પોરબંદર
પરમ ભાગવત કથાકાર, પ્રવચનકાર અને શિક્ષણક્ષેત્રમાં સતત સેવારત પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની દિવ્ય પ્રેરણાથી સાંદીપની વિદ્યાનિકેતન દ્વારા વર્ષ – ૨૦૧૪ થી ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ શિક્ષણ ક્ષેત્રમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનારા વિશિષ્ટ સારસ્વતોનું મુખ્ય ત્રણ એવોર્ડ દ્વારા અને એ સાથે જેઓ પ્રાથમિક-માધ્યમિક શાળામાં શિક્ષણમાં નવાચારથી કાર્ય કરે છે એવા ગુજરાતના દરેક જીલ્લામાંથી એક શિક્ષકનું ગુરુ ગૌરવ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરવામાં આવે છે. જેમાં,
૧, લાઈફ ટાઇમ એચીવમેન્ટ એવાર્ડ : જેઓએ પોતાનું સંપૂર્ણ જીવન શિક્ષણના ક્ષેત્રમાં વિતાવીને સમાજને ઉત્તમોત્તમ યોગદાન આપ્યું એવા મહાનુભાવ
૨, શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડ : એવા એક શિક્ષક કે જેઓએ શાળામાં શ્રેષ્ઠતમ કાર્ય કરીને પોતાની શાળાના વિકાસમાં શૈક્ષણિક પ્રવૃતિઓ અને અન્ય પ્રવૃત્તિઓ દ્વારા નોંધપાત્ર યોગદાન આપ્યું હોય.
૩. ઉત્તમ વિદ્યામંદિર એવોર્ડ ; એક એવું વિદ્યાલય કે શિક્ષણના ક્ષેત્રે ખુબજ શિષ્ટ-વિશિષ્ટ કાર્ય કરેલુ હોય.
આ રીતે આ વર્ષે પણ મહાનુભાવોનું પૂજ્ય ભાઈશ્રી,ચેતનભાઈ ત્રિવેદી, કુલપતિશ્રી નરસિંહ મહેતા યુનિવર્સીટી, જુનાગઢ અને મહાનુભાવો દ્વારા મુખ્ય ત્રણ એવોર્ડીઓનું ગુરુ ગૌરવ એવોર્ડ દ્વ્રારા ભાવપૂજન કરવામાં આવ્યું હતું.જેમાં લાઈફ ટાઈમ એચીવમેન્ટ ગૌરવ એવોર્ડ દ્વારા પોરબંદરમાં શિક્ષણની જ્યોત જલાવનાર શ્રી જ્યોતિબેન થાનકીનું ભાવપૂજન કરવામાં આવ્યું હતું.એ સાથે વલસાડ જીલ્લાના, ધરમપુર તાલુકામાં આવેલી આશ્રમશાળા-ખડકી જેના વિકાસમાં જેઓનું અમૂલ્ય યોગદાન છે એવા સુજાતાબેન શાહનું, શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરવામાં આવ્યું હતું અને ભાવનગર જીલ્લામાં ઘોઘા તાલુકામાં આવેલી દંગાપરા પ્રાથમિક શાળાનું ઉત્તમ વિદ્યામંદિર ગૌરવ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરવામાં આવ્યું હતું.
આ ગુરુ ગૌરવ અવાર્ડ સમારોહ-૨૦૨૨માં ગુજરાતના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી વર્ચ્યુલી ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્ય ત્રણ એવોર્ડથી સન્માનિત મહાનુભાવોને અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્ય ત્રણ એવોર્ડ અર્પણ કર્યા બાદ કોરોના સમયમાં જેઓએ પ્રાથમિક-માધ્યમિક શાળાના બાળકોના શિક્ષણ માટે વિશિષ્ટ કાર્ય કર્યું હોય એવા દરેક જીલ્લામાંથી એવોર્ડ ચયન સમિતિ દ્વારા એક શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી કરવામાં આવી હતી એવા ૩૧ શિક્ષકોનું પણ આ તકે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવો દ્વારા શિલ્ડ, પ્રમાણપત્ર અર્પણ કરીને ભાવપૂજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મુખ્ય ત્રણ એવોર્ડીએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. આ ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહમાં નરસિંહ મહેતા યુનિવર્સીટી, જુનાગઢના કુલપતિ ચેતનભાઈ ત્રિવેદી વિશેષત; ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ પ્રસંગોચિત ઉદબોધન આપ્યું હતું.
પૂજ્ય ભાઈશ્રીનું પ્રવચન
પૂજ્ય ભાઈશ્રીએ પોતાના મનોભાવ વ્યક્ત કરતા સૌ પ્રથમ લાઈફ ટાઇમ એચીવમેન્ટ પ્રાપ્ત જ્યોતિબેન થાનકી,પોરબંદર, શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડ પ્રાપ્ત સુજાતાબેન શાહ, ખડકી આશ્રમશાળા અને ઉત્તમ વિદ્યામંદિર એવોર્ડ પ્રાપ્ત દંગાપરા પ્રાથમિક શાળાને અભિનંદન આપ્યા હતા અને તેઓએ કરેલા કાર્યોની પ્રશંશા કરી હતી.
પૂજ્ય ભાઈશ્રી ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત થયેલા શિક્ષકોને પણ અભિનંદન આપ્યા હતા અને એક શ્લોક દ્વારા ગુરુના પ્રકાર જણાવતા કહ્યું કે ગુરુ એવા હોય જે પ્રેરણા આપે છે, શાસ્ત્રીય સુચના એ જ્ઞાન અને અનુભવજન્ય એ વિજ્ઞાન એના દ્વારા જે પ્રેરણા આપે એવા સૂચક હોય, વાચક હોય સારી રીતે પ્રત્યાયન કરી શકે તેવો હોય, દૃષ્ટિ આપનાર હોય, શિક્ષા આપનાર અને જીવનનો બોધ આપનાર આ ૬ ગુરુઓ છે અને આવા ભાવથી આપ સૌ શિક્ષકોનું આવાહન કરીને આપનું ભાવપૂજન કરવામાં આવ્યું છે.
આ અવસરે ગુરુ ગૌરવ અવાર્ડ ચયન સમિતિના સભ્યો શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડ,આદરણીય પૂર્વ નિયામક ટી.એસ.જોષી,સાબરમતી આશ્રમના ડાયરેક્ટર અતુલભાઈ પંડ્યા, શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડ પ્રાપ્ત રાજપુરથી પાર્થેશભાઈ પંડ્યા અને નવા નદીસર પ્રાથમિક શાળાના આચાર્ય રાકેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એ સાથે સાંદીપનિ વિદ્યાનિકેતન પરિવારના સૌ ટ્રસ્ટીઓ અને ગુરુપૂર્ણિમાના અવસરે આવેલા સૌ મહેમાનો ઉપસ્થિત હતા.