પોરબંદર ના ૧ સહીત રાજ્ય ના ૩૫ માછીમારો અને ૧ સીવીલીયન ને પાકિસ્તાન ની જેલ માંથી ૩૦ એપ્રિલે મુક્ત કરાશે જેના પગલે માછીમારો ના પરિવારજનો માં ખુશી ની લાગણી જોવા મળે છે.
પોરબંદર બોટ એસોસિએશન ના પૂર્વ પ્રમુખ અને માછીમાર અગ્રણી જીવનભાઈ જુંગી એ આપેલ માહિતી મુજબ આગામી ૩૦ એપ્રિલે પાકિસ્તાન ની વિવિધ જેલ માં કેદ ૩૫ ખલાસી અને ૧ સીવીલીયન મળી ૩૬ નાગરિકો ને મુક્ત કરાશે. આ તમામ નાગરિકો નો કબ્જો તા ૨ ના રોજ વાઘા બોર્ડર ખાતે ભારત સરકાર ને સોપવામાં આવશે. મુક્ત થનાર તમામ માછીમારો ના નામ પણ પાક સરકારે જાહેર કર્યા છે. જે મુજબ પોરબંદર નો વિજય મોહન નામનો ખલાસી પણ મુક્ત થશે. જેના પગલે માછીમારો માં ખુશી ની લાગણી જોવા મળે છે.
જીવનભાઈ એ જણાવ્યું હતું કે મુક્ત થનાર તમામ માછીમારો છેલ્લા દોઢ થી બે વર્ષ થી પાકિસ્તાન ની વિવિધ જેલ માં કેદ હતા જેનું ફિશિંગ દરમ્યાન પાક મરીન દ્વારા અપહરણ કરાયું હતું. હાલ માં ૧૮૯ માછીમારો પાકિસ્તાન ની વિવિધ જેલ માં છે. જેમાં થી ૩૫ માછીમારો મુક્ત થયા બાદ પણ ૧૫૪ માછીમારો ત્યાની જેલ માં રહેશે. તેને પણ વહેલીતકે મુક્ત કરવા જોઈએ તેવી માંગ જીવનભાઈ એ કરી છે. અને માછીમારો ની રોજીરોટી સમાન અબજો રૂપિયા ની ૧૨૦૦ થી વધુ ફિશિંગ બોટો પણ પાકિસ્તાન ના વિવિધ બંદરો એ સડી રહી છે આ બોટો પણ પાક સરકારે પરત કરવી જોઈએ તેવું પણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ૧૦-૧૧-૨૩ ના રોજ દિવાળી ના તહેવાર પૂર્વે જ પાકિસ્તાન દ્વારા રાજ્ય ના ૮૦ માછીમારો ને મુક્ત કરાયા હતા એ અગાઉ પણ જુન અને જુલાઈ -૨૩ દરમ્યાન બે તબક્કા માં ૩૯૯ માછીમારો ને મુક્ત કરાયા હતા.
અમને પણ જલ્દી મુક્ત કરાવો –પાક જેલ માં કેદ માછીમારે લખ્યો પત્ર
પાકિસ્તાન દ્વારા ૩૫ માછીમારો ની મુક્તિ જાહેર કરાઈ છે. ત્યારે એ સિવાય અગાઉ થી પાકિસ્તાન ની જેલ માં રહેલા જીતેશ લખમણ નામના ખલાસી એ પણ ગત ૨૨ એપ્રિલ ના રોજ પત્ર લખ્યો છે જેમાં તેણે જેલ માં કેદ ખલાસીઓ ની વ્યથા વર્ણવી છે જે પત્ર નું લખાણ આ મુજબ છે.
જયભારત સાથે પાકિસ્તાનથી યાદ કરનાર જીતેશ લખમણના નમસ્કાર, ભવ્યેશને ખાસ જણાવવાનું કે અહીં અમારી રીલીઝ બાબતે તને જાણ કરુ છું.અહી લાંધી જેલ, કરાંચીમાં અમે કુલ ૧૮૩ માછીમારો કેદ છે. જેમાં ૧૪૮ માછીમારો ૨૦૨૧ અને ૨૦૨૨ના છે. અને ૩૫ માછીમારો અમારા પાછળથી પકડાયેલ ૨૦૨૩ના છે. અમે ૧૪૮ માછીમારોને અહીંની સુપ્રિમ કોર્ટ તા. ૧૭-૨-૨૦૨૩ના રોજ સજા માફ કરી દીધી હતી અને અમને તા. ૨-૭-૨૦૨૩ના રોજ રીલીઝ કરવાનો આદેશ પણ આપી દીધો હતો. આ બનાવને આજે ૧૦ મહિના થઇ ગયા હોવા છતાં અમને ૧૪૮ને રીલીઝ કરવામાં આવ્યા નથી. અને અમારી જગ્યાએ ૩૫ માછીમારોને રીલીફ કરવાની જાહેરાત કરવામાં આવી છે. અને અમને છુપાવી રાખ્યા છે. જેથી બહારથી આવતા વડીલોને અમે મળી શકતા નથી. અમારી બધાની હાલત ગંભીર છે.આ પરિસ્થિતિમાં ઘણા માછીમારો માનસિક સંતુલન ગુમાવી ગાંડા થઇ ગયા છે.
ઘણાને દિલની બિમારી અને બ્લડ પ્રેશર વધવાથી જેલની હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને ગયા વર્ષે ૫ અને આ વર્ષે ૧ માછીમારનું મૃત્યુ થયું છે. ભવ્યેશભાઈને કહે આ અરજીમાં દિનેશભાઈ અને હરેશ બેય ઉપર વોટસઅપ કરી કેજે કે દિવ-ફિશરીઝમાં સુપર સાહેબ પાસે લઇને જાય અને આ બનાવની જાણ કરે. આ અરજી તારી ભાભીને પણ વોટસઅપ કરીને કેજે કે વણાંકબારા નીતીન વકીલ પાસે આ અરજી લઇને જજે. અને નીતીન વકીલને કેવાનું કે આ દરખાસ્ત તાત્કાલિક ગાંધીનગર અને દિલ્હી મત્સ્યોદ્યોગ સચિવાલય મોકલાવો જેથી ભારત સરકાર અમને જલ્દીથી રીલીઝ કરાવે. આ નંબર પર વળતો જવાબ મોકલજો.”