પોરબંદર
ટીબીનુ નામ આવે એટલે આપણને સાહિત્યકાર રાવજી પટેલ અને તેમની કૃતિ “ મારી આખે કંકુના સૂરજ આથમ્યા, અશ્રુઘર” યાદ આવે. એક સમયની ગંભીર અને જીવલેણ બિમારી ટી.બીની સારવાર આજે શક્ય છે. વર્ષો પહેલા આધુનિક સારવારના અભાવે ક્ષયના દર્દીઓ ધીમે ધીમે કઇ રીતે ક્ષીણ થઇ જતા તેની પ્રતિતી કરાવતા જાણીતા ગુજરાતી સાહિત્યકાર રાવજી પટેલે લોકપ્રિય કૃતિ “અશ્રુઘર” લખી હતી. રાવજી પટેલ પોતે પણ આ બિમારીથી પીડાતા હતા. પણ, આજે ક્ષયની બિમારી નો ઇલાજ શક્ય છે. અને સરકાર દ્રારા દર્દીઓને વિનામૂલ્યે તેની સારવાર પણ આપવામા આવે છે.
પોરબંદર જિલ્લામા છેલ્લા એક વર્ષમા ૭૦૨ ટીબીના દર્દીઓ નોંધાયા છે. આ તમામ દર્દીઓને જિલ્લા ક્ષય કેન્દ્ર દ્રારા સારવાર અને માર્ગદર્શન આપવાની સાથે સારવાર મેળવેલા દર્દીઓનુ ફોલોઅપ પણ લેવામા આવે છે. સરકાર દ્રારા ક્ષયના દર્દીઓને દર મહિને રૂ. ૫૦૦ ની સહાય આપવાની સાથે પછાત વર્ગના દર્દીઓને રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્રારા અલગથી ૬ મહિના માટે દર મહિને રૂ. ૫૦૦ ની સહાય આપવામા આવે છે.
આયુષ્યમાન ભારત હેલ્થ અને વેલનેસ કાર્યક્રમ હેઠળ પોરબંદર જિલ્લામા જિલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શનમા ૨૪ માર્ચથી ૧૩ એપ્રીલ સુધી કેમ્પેઇન મોડમા ક્ષયના દર્દીઓને શોધવા, જુના દર્દીઓને તપાસણી, યોગા તાલીમ, આહાર માર્ગદર્શન આપવાનુ અભિયાન શરૂ થશે. તથા પોરબંદર જિલ્લાને ટીબી મુક્ત કરવા સરકારના માર્ગદર્શનમા વિશેષ કામગીરી કરાશે. જેના માટે જિલ્લાના સી.એચ.ઓ ને તાલીમ આપવામા આવી હતી.
ઇ.સ.૧૮૮૨ માં તા.૨૪ માર્ચના રોજ ડો.રોબર્ટ કોચ દ્વારા સૌપ્રથમ ક્ષય ટી.બી. રોગના જંતુઓ શોધ્યા હતા. તેથી ૨૪ માર્ચને વિશ્વ ક્ષય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
જિલ્લા ક્ષય કેન્દ્રના મેડીકલ ઓફિસરે જણાવ્યુ કે, સીગારેટ, તમાકુ, દારૂના વધુ પડતા સેવનથી આ રોગ થતો જોવા મળે છે.પોરબંદર જિલ્લો નાનો હોવાથી અન્ય જિલ્લાની સરખામણીએ અહી ટી.બીના દર્દીઓ ઓછા જોવા મળે છે. આ બિમારીની જિલ્લા ક્ષય કેન્દ્ર સહિત આરોગ્ય કેન્દ્ર ખાતે વિનામૂલ્યે સારવાર કરવામા આવે છે.ગંભીર પ્રકારની એમડીઆર ટીબીની સારવાર લાખો રૂપિયાના ખર્ચે ખાનગી હોસ્પિટલોમા કરવામા આવે છે.પણ જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે આ સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે.
આ ઉપરાંત સીબીનેટ ટેકનોલોજી દ્રારા પોરબંદર જિલ્લામાં ફક્ત જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે જ એમડીઆર ટીબીનુ નિદાન ઉપલબ્ધ છે. જે વિનામૂલ્યે છે. દર્દીઓએ ટી.બીની સારવારનો કોર્ષ નિયમીત પુરો કરવો જરૂરી છે. જિલ્લામા છેલ્લા એક વર્ષમા ૭૦૨ દર્દીઓ નોંધાયા હતા.
ટી.બી.ની બિમારીમાં સૌથી મોટુ લક્ષણ ઉધરસ છે. પરંતુ મોટા ભાગે લોકો સામાન્ય ઉધરસ સમજીને અવગણના કરે છે. પરંતુ જો તમને સતત ૨ અઠવાડિયા કે વધુ સમય સુધી ઉધરસ આવવાની સમસ્યા હોય અથવા સાંજના સમયે ઓછા તાપમાનથી તાવ આવવો, ભુખ ઓછી લાગવી, વજનમાં ઘટાડો થતો હોય, રાત્રે સુતા સમયે પરસેવો થતો હોય તો નજીકના સરકારી દવાખાને તપાસ કરાવી ડોક્ટરની સલાહ મુજબ સારવાર લેવી ખુબ જરૂરી છે. દર્દીના ગળફાની તપાસમાંથી ટી.બી.નું નિદાન થાય છે. જે નજીકના અર્બન સેન્ટર કે કોઇપણ સરકારી દવાખાને વિનામૂલ્યે કરવામાં આવે છે.