પોરબંદર
પોરબંદર જિલ્લામાં એક સાથે 15 વેટલેન્ડ ખાતે બે દિવસીય પક્ષી ગણતરીનું આયોજન કરાયું હતું.જેમાં રાજ્યભર ના 60 થી વધુ પક્ષીવિદો દ્વારા બે સેશન માં કામગીરી કરવામાં આવી હતી.ગણતરી માં ૧૧૯ પ્રજાતિ ના ત્રણ લાખ છવ્વીસ હજાર વોટરબર્ડ નોંધાયા હોવાનું સામે આવ્યું હતું.
પોરબંદરમાં શિયાળા ના સમયમાં લાખો ની સંખ્યા માં વિદેશી પક્ષીઓ નું આગમન થાય છે.જિલ્લામાં નાના મોટા 250 જેટલા વેટલેન્ડ માં નવેમ્બર થી માર્ચ સુધી લાખો પક્ષીઓ નો જમાવડો જોવા મળે છે.ત્યારે જિલ્લાના મુખ્ય ૧૫ જળ પલ્લવિત ક્ષેત્રો માં જોવા મળતા પક્ષીઓની ગણતરી માટે વનવિભાગ,બર્ડ કન્ઝર્વેશન સોસાયટી અને ખાનગી કંપનીના સંયુક્ત ઉપક્રમે આયોજન કરાયું હતું.
બર્ડ્સ કન્ઝર્વેશન સોસાયટીના રાજ્યના પ્રમુખ ડો બકુલ ત્રિવેદી ,સંસ્થા ના સેક્રેટરી અને રીટાયર્ડ સીસીએફ ડો ઉદય વોરા તથા નાયબ વન સંરક્ષક દીપકભાઈ પંડ્યા ની આગેવાની માં બે દિવસ માં બે સેશનમાં કરાયેલ આ કામગીરી માં રાજ્યભરના 60થી વધુ પક્ષીવિદો જોડાયા હતા.ગણતરી દરમ્યાન પક્ષીઓની સંખ્યા,તેનું લોકેશન,ફોટોગ્રાફી,પક્ષીઓની પ્રજાતિઓનો સર્વે કરવામાં આવ્યો હતો.જેમાં સૌથી વધુ પક્ષીઓ મેઢાક્રિકમાં જોવા મળ્યા હતા.
મોકર સાગર કમિટી ના ધવલભાઈ વારગીયા એ આપેલ માહિતી મુજબ અહીંયા ૪૦૩૦૮ અલગ અલગ પ્રકાર ના બતક, લેઝર અને ગ્રેટર મળી ૧૫૨૦૮ ફ્લેમિંગો,૧૫૫૩૯ કુંજ જોવા મળી હતી.ઉપરાંત કરકરા,પેલિકન,ટીલડી બતક, ઢોકબગલા,કિંગફીશર સહિત અલગ અલગ સ્થાનિક અને વિદેશી પક્ષીઓ જોવા મળ્યા હતા.જયારે બીજા નંબર ના સૌથી મોટા વેટલેન્ડ મોકરસાગર માં ૩૫૮૭૭ અલગ અલગ પ્રકાર ના બતક,૧૧૦૪૮ કુંજ અને ૧૦,૩૦૦ ફ્લેમિંગો જોવા મળ્યા હતા.તો કુછડી જાવર માં ફ્લેમિંગો સૌથી વધુ માત્રા માં એટલે કે ૩૫૦૦ ગ્રેટર ફ્લેમિંગો અને ૪૫૦૦૦ લેસર ફ્લેમિંગો જોવા મળ્યા હતા.ઉપરાંત ઘોમડા અને ટર્ન ૧૪૪૨૩ નોંધાયા હતા.
ક્યા વેટલેન્ડ માં કેટલા પક્ષી
જીલ્લા ના સૌથી મોટા વેટલેન્ડ મેઢાક્રિકમાં ૯૧,૩૬૫ પક્ષીઓની નોંધાયા હતા.જયારે મોકર સાગર માં ૮૭,૭૧૭ પક્ષીઓ, કુછડી જાવર માં ૭૮,૬૯૮ પક્ષીઓ,બરડા સાગર માં ૪૯,૪૦૫ પક્ષીઓ,છાયા રણ વિસ્તાર માં ૬૬૯૬ પક્ષીઓ અને અમીપુર ડેમ વિસ્તાર માં ૧૨,૧૬૫ પક્ષીઓ જોવા મળ્યા હતા.આમ કુલ ત્રણ લાખ છવ્વીસ હજાર છેતાલીસ પક્ષી નોંધાયા હોવાનું ધવલભાઈ એ જણાવ્યું છે.
મોકર સાગર કમિટી દ્વારા ૨૦૧૫ થી કરવામાં આવે છે પક્ષી ગણતરી
ધવલભાઈ એ જણાવ્યું હતું કે તેઓની મોકરસાગર કમિટી દ્વારા ૨૦૧૫ થી જીલ્લા ના અલગ અલગ વેટલેન્ડ માં પક્ષી ગણતરી કરવામાં આવે છે ત્યારે આ વખતે રાજ્યભર ના પક્ષીઓ એ સાથે મળી પક્ષી ગણતરી કરી હતી પરંતુ તેમાં પક્ષીઓ ની સંખ્યા માં કોઈ ફર્ક જોવા મળ્યો ન હતો.
શા માટે પોરબંદર જીલ્લા માં વધુ વિદેશી પક્ષીઓ નો હોય છે પડાવ
પોરબંદર જીલ્લા ના જળપ્લાવિત વિસ્તારોમાં શિયાળા દરમિયાન હજારોની સંખ્યામાં પક્ષીઓ જોવા મળે છે.જેથી આ વિસ્તાર પક્ષીપ્રેમીઓ માટે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્રબિન્દુ બને છે.અહી વિવિધ પ્રકારના પક્ષીઓને ત્રણ પ્રકારનું પાણી ઉપલબ્ધ થાય છે. તેથી ખારા, મીઠા અને ખારા-મીઠા એમ ત્રિવેણી સંગમ સમા આ પાણીને લીધે પક્ષીઓની જીવસૃષ્ટિને અહીં વધુ માફક આવે છે.વાતાવરણ ખોરાક અને રહેઠાણ માટે પક્ષીઓને ખુબ જ અનુકુળ છે. ગ્રાસલેન્ડ હોવાથી ઘાસની અંદર અનેક પક્ષીઓ માળા બનાવી શકે છે.તેમજ આજુબાજુમાં ખેતરો પણ આવેલા હોવાથી કેટલાક પક્ષીઓ ખેતરનો પાક ખાઈને પેટ ભરી શકે છે.તો પેલીકન જેવા પક્ષીઓને રોજની ૩થી ૪ કિલો જેટલી માછલીની જરૂર પડે છે.આથી એવી માછલી પણ તેને અહીંયા મળી રહે છે.ઓક્ટોબરથી માર્ચ સુધીના સમયગાળા દરમિયાન અહીંયા લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ ઉમટે છે.