પોરબંદર
રાણાવાવની સરકારી વિનયન કૉલેજ ખાતે સર્જનાત્મક અભિવ્યક્તિધારા અંતર્ગત ૧૨મી અને ૧૩મી જાન્યુઆરી,૨૦૨૨ સુધી બે દિવસીય ‘વાર્તાલેખન કાર્યશાળા’નું આયોજન કરવામાં આવ્યું હતું.
સર્જનાત્મક અભિવ્યક્તિધારા દ્વારા બે દિવસીય ૧૨મી અને ૧૩મી જાન્યુઆરી ૨૦૨૨ન રોજ ‘વાર્તાલેખન : કાર્યશાળા’નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યશાળામાં સરકારી વિનયન કૉલેજ રાણાવાવના ૩૨ જેટલા વિદ્યાર્થીઓએ આ કાર્યશાળાનો લાભ લીધો હતો.આ બે દિવસીય કાર્યશાળામાં ૧૨મી જાન્યુઆરીના રોજ પોરબંદરના જાણીતા વાર્તાકાર હરીશ થાનકી હાજર રહ્યા હતા.અને વાર્તાલેખનની બારીકાઇ સમજાવી હતી.વાર્તાલેખન માટે સર્જકના ચિત્તમાં કેવી મથામણ થતી હોય,કથાવસ્તુ કઈ રીતે આવે,પાત્રો કેવા અને કેટલા હોય એ સંદર્ભે પાયાની સમજણ આપી હતી.
હરીશ થાનકી પોતે વાર્તાકાર હોવાના નાતે વાર્તાની શરૂઆત કેવી રીતે કરી શકાય,પાત્રોનું વર્ણન કેમ કરી શકાય, ભાષા કેવી રીતે કામ કરે એ સંદર્ભે વિદ્યાર્થીઓ પાસે થોડી કસરત પણ કરાવી હતી.૧૨મી જાન્યુઆરી ૨૦૨૨ના રોજ આખો દિવસ હરીશ થાનકીએ રાણાવાવ કોલેજના વિદ્યાર્થીઓ માટે ફાળવ્યો હતો.ગુજરાતી ભાષાની ઉત્તમ વાર્તાઓના ઉદાહરણ પણ એમણે આપ્યા હતા.આનંદની વાત એ રહી કે હરીશ થાનકીએ એમના બે વાર્તાસંગ્રહ ‘કૂખ’ અને ‘પ્રતિબિંબનો પડછાયો’ સરકારી વિનયન કૉલેજ રાણાવાવને ભેટ સ્વરૂપે આપ્યા હતા.
જયારે વાર્તાલેખનના બીજા દિવસે એટલે કે ૧૩મી જાન્યુઆરીના રોજ ગુજરાતી ભાષાના જાણીતા વાર્તાકાર માવજી મહેશ્વરીએ ઓનલાઈન માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને વર્તાલેખનના અનુભવો જણાવ્યા હતા.માવજીભાઈના કહેવા મુજબ વાર્તા લેખન વિષે કહેવું થોડું અઘરું છે.છતાં એમના વાર્તાલેખનના લાંબા અનુભવ ઉપરથી એમણે કહ્યું કે વાર્તાલેખન કોઈને શીખવાડી ના શકાય,જેમ તરતા શીખવા માટે કોઈ ટીપ્સ ના હોય એમ વાર્તાલેખનની પણ કોઈ ટીપ્સ ના હોય. તરતા શીખવા માટે પાણીમાં ઉતરવું પડે તેમ વાર્તાલેખન માટે વાર્તા લખવા પ્રવૃત્ત થવું પડે.
માવજીભાઈએ હજુ કેવા કેવા વિષય વાર્તાથી અલિપ્ત રહ્યા છે એની પણ નિરાંતે વાત કરી હતી.વાર્તાલેખન કોઈપણ સર્જક માટે પડકારરૂપ હોય છે.માવજીભાઈએ જણાવ્યું કે ટેકનોલોજી અને બદલાતી માનવ સંવેદના,માછીમારી સાથે સંકળાયેલ સમાજ જેવા અનેક વિષયો હજુ ગુજરાતી વાર્તામાં આવ્યા નથી.માવજીભાઈએ ઓનલાઈન માધ્યમ દ્વારા તાલીમમાં જોડાવાના કારણે ગુજરાતભરમાંથી અનેક વાર્તાકારો,અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને વાર્તારસિકો જોડાયા હતા. વાર્તાલેખન કાર્યશાળા નું આયોજન આચાર્ય ડો. કે. કે. બુદ્ધભટ્ટીના માર્ગદર્શન હેઠળ સર્જનાત્મક અભિવ્યક્તિધારાના કન્વીનર ડો. હિરજી સિંચ દ્વારા કરવામાં આવ્યું હતું.