પોરબંદર
‘રેઝવાન અદાતિયા ફાઉન્ડેશન’ (આરએએફ) ગ્લોબલ, એક આંતરરાષ્ટ્રીય બિન-નફાકારક સ્વૈચ્છિક સંસ્થા છે. તે વર્ષ 2015થી ભારત સહિત આફ્રિકા અને એશિયાના ઘણા દેશોમાં કાર્યરત છે. સંસ્થાએ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં “જીએમઈઆરએસ જનરલ હૉસ્પિટલ’ સાથે મળીને 960 એલપીઅએમનો “પ્રેસર સ્વિંગ એડ્સોર્પશન્સ’ (પીએસએ) મેડિકલ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ’ સ્થાપ્યો છે.
“ઝરીના ફાઉન્ડેશન’ અને ‘આરએએફ-ઇન્ડિયા’ના નાણાકીય સહયોગથી, ગુજરાતના જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં આરએએફના માનવીય કાર્યક્રમોના ભાગ રૂપે આ પહેલ કરવામાં આવી રહી છે. કોવિડ-19 સંક્રમણથી પીડિત દર્દીઓની સારવાર કરવા માટે જિલ્લા તંત્રને સહયોગ પૂરો પાડવાનો આ પહેલનો હેતુ છે.વિવિધ શહેરોમાં, જિલ્લા સ્તરે જાહેર આરોગ્ય સેવા વિતરણ વ્યવસ્થાને મજબૂત કરવા માટે આરએએફ પ્રતિબદ્ધ છે, કે જેથી સ્થાનિક સમુદાયના વધુ ને વધુ લોકો સ્થાનિક સ્તરે જ અસરકારક સારવાર પ્રાપ્ત કરી શકે.
કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા પછી છેલ્લા ઘણા મહિનાઓથી, ભાગીદારોએ જિલ્લા હોસ્પિટલના પરિસરમાં વિશ્વ-કક્ષાના મેડિકલ ઓક્સિજન જનરેશન પ્લાન્ટની સુવિધા સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે. 17મી માર્ચ, 2022ના રોજ અગ્રણી દાતા ઉમેદઅલી હાસમ ધ્રોલિયાએ જૂનાગઢ જિલ્લાના લોકોને ભેટ આપેલા મેડિકલ ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું ઉદઘાટન કર્યું.આ પ્રસંગે ઉમેદઅલી હાસમ ધ્રોલિયાએ જણાવ્યું હતું કે, “મને ખરેખર આનંદ થાય છે કે આ
પ્લાન્ટ, જીએમઈઆરએસ જનરલ હૉસ્પિટલની, જીવન બચાવવાની ક્ષમતાને વધુ મજબૂત બનાવશે. આ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ, જૂનાગઢ તેમ જ સમગ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રના લોકોને ખૂબ ઉપયોગી નીવડશે.”
ધ્રોલિયાએ અગાઉ આંતરરાષ્ટ્રીય સ્તરે આરએએફ ગ્લોબલની અનેક અગત્યની પહેલને સમર્થન આપ્યું છે અને તેઓ તેમના વતનના રાજ્ય ગુજરાતના વિકાસમાં યોગદાન આપવા માટે ઉત્સાહી છે.
આરએએફ ગ્લોબલના ચેરમેન રિઝવાન અદાતિયાએ જણાવ્યું હતું કે, “સંસ્થાનો વ્યાપક ઉદેશ્ય,સમુદાય માટે બહેતર આરોગ્યસંભાળ, શિક્ષણ અને આજીવિકાની તકોમાં સુધારો કરીને જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો છે. “ઓક્સિજન જનરેશન પ્લાન્ટ’ની આ ગિફ્ટ, જૂનાગઢ જિલ્લામાં જાહેર આરોગ્યસંભાળના માળખાને મજબૂત કરવા અને સ્થાનિક સમુદાયની, ખાસ કરીને જેમને આરોગ્યસંભાળ સેવાઓ પરવડતી નથી એવા ગરીબ દર્દીઓની એકંદર સુખાકારીમાં યોગદાન આપશે.”
જીએમઈઆરએસ જનરલ હૉસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. સુશીલ કુમારે, તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, જિલ્લા હૉસ્પિટલની રોજિંદી તબીબી ઓક્સિજનની જરૂરિયાતોને પહોંચી વળવા ઉપરાંત, આ મેડિકલ ઓક્સિજન જનરેશન પ્લાન્ટના ફળ સ્વરૂપે, હૉસ્પિટલમાં વધારાના 200 ઓક્સિજનયુક્ત બેડ (પથારી) બનશે અને આગામી 10 વર્ષ સુધી મહત્ત્વપૂર્ણ જીવન બચાવવાની હૉસ્પિટલની ક્ષમતામાં વધારો થશે.
‘રિઝવાન અદાતિયા ફાઉન્ડેશન’ (આરએએફ) દ્વારા કોવિડ-19ની બીજી લહેર સામે લડવા માટે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટિના, માંગરોળ તથા કેશોદના સામુદાયિક આરોગ્ય કેન્દ્રોને ઓક્સિજન સિલિંડર અને ઓક્સિજન કોન્સન્ટ્રેશન સાથે બીજી વિવિધ આરોગ્ય જરૂરિયાતો બાબતે સહાય પૂરી પાડવામાં આવી છે. અત્યાર સુધીમાં, આરએએફ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સર્વાગી ગ્રામ વિકાસ, આર્થિક એકીકરણ, મહિલાઓ અને યુવાનો માટે આજીવિકાનો સહયોગ, શિક્ષણ અને તકનિકી, આરોગ્ય અને પોષણ પહેલ તેમ જ સુશાસન જેવાં ક્ષેત્રોમાં વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. રત રહીને 10 લાખથી વધુ લાભાર્થીઓ સુધી પહોંચ્યું છે.
ભારતમાં “રિઝવાન અદાતિયા ફાઉન્ડેશન’એ બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર,ગોવા અને દિલ્લીને આવરી લેતા 15થી વધુ જિલ્લાઓમાં વિકાસકાર્યોને સમર્થન આપ્યું છે. હાલમાં, આરએએફ (ભારત), રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં લાંબાગાળાનાં કાર્યો કરી રહ્યું છે. વર્ષ 2015થી, અમે ભારતમાં 6 લાખથી વધુ લોકો સુધી તેમ જ સમગ્ર એશિયા અને આફ્રિકામાં 10 લાખથી વધુ લાભાર્થીઓ સુધી પહોંચ્યા છીએ.