પોરબંદર
પોરબંદર શહેર ને આગવી ઓળખ અપાવનાર અને પોરબંદરના રાજાશાહી યુગના સૂર્યને અસ્ત થતા જોનારા અંતિમ રાજવી પ્રજાવત્સલ મહારાણા નટવરસિંહજીની આજે 41 મી પુણ્યતિથી છે.ત્યારે પોરબંદરના સંશોધક નિશાંત બઢે આપેલી માહિતી મુજબ વર્ષો પૂર્વે રાજાશાહી જમાનામાં તે સમયે વિદેશની યાત્રા પરથી પરત થતા પોરબંદરની પ્રજાના માનસપટ પર છવાયેલા અને પોરબંદરની પ્રજાના પ્રિય મહારાણા નટવરસિંહજી સાહેબના મનમાં આવેલ એક વિચારને તેઓની દીર્ઘદ્રષ્ટા સાથે તે સ્વપ્નને સાકાર કરવાનો સંકલ્પ કર્યો.
પોરબંદરના મુખ્ય માર્ગો જ્યાં મળતા હોઈ તેવા હનુમાન ફૂવારા પાસે આવેલ તમામ ઈમારતો ગોળ ગુમ્બજવાળી બનાવવાનું ફરમાન કર્યું.સમગ્ર પોરબંદરમાં ભૂગર્ભ વાયરીંગ અને ભૂગર્ભગટરનું નિર્માણ કરવામાં આવ્યું.આ ઉપરાંત શહેરમાં મુસાફરો અને વટેમાર્ગુઓની યાતનાનો ખ્યાલ કરી પોરબંદરના માર્ગો પર અનેક વિસામાઓ બાંધવામાં આવ્યા તથા પગથીયાવાળી વાવોનું પણ નિર્માણ કરવામાં આવ્યું.
1920-1921 શહેર સુધારણા યોજના અન્વયે લોકોને પોષાય તેમજ લોકોની સુખ-સુવિધાઓ જળવાય રહે તે માટે નવા પ્લોટો પાડી શહેરનો ઉન્નત વિકાસ કરવામાં આવ્યો. જેમાં 1922 માં ગોપનાથ પ્લોટ, 1935 માં વાડીપ્લોટ અને ભોજેશ્વર પ્લોટ, 1940 માં ભદ્રકાલી પ્લોટ અને છેલ્લે 1945 માં વાઘેશ્વરી પ્લોટ વિકસાવવામાં આવ્યો.પોરબંદરમાં સર્વપ્રથમ કીન્ટર ગાર્ડન શિક્ષણની શરૂઆત તેઓ દ્વારા કરવામાં આવી હતી.
બાળપણથી જ શિક્ષણ પ્રત્યેની એમની રૂચી વધુ હતી.તેઓનું પ્રાથમિક શિક્ષણ પોરબંદર અને રાણાવાવ ખાતે થયું અને ત્યારબાદ રાજકોટ ખાતે આવેલ આર.કે.સી. કોલેજ ખાતે અભ્યાસ પૂર્ણ કરેલો.પોરબંદરના સામાન્ય લોકોને અને તેમની પ્રિય જનતાને સારૂં શિક્ષણ મળી રહે તે માટે તેઓએ રાજકોશમાંથી 1937 માં સર હેન્કોક મેમોરીયલ મીડલ સ્કૂલનું નિર્માણ કર્યું હતું જે આજે પ્રશાસનની ઉદાસીનતાને કારણે ખંડેર હાલતમાં જોવા મળે છે.
અને આઝાદી બાદ 1955 શિક્ષકોને શિક્ષણ મળી શકે તેવા માટે આર.કે.સી. કોલેજ-રાજકોટ જેવો જ માહોલ મળી રહે તેવો રાજમહેલ અને રાજની જમીન માત્ર અને માત્ર શિક્ષણના હેતુ માટે દાન કરેલી હતી જેની પુન:રોત્થાનની કામગીરી પોરબંદરની પ્રજાની લાંબી જહેમત બાદ શરૂ છે.
આજના સમયમાં એક સાથે અનેક કામોમાં અને તેમાં પારંગત થવું જ્યારે અઘરૂં છે ત્યારે મહારાણા નટવરસિંહજી સાહેબે 1932 માં ભારતની પ્રથમ ક્રિકેટ ટીમના સુકાની રહ્યા હતા. 1933 માં લંડન ખાતે ‘ઓરીયેન્ટલ મૂન’ નામક એક મ્યુઝીક આલ્બમ બનાવ્યું હતું. મહારાણા નટવરસિંહજી સાહેબને 1911 માં “દિલ્હી દરબાર ગોલ્ડ મેડલથી, 1929 માં “નાઈટ કમાન્ડર ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઈન્ડિયા, 1935 માં “કિંગ જ્યોર્જ વી સિલ્વર જ્યુબીલી મેડલ, 1937 માં “કિંગ જ્યોર્જ વીઆઈ કોર્પોેરેશન મેડલ અને 1947 માં “ઈન્ડિયન ઈન્ડીપેન્ડેન્સ મેડલ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આવી ઘણી ખરી અસાધારણ ઉપલબ્ધીઓ અને સરળ સ્વભાવના પ્રજાવત્સલ ખરા અર્થમાં રાજવીની 41 મી પુણ્યતિથી નિમીત્તે તેમને ઈતિહાસ સંશોધક નિશાંત બઢે શબ્દાંજલી વર્ણવી છે.