પોરબંદર અને ભાણવડના ચૌદ લોકો ને સિંગાપુર હોટેલમાં નોકરી અપાવવાના ૧૭ લાખ ની છેતરપિંડી કરનાર શખ્શ ને ઝડપી લીધા બાદ તપાસ દરમ્યાન પોલીસે મુખ્ય સુત્રધાર સહીત બે શખ્સો ને ઝડપી લઇ તેની પાસે થી ૨૬ પાસપોર્ટ પણ રીકવર કર્યા છે.
ભાણવડ ગામે રણજીતપરામાં શિવ નગરમાં રહેતા અને મોબાઈલ રીપેરીંગનો ધંધો કરતા ભરત નાગાભાઇ પીપરોતર નામના યુવાને તા. ૧૬-૩-૨૨ના પોરબંદરના કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ નોંધાવી હતી કે બોખીરા તુંબડા વિસ્તાર માં રહેતા દેવશી ઉર્ફે દેવ કનૈયાલાલ પરમાર નામના શખ્સે પોતાના સહીત પોરબંદર અને ભાણવડ ના ૧૪ લોકો ને સિંગાપુર હોટલ માં નોકરી અપાવવાના નામે ૧૭ લાખ ૬૫ હજાર ની છેતરપિંડી કરી હતી.
તમામ લોકો એ તેને રોકડ ઉપરાંત સિંગાપુર જવા માટે અસલ પાસપોર્ટ પણ આપ્યા હતા. જે લઇને દેવશી ગામ છોડીને જતો રહ્યો હતો. દેવશી ને પોલીસે બે દિવસ પહેલા સુદામા ચોક ખાતે થી ઝડપી લીધા બાદ પી એસ આઈ આર કે કામ્બરીયા સહીત સ્ટાફે તેની પૂછપરછ કરતા આ કૌભાંડ માં કમલાબાગ નજીક ઓમ એકેડેમી ચલાવતા કેયુર ભાનુપ્રતાપ જોષી નામના શખ્સની પણ સંડોવણી હોવાનું જણાવ્યું હતું. અને મુખ્ય સુત્રધાર અરવલ્લી ના જનાલી ગામે રહેતો વિપુલ ચંદુભાઇ ચૌધરી હોવાની પણ કબુલાત આપી હતી. અને ભોગ બનનાર તમામ ના અસલ પાસપોર્ટ પણ વિપુલ પાસે હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસ ની ટીમે અરવલ્લી ખાતે જઈ વિપુલ ની પણ ધરપકડ કરી તેની પાસ થી ૨૭ જેટલા ભારતીય પાસપોર્ટ રીકવર કર્યા છે. અને ભોગ બનનાર ને પોતાના પાસપોર્ટ મેળવવા કિર્તીમંદિર પોલીસ મથક નો સંપર્ક કરવા પણ પોલીસે જણાવ્યું છે. હજુ આ મામલે કેટલાક શખ્સો ની સંડોવણી ખુલશે તેવી શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.