પોરબંદર અને આસપાસ ના ૨૪ જેટલા લોકોને ઓસ્ટ્રીયા અને નોર્વેમાં નોકરી અપાવવાના બહાને કુણવદર ગામના શખ્સ અને રાજકોટ ની મહિલા એ ૯૮ લાખ રૂપિયા પડાવ્યા બાદ ૨૦ લાખ પરત આપીને ૭૮ લાખ રૂપિયા ન ચુકવતા બન્ને સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત ની ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદરના જ્યુબેલી વિસ્તારમાં કસ્તુરબા સ્કૂલની પાસે રહેતા અને ડ્રાઇવીંગનો વ્યવસાય કરતા પ્રતાપ ભીખુભાઈ ઓડેદરા(ઉવ ૩૩)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ફેબ્રુઆરી-૨૦૨૪માં તેને વિદેશ જવાની ઇચ્છા થતા યુ-ટયુબમાં કુણવદરના રામ સાજણ ગોઢાણીયા નામના શખ્સે મુકેલ વિડીયો જોયો હતો. એ વીડિયોમાં એક મહિલા પણ તેની સાથે હતી અને રામ ગોઢાણીયા વીડિયોમાં એવુ કહેતો હતો કે, ‘યુરોપના ઓસ્ટ્રીયા દેશમાં ખેતીકામ કરવા જવા ઇચ્છતા હોય તેમણે મારો સંપર્ક કરવો. મારી તમને ગેરેન્ટી છે કે હું તમને ઓસ્ટ્રેલિયાના વર્કવિઝા કરાવી દઇશ અને ઓસ્ટ્રેલિયા જવાનો વ્યક્તિદીઠ દસલાખ રૂપિયાનો ખર્ચ આવશે જેમાં અહીંથી જવાની પ્લેનની ટિકિટ, વિઝા સહિત તમામનો સમાવેશ થઇ જશે. પૈસા ચુકવ્યા બાદ ૯૦ દિવસમાં વિદેશ જવાનું થઇ જશે.’
આ વીડિયોમાં એવુ જણાવાયુ હતુ કે રાજકોટના જામનગર રોડ પર ક્રિસ્ટલ સ્કૂલ પાછળ શ્રીજીપાર્કમાં રહેતી મિતલ વિનયકુમાર સુરજીવાલા વિદેશ મોકલવાની બધી કામગીરી કરે છે અને જે કોઈએ વિદેશ જવુ હોય તેણે કુણવદરના રામ સાજણ ગોઢાણીયાનો સંપર્ક કરવો તેમ જણાવ્યુ હતુ. પોતાને વિદેશ જવુ હોવાથી પ્રતાપ ભીખુ ઓડેદરાએ વીડિયો જોઇને કુણવદરના રામ સાજણ ગોઢાણીયાને ફોન કર્યો હતો. તેણે એવુ જણાવ્યુ હતુ કે, ‘તમારું કામ તાત્કાલિક થઈ જશે. રાજકોટ ખાતે અયોધ્યાચોક ખાતે મિતલ સુરજીવાલાની ઓફિસ આવેલી છે તેને ત્યાં જઈને લખાણ કરાવી આપો. તમારે મને ૫૦ હજાર રૂપિયા કમીશન પેટે આપવાના રહેશે. હું મિતલને વાત કરી દઇશ એટલે તમારું કામ ચાલુ થઇ જશે’
ત્યારબાદ પ્રતાપ ઓડેદરા મિતલને ફોન કરીને રૂબરૂ તેની ઓફિસે મળવા ગયો હતો અને મિતલે એવુ કહ્યુ હતુ કે, ‘ઓસ્ટ્રીયા જવા માટે તમારી ફાઈલ મૂકવી પડશે. અને પહેલા તમારે દોઢ લાખ આપવા પડશે. જોબ ઓફર લેટર આવે ત્યારે ૫૦ હજાર આપવા પડશે. વર્કપરમીટ આવે ત્યારે દોઢ લાખ આપવા પડશે અને મેડિકલના ૮૦૦૦ આપવાના રહેશે. આ બધા રૂપિયા આપી દો એટલે ૯૦ દિવસમાં તમારુ ઓસ્ટ્રીયા જવાનું કન્ફર્મ થઇ જશે.’ પ્રતાપ રાજકોટ ખાતે મુલાકાત કરીને પોરબંદર આવ્યો હતો અને તા. ૨૭-૨-૨૪ના ફરીથી મિતલની ઓફિસે ગયો હતો અને નોટરી રૂબરૂ લખાણ થયુ હતુ જેમાં મિતલે એવુ કહયુ હતુ કે, ‘એક-બે દિવસમાં દોઢ લાખ રૂપિયા રામ ગોઢાણીયાને આપી દેજો’
તેથી તા. ૧-૩-૨૪ના ફરિયાદી પ્રતાપ કુણવદર ખાતે રામ ગોઢાણીયાની વાડીએ ગયો હતો અને દોઢ લાખ રૂપિયા રોકડા આપી દીધા હતા અને રામે ‘આ રૂપિયા હું મિતલને મોકલી આપીશ તમારો જોબ ઓફર લેટર આવે ત્યારે ૫૦ હજાર આપવાના રહેશે. રામે કહ્યું હતુ કે, ‘તમે મારા ઉપર વિશ્વાસ રાખો તમારુ ૧૦૦ ટકા વિદેશ જવાનું થઇ જશે.’
બે લાખ રૂપિયા આપી દીધા બાદ ત્રણ -ચાર મહિના પછી પણ ફરિયાદી પ્રતાપની વર્ક પરમીટ નહી આવતા મિતલ સુરજીવાલા અને કુણવદરના રામ સાજણ ગોઢાણીયાને ફોન કરતા વારંવાર આશ્વાસન આપવામાં આવતુ હતુ કે ‘થોડા દિવસમાં તમારી વર્ક પરમીટ આવી જશે.’ ત્યારબાદ તા. ૬-૮-૨૦૨૪ના મિતલ સુરજીવાલાએ ફરિયાદી પ્રતાપને વોટસએપમાં વર્ક પરમીટ લેટર મોકલ્યો હતો અને દોઢ લાખ રૂપિયા રામ ગોઢાણીયા પાસે જમા કરાવવાનું કહ્યુ હતુ અને રામ પણ રૂપિયા જમા કરાવવા માટે ફોન કરતો હતો તેથી પાંચેક દિવસમાં પ્રતાપે દોઢ લાખ રૂપિયાની વ્યવસ્થા કરીને તેના ઘરે જઇને આપી આવ્યો હતો.
વધુ દોઢ લાખ રૂપિયા આપ્યા પછી પણ પ્રતાપનું વિદેશ જવાનું થયુ નહીં. જેટલા લોકોને મિતલ અને રામભાઈ મારફતે ઓસ્ટ્રીયા જવાનું હતુ તેનું એક વોટસએપ ગૃપ બનાવાયુ હતુ જેમાં બધા લોકો એ બંનેને મેસેજ કરીને ‘અમારું વિદેશ જવાનું કયારે થશે?’ તેમ કહેતા હતા અને બંને જણા ‘થોડા સમયમાં થઇ જશે’ તેમ કહેતા હતા. ત્યારબાદ ફરિયાદી પ્રતાપને ૨૯-૧૧-૨૦૨૪ના મિતલે મેસેજ કરીને મેડિકલની ફી જમા કરાવવાનું કહી વધુ ૭૫૦૦ રૂપિયા ગુગલ-પે થી પડાવી લીધા હતા.
ત્યારબાદ મિતલ વિનયકુમાર સુરજીવાલાએ ફરિયાદી સહિત અન્ય ૪૦ થી ૫૦ લોકોની બસ બંધાવીને નવી દિલ્હી ખાતે ઓસ્ટ્રીયા એમ્બેસીમાં મોકલ્યા હતા અને ત્યાં જઇને એવુ જાણવા મળ્યુ હતુ કે મિતલે જે જોબ ઓફર લેટર, વર્ક પરમીટ લેટર આપ્યા હતા તે બધુ ફ્રોડ છે અને આ બધુ સ્કેમ છે તેવુ જણાવ્યુ હતુ. દિલ્હીથી પરત ફરેલા પ્રતાપ ઓડેદરા સહિતના યુવાનોએ મિતલને અને રામને ફોન કરીને ‘આ બધું શું છે?’ તો એણે ‘આ ફ્રોડ નથી હું તમારુ થોડા દિવસોમાં ઓસ્ટ્રીયા જવાનું ગોઠવી આપીશ.’ એમ કહી વાયદા કર્યા હતા પરંતુ વિદેશ મોકલ્યા ન હતા.
પોરબંદરમાં ફરિયાદી સહિત અનેક યુવાનો સાથે છેતરપીંડી થયાનું જણાતા મહેર જ્ઞાતિના સંગઠન મહેર શક્તિ સેનામાં સમગ્ર વિગતો જાહેર કરી હતી અને મહેર શક્તિ સેના દ્વારા રાજકોટની મિતલ સુરજીવાલાને પોરબંદર બોલાવવામાં આવી હતી અને જેટલા લોકોએ રૂપિયા આપ્યા છે તેમને પરત કરવા જણાવ્યુ હતુ. તા. ૪-૩-૨૦૨૫ના ફરિયાદી પ્રતાપ અને તેની સાથેના આશરે ૪૦ થી ૫૦ લોકોને નોટરી રૂબરૂ લખાણ કરી આપ્યુ હતુ કે ‘તા. ૧૭-૬-૨૦૨૫ સુધીમાં તમારી તમામ રકમ ચૂકવી આપશુ અને જો અમે તમને રૂપિયા ચુકવી શકીએ નહી તો પક્ષકાર કોઇપણ કાર્યવાહી કરવા હકકદાર રહેશે”
આ સમયગાળા દરમ્યાન મિતલે કટકે-કટકે ૧ લાખ ૨૦ હજાર જેવી રકમ ફરિયાદીને પરત આપી હતી. એ સિવાયના ૨ લાખ ૯૭ હજાર ૫૦૦ લેવાના બાકી રહેતા હતા. એ જ રીતે મિતલે બીજા લોકોને પણ ૫૦ હજારથી ૨ લાખ રૂપિયા સુધીની રકમ પરત આપી હતી અને બાકીના રૂપિયા ચુકવ્યા ન હતા. જેથી અંતે પોલીસ ફરિયાદ કરવાનું નકકી થયું હતુ.
આથી અંતે ફરિયાદી પ્રતાપ ઓડેદરા અને તેની સાથે અન્ય ૧૫ થી ૨૦ લોકો તેમની સાથે થયેલ ફ્રોડ અંગે ઉદ્યોગનગર પોલીસમથક ખાતે રૂબરૂ આવીને પોલીસ ફરિયાદ નોંધાવવા પહોંચી ગયા હતા અને કોના કેટલા રૂપિયાનું બુચ લાગ્યુ તેની વિગત પણ પોલીસને આપી હતી. એટલું જ નહી પરંતુ નોટરીની રૂબરૂનું સોગંધનામુ સહિત તમામ દસ્તાવેજો પોલીસને આપ્યા હતા અને ફરિયાદી તથા અન્ય ૨૩ લોકો પાસેથી રોકડા, ઓનલાઇન, ગુગલ-પે, ફોન-પે મારફતે તેમજ બેન્ક તથા આંગડીયાપેઢી દ્વારા કુલ રૂા. ૯૮ લાખ ૧૩ હજાર ૬૬૬ લીધા બાદ ઓસ્ટ્રીયા અને નોર્વેમાં નહી મોકલીને લેવાયેલી રકમ પૈકી ૨૦ લાખ ૧૦ હજાર પરત કર્યા અને બાકીના ૭૮ લાખ 2 હજાર ૬૬૬ રૂપિયા પરત કર્યા ન હતા.
પોલીસ ફરિયાદમાં કોના કેટલા રૂપિયા ગયા તેની વિગત આપવામાં આવી છે જેમાં ફરિયાદી પ્રતાપ ભીખુ ઓડેદરા ઉપરાંત કેશોદના અગતરાય ગામના રામદે મોહન ચૌહાણ, બોખીરાના કૃષ્ણનગરમાં રહેતા લાખા કેશવ કેશવાલા, નરસંગ ટેકરીના હાર્દિક માધવજી ચુડાસમા, કાંટેલાના અજીત પોલા વિકમા, મૂળ જામનગરના દોઢીયા વાડી વિસ્તારના તથા હાલ કોલીખડાની દાદર સીમમાં રહેતા સવદાસ મુરુ ખુંટી, બાવળવાવના દેવશી મુંજા સીસોદીયા, રાણપરના કાંધા લીલા અમર, વડાળાના મુકેશ દેવા મોઢવાડીયા, આદિત્યાણાના વિક્રમ રાજા પરમાર, બોખીરાના વાડી વિસ્તારમાં રહેતા સાજણ રામ મંડેરા, ગોસા ટુકડાના રાજશી દેવદાસ ઓડેદરા, ટુકડા ગોસાના રાજુ પરબત ઓડેદરા, પાટણના હારીઝ તાલુકાના કાતરા ગામના રાજેન્દ્ર વેલાભાઈ ચૌધરી, કલ્યાણપુરના ભોગાત ગામના દીપક સવદાસ કરંગીયા, કીંદરખેડાના લાખણશી પરબત ઓડેદરા, આદિત્યાણાના ભરત રાજા પરમાર, ગોસા ટુકડાના લખમણ અરભમ ઓડેદરા, ગોસા ટુકડાના ભરત માંડણ ઓડેદરા, બળેજના ભરત સરમણ પરમાર, રીણાવાડાના ભીમા લખધીર ઓડેદરા, કુતિયાણાના ધરસનગામના જાયણીબેન હરદાસ મહીયારીયા ઉપરાંત લાલપુરના ગજાના ગામના માલદે ભીમા પરમાર તથા ખેડાના સરદારપુરા ગામના સતીશકુમાર અરવિંદ ભોજાણીના રૂપિયાની છેતરપીંડી થયાનું બહાર આવ્યુ છે
ચીટીંગ કરનાર કુણવદરના રામ સાજણ ગોઢાણીયા અને રાજકોટની મિતલ વિનયકુમાર સુરજીવાલાને બેન્ક એકાઉન્ટમાં, ગુગલ પે મારફતે, રોકડા, આંગડીયા પેઢી મારફતે રકમ મોકલવામાં આવી છે જેમાં અમુક રકમ કુણવદર રામ સાજણ ગોઢાણીયાના દીકરા રણજીતના બેન્ક એકાઉન્ટમાં પણ જમા થઇ હોવાનું પોલીસને જણાવાયુ છે.