ધ કરેલ ગંદુ પાણી સમુદ્રમાં અંદરના ભાગે પાઇપલાઇન દ્વારા ઉંડા દરિયામાં પર્યાવરણને નુકશાન ન થાય તે રીતે સરકારમાન્ય સંસ્થા દ્વારા વૈજ્ઞાનિક અભ્યાસ કરાવ્યા બાદ તેઓ દ્વારા સુચવવામાં આવેલ પોઇન્ટ પર નિકાલ કરવાનો રહે છે. તેમ જણાવ્યુ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ મામલે ઉગ્ર વિરોધ થયો હતો સેવ પોરબંદર સી કમિટી દ્વારા આ મુદે લોકજાગૃતિ ના પણ અનેક કાર્યક્રમ કર્યા હતા. હવે લોકસભા ની ચૂંટણી ને ગણતરી ના દિવસ જ બાકી છે ત્યારે જ આ પત્ર આવતા અનેક ચર્ચાઓ જાગી છે.