પોરબંદર ની નિરમા ફેકટરી પાછળ આવેલી હઝરત વલીયનશાહ પીરની દરગાહે ઉર્ષનું આયોજન કરાયું હતું જેમાં વિશાળ સંખ્યામાં હિન્દુ- મુસ્લીમો ઉમટી પડયા હતા.
પોરબંદરની નિરમા ફેકટરી પાછળ આવેલ સૌરાષ્ટ્રની પ્રખ્યાત હઝરત વલીયનશાહ પીરની દરગાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્ષની શાનદાર ઉજવણી થઇ હતી. ઉર્ષની આગલી રાતે સંદલ શરીફ કોડીનારથી ખાસ પધારેલ મહેમાને ખુશુસી પીરેતરીકત સૈયદ હાજી રફીકબાપુ કાદરીના હસ્તે ચડાવવામાં આવ્યું હતું ત્યારે કોડીનારથી અસ્લમબાપુ, જેતપુરથી સૈયદ અસલમ બાપુ (ખાદીમ ગેબનશાહપીર), ધ્રોલથી જાવિદ હુશેનબાપુ બુખારી, અમદાવાદથી રફીકભાઇ શેખ સહિતના સૌરાષ્ટ્રના સૈયદ સાદાતે કીરામ, ઓલમા-એ- કીરામ પણ ખાસ ઉપસ્થિત હતા.
ઉર્ષ શરીફ નિમિત્તે નિરમા ફેકટરીના હોદેદારોના હસ્તે દાયકાઓ જુની પરંપરા મુજબ ઉર્ષની પહેલી ચાદર દરગાહમાં ચડાવવામાં આવી હતી. આ ચાદરપોશીના પ્રોગ્રામમાં નિરમા કંપનીના મનીશભાઈ પટેલ સહિતના કંપનીના અધિકારીઓ તેમજ પોરબંદર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રામભાઈ ઓડેદરા, પોરબંદર ડીસ્ટ્રીકટ બાર એશો.ના પ્રમુખ એડવોકેટ એન.જી.જોશી, સીનીયર એડવોકેટ એમ.જી. શીંગરખીયા વગેરેનું દરગાહના ખાદીમ સૈયદ સાદીકર્મીયાબાપુ તરફથી શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ આપી, આવકારી સન્માન કરેલ હતું. તેમજ પોરબંદરના અનેક સામાજિક, સેવાકીય, રાજકીય જમાતોના આગેવાનો, પ્રમુખો અગ્રણીઓ ઉપસ્થિત હતા.
ઉર્ષ નિમિતે તલાલા ગીર (જાંબુર)ની પ્રખ્યાત સીદીબાદશાહની ધમાલ રાખવામાં આવી હતી. જે દરગાહ ખાતે ઉપસ્થિત અકીદતમંદોનું આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઉર્ષના દિવસે સાંજે આમ ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો હિન્દુ-મુસ્લિમ ભાઈ- બહેનોએ ન્યાઝનો લાભ લીધો હતો. ઉર્ષ શરીફ નિમિત્તે દરગાહમાં આકર્ષક રોશનીનો ઝળહળાટ પણ કરવામાં આવ્યો હતો. આ ઉર્ષના કાર્યક્રમોને સફળ બનાવવા માટે સૈયદ સાદીકર્મીયા હાસીમમીયા બુખારીના સાહબજાદાઓ મોહમ્મદમુસ્તુફાબાપુ બુખારી અને મોહમ્મદસીરાજુદ્દીન બાપુ બુખારીના નેજા હેઠળ મયુરસિંહ ગોહીલ, મોહમ્મદઅબરારબાપુ ધ્રોલવાળા, શબ્બીરભાઈ પલેજા, સલીમભાઈ મંઘરા, જાવેદભાઈ જોખીયા, ઘેલાભાઈ સોલંકી, મહેબુબખાન, અમુભાઈ નૌવ્હી, એડવોકેટ અકબર સેલોત સહિતના બસ તેરા કરમ ગ્રુપ પોરબંદર અને બસ તેરા કરમ ગ્રુપ જામનગરના સભ્યોએ ખાસ જહેમત ઉઠાવી હતી.







