પોરબંદર
સુદામાપુરીમાં રામ જન્મોત્સવની ત્રિદિવસીય ઉજવણીની તૈયારી ધમધમી રહી છે. જેમાં ભવ્યાતિભવ્ય શોભાયાત્રા, રામધુન,રામ યજ્ઞ સહિતના કાર્યક્રમ યોજાશે.
પોરબંદર ખાતે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રીરામના જન્મ મહોત્સવ રામનવમી નિમિત્તે તા. ૧૦ને રવિવારે બપોરે બે વાગ્યે ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.જેનું પ્રસ્થાન જાનકી મઠ, બ્રાન્ચ સ્કૂલ સામેથી શ્રીરામ ભગવાનની આરતી ઉતારી કરવામાં આવશે.તે પહેલા તા. ૮ના રોજ સવારે ૯ વાગ્યે શ્રીરામ યજ્ઞનું આયોજન થયું છે.તો તા ૯ના રોજ સાંજે ૪:૩૦ કલાકે સત્ય નારાચણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.ઉપરાંત રામધુનના પ્રખ્યાત ગાયક કલાકારો દ્વારા તા. ૯ના રોજ રાત્રીના ૯:૩૦ કલાકે રામધુનનું આયોજન કરવામાં આવ્યું છે.
શોભાયાત્રાનું પ્રસ્થાન જાનકી મઠ ખાતે થી થશે જે હનુમાન ગુફા ચાર રસ્તા, રામટેકરી, ખોજાખાના ચાર રસ્તા, સુદામા ચોક ચાર રસ્તા, એમ.જી. મેઇન બજાર થઇ માણેક ચોક- કસ્તુરબા ગાંધી રોડ, સ્વસ્તિક હોલ- બંદર રોડ- પાલાનો ચોક, ખારવા સમાજ મઢી પંચાયત મંદિરથી થઇ શહીદ ચોકથી જાનકી મઠે યાત્રા પૂર્ણ થશે.આ શોભાયાત્રામાં વેશભુષા હરિફાઇમાં ભાગ લેનાર દરેક વ્યક્તિને પ્રોત્સાહન ઇનામ અપાશે.હાલ માં વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ ના યુવાનોએ શહેરમાં ઠેર ઠેર ભગવી ધ્વજાઓ લગાડવા સહિત બેનરો અને નિમંત્રણ માટેના પોસ્ટરો લગાડવાની તથા પત્રિકા વિતરણની કામગીરી ધમધમાવી છે.મોટી સંખ્યામાં હિન્દુ સમાજના પરિવારો શોભાયાત્રા સહિત કાર્યક્રમોમાં જોડાય તેવી અપીલ પણ કરવામાં આવી છે.ઉપરાંત શોભાયાત્રા માટે અયોધ્યા મોડેલની પાલખીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.આ વર્ષે કોરોનાના કાળ પછીની સૌથી વિશાળ શોભાયાત્રાનું આયોજન થયું છે ત્યારે હિન્દુ સમાજમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બ્રહ્માંડના અધિપતિ અને સમસ્ત સનાતન હિન્દુ સમાજના ઈષ્ટદેવ એવા મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામ જેમણે આ ધરતી પર અવતાર ધારણ કરી દુષ્ટોનો સંહાર કરી સમસ્ત માનવજાતિનો ઉધ્ધાર કરેલ જેના જન્મોત્સવના પાવન પ્રસંગે ધામધુમ અને હર્ષોલ્લાસથી ઉજવવા પોરબંદરની ભવ્યાતિભવ્ય અને મોટામાં મોટી શોભાયાત્રામાં જોડાઇને મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રીરામના આશીર્વાદ લેવા માટે નગરજનોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.