પોરબંદરમાં જે.સી.આઈ. સાથે સંકળાઈ અનેકવિધ આયોજનો હાથ ધરનારા યુવાનની જે.સી.આઈ.માં રાષ્ટ્રીય સ્તરે ખજાનચી તરીકે પસંદગી થતા તેનો સન્માન સમારોહ યોજાયો હતો.
જેસીઆઈ પોરબંદરના પૂર્વ પ્રમુખ બિરાજ કોટેચાની જેસીઆઈ ઇન્ડિયાના રાષ્ટ્રીય ખજાનચી તરીકે પસંદગી થતાં જેસીઆઇ પોરબંદર દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.
જેસીઆઈ પોરબંદરે માત્ર દસ વર્ષના ટૂંકા ગાળામાં પોરબંદરથી શરૂ કરીને રાષ્ટ્રીય કક્ષા સુધી પ્રગતિના અનેક શિખરો સર કરી મહાત્મા ગાંધીની જન્મ ભૂમિ પોરબંદરનું હંમેશા ગૌરવ વધાર્યું છે, ત્યારે ફરી એક વખત જેસીઆઇ પોરબંદર પ્લસની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું છે.
જેસીઆઈ ઇન્ડિયાની નેશનલ કોંફરન્સમાં વર્ષ 2024ના હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી હતી જેમાં રાષ્ટ્રીય કક્ષાની ખૂબ જ મહત્ત્વની પોસ્ટ નેશનલ ટ્રેઝરર તરીકે રાષ્ટ્રીય નેતૃત્વએ પોરબંદર જેસીઆઇના સભ્ય બિરાજ કોટેચાની પસંદગી કરતાં જેસીઆઈ પોરબંદર દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.
આ સન્માન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, અતિથિ વિશેષ તરીકે માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ કારીયા, ઝોન ઉપપ્રમુખ રોનક દાસાણી, જેસીઆઇ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણિયા અને વિવિધ સામાજિક સંસ્થાઓના હોદેદારોએ ઉપસ્થિત રહી બિરાજ કોટેચાનું સન્માન કરી અભિનંદન આપ્યા હતા.
■ બિરાજ કોટેચાની JCI કારકિર્દી :
વર્ષ 2014માં સ્થાપક પ્રમુખ તરીકે લાખણશી ગોરાણીયાના નેતૃત્વમાં જેસીઆઇ પોરબંદર પ્લસની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે બિરાજ કોટેચા વર્ષ 2014માં જેસીઆઇ પોરબંદરના ઉપપ્રમુખ, 2015માં જેસીઆઇ પોરબંદરના પ્રમુખ, 2017માં ઝોન સેક્રેટરી, 2020માં ઝોન ઉપપ્રમુખ, 2021માં ઝોન પ્રમુખ, 2023માં જેસીઆઈ ઇન્ડિયાની ફાઇનાન્સ કમિટીના મેમ્બર તરીકે સેવા આપી હતી અને હવે 2024માં જેસીઆઈ ઇન્ડિયાના રાષ્ટ્રીય ખજાનચી તરીકે પસંદગી થઈ છે.
જેસીઆઈ ઇન્ડિયાના રાષ્ટ્રીય ખજાનચી તરીકે બિરાજ કોટેચાની પસંદગી તથા પોરબંદર જેસીઆઇ દ્વારા આયોજિત સન્માન સમારોહને સફળ બનાવવા પ્રમુખ આકાશ ગોંદીયા, સેક્રેટરી રાધેશ દાસાણી અને જેસીઆઇ પોરબંદરની સમગ્ર ટીમે જહેમત ઉઠવી હતી. કાર્યક્રમનું સંચાલન હાર્દિક મોનાણીએ કર્યું હતું.







