Thursday, March 28, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video :પોરબંદર નેવલ એર એન્કલેવ ખાતે આયોજિત ખાસ કાર્યક્રમ માં ચાર જેટલા ડોર્નિયર વિમાન “રેપ્ટર્સ” ને નૌકાદળ માં સામેલ કરાયા :જુઓ પોરબંદર ટાઈમ્સ નો ખાસ અહેવાલ

પોરબંદર

ઇન્ડિયન નેવલ એર સ્ક્વેડ્રન 314, છઠ્ઠું ડોર્નિયર એરક્રાફ્ટ સ્ક્વેડ્રન, નેવલ એર એન્ક્લેવ પોરબંદર ખાતે ડેપ્યુટી ચીફ ઓફ નેવલ સ્ટાફ વાઇસ એડમિરલ એમ એસ પવાર, અતિ વિશિષ્ટ સેવા મેડલ, વિશિષ્ટ સેવા મેડલનાં હસ્તે ભારતીય નૌકાદળમાં સામેલ થયું હતું.
નેવલ એર એન્ક્લેવ ખાતે આજે ભારતીય નૌસેનામાં ડોર્નિયર સ્કવોર કમિશનિંગ સેવારંભ સમારોહ યોજાયો હતો. ભારતીય નૌકાદળના નાયબ અધ્યક્ષ વાઇસ એડમીરલ એમ.એસ. પવારની ઉપિસ્થતીમાં યોજાયેલ સેવારંભ સમારોહમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં ગાર્ડ માર્ચનુ આગમન થયા બાદ અધિકારીઆેએ ડીફેન્સ ગાર્ડનું નીરીક્ષણ કર્યુ હતું ત્યારબાદ ક્રુની આેળખાણ કરાવ્યા પછી આહવાન પાઠ યોજાયા હતા. તકતીનું અનાવરણ, કમીશ્નીગ વોરંટનું વાંચન, વકતત્વયો, સલામી, વિદાય, ગાર્ડ માર્ચની વિદાય બાદ અધિકારીઆેએ સ્કોડ્રનનું નિરીક્ષણ કર્યુ હતું.
આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધન કરતા વાઇસ એડમિકલ એમ એસ પવારે કહ્યું કે, “ઇન્ડિયન નેવલ એર સ્ક્વેડ્રન (આઇએનએએસ) 314 ઉત્તર અરબી સમુદ્રમાં દરિયાઈ સુરક્ષા વધારવા અને એના પર દેખરેખ રાખવાના અમારા પ્રયાસોમાં સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે.” પોતાના વ્યૂહાત્મક સ્થાનને કારણે આ સ્ક્વેડ્રન ઉત્તર અરબી સમુદ્રનાં અતિ મહત્ત્વપૂર્ણ વિસ્તારમાં સૌપ્રથમ વખત કામ કરશે.
આઇ એન એ એસ 314નું નામ “રેપ્ટર્સ” છે, જે “શિકારી પક્ષીની પ્રજાતિ” માંથી લેવામાં આવ્યું છે. સ્ક્વેડ્રન પર ‘રેપ્ટર્સ પક્ષી’નું ચિહ્ન અંકિત છે, જે દરિયાના વિશાળ વિસ્તાર પર બાજ નજર રાખે છે. ‘રેપ્ટર્સ’ મોટું શિકારી પક્ષી છે, જે ઉત્કૃષ્ટ સંવેદનાત્મક ક્ષમતાઓ, શક્તિશાળી અને તીક્ષ્ણ નહોર તથા મજબૂત પાંખો માટે પ્રસિદ્ધ છે. વિમાન પર આ પક્ષીનું ચિહ્ન એની ક્ષમતાનું પ્રતીક છે અને સ્ક્વેડ્રનની ભૂમિકાને વ્યક્ત કરે છે.
જુઓ આ વિડીયો

સ્ક્વેડ્રન ડોર્નિયર વિમાન, એકથી વધારે કામગીરી કરતા એસઆરએમઆર વિમાનને ઓપરેટ કરશે, જે કાનપુર સ્થિત હિંદુસ્તાન એરોનોટિકલ લિમિટેડ દ્વારા નિર્મિત બે ટર્બોપ્રોપ એન્જિન સાથે સજ્જ છે. વિમાનનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક યુદ્ધ અભિયાનો, દરિયાઈ સુરક્ષા, શોધખોળ અને બચાવ કાર્ય માટે થઈ શકશે. તેમજ શસ્ત્ર સાથે સજ્જ પ્લેટફોર્મને લક્ષિત ડેટા પ્રદાન કરશે. આ ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત આપણા દેશમાં વિકસાવેલું અને સ્વનિર્ભર સ્ક્વેડ્રન છે. ભારતીય નૌકાદળે એચએએલ પાસેથી અત્યાધુનિક સંવેદન ક્ષમતા અને સજ્જતા ધરાવતા 12 નવા ડોર્નિયર વિમાનની ખરીદી કરી છે, જેમાં ગ્લાસની કોકપિટ, અત્યાધુનિક સર્વેલન્સ રડાર, ઇએલઆઇએનટી, ઓપ્ટિકલ સેન્સર્સ અને નેટવર્કિંગ ખાસિયતો સામેલ છે. સ્ક્વેડ્રન પ્રથમ છે, જેણે આ નવું, ટેકનોલોજીની દ્રષ્ટિએ અત્યાધુનિક આગામી જનરેશનનું ડોર્નિયર વિમાન સ્વીકાર્યું છે. આઇએનએએસ 314ના કમાન્ડર કેપ્ટન સંદીપ રાય છે,
ડોર્નિયર હવાઈ જહાજ ની નૌસેના માં ત્રણ દાયકા ની સેવા
ડોર્નિયર હવાઈ જહાજોએ ભારતીય નૌકા સેનામાં લગભગ ત્રણ દાયકાની સેવા પૂરી કરી છે. તે સર્વેલન્સની કામગીરી માટે મુખ્ય વિમાન તેમજ ભારતીય નૌકા દળનું સ્વદેશીકરણ કરવામાં દીવાદાંડી સમાન બન્યા છે. આપણે બધા ઓપરેશન વિજય અને ઓપરેશન પરાક્રમ દરમિયાન તેમની ઉત્કૃષ્ટ કામગીરીથી પરિચિત છીએ.
મજબુત અને અનુભવી નેતૃત્વ
INAS 314નું નેતૃત્વ કેપ્ટન સંદીપ રાય સંભાળી રહ્યાં છે. તેઓ ભારતીય નૌકા દળમાં 1 જાન્યુઆરી, 1999ના રોજ સામેલ થયા હતા. તેઓ રાષ્ટ્રીય સંરક્ષણ અકાદમી (એનડીએ) અને વેલિંગ્ટન સ્થિત ડિફેન્સ સર્વિસીસ સ્ટાફનાં પૂર્વ વિદ્યાર્થી છે. 3,000 કલાકથી વધારેનો ઉડ્ડયનનો બહોળો અનુભવ ધરાવતા રાય અનુભવી અને લાયકાત ધરાવતા નેવિગેશન ઇન્સ્ટ્રક્ટર છે. તેમણે ભારતીય નૌકા દળમાં ડોર્નિયર વિમાનને સામેલ કરવામાં, એનો સ્વીકાર કરવામાં અને આ વિમાનમાં સ્થાપિત અનેક અત્યાધુનિક સેન્સર્સનું સંચાલન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
તેમણે દેશનાં તમામ સંચાલન સ્થળોમાંથી ઉડાન ભરી છે અને વિદેશમાં અનેક અભિયાન હાથ ધર્યા છે. તેઓ સેશીલ્સ ડોર્નિયર ફ્લાઇટ સ્થાપિત કરનાર સભ્યોમાં પણ સામેલ હતાં. જેનો ઉદ્દેશ સેશીલ્સનાં દરિયામાં ચાંચિયાગીરી રોકવાનો હતો. મની મહત્ત્વપૂર્ણ નિમણૂકોમાં INAS 318માં સિનિયર ઓબ્ઝર્વર, ગાઇડેડ મિસાઇલ ફ્રિજેટ (મિસાઇલ સાથે સજ્જ યુદ્ધજહાજ) INS તબારનાં એક્ઝિક્યુટિવ ઓફિસર, INS માતંગ, INS કેસરીનાં કમાન્ડ તેમજ ભારતીય નૌકા દળમાં સૌથી વધારે સન્માનિત INS 310નું નેતૃત્વ સામેલ છે. તેમની મહત્વની સ્ટાફ એપોઇન્ટમેન્ટમાં ચીફ સ્ટાફ ઓફિસર, એચક્યુએનએવીસીનો સમાવેશ થાય છે.
દેશ ની ૨૩ મી નેવલ એર સ્કવોડ્રન
દેશના સૌથી લાંબા 1600 કીમી સમુદ્ર કિનારો ધરાવતા ગુજરાત રાજયની દરિયાઇ પટ્ટીની ખાસ સુરક્ષા માટે ભારતીય નેવી દ્રારા આજે એરસ્કવોડ્રન કાર્યરત કરવામાં આવી છે આ એરસ્કવોર્ડનના 4 આધુનીક એરક્રાફટ અરબી સમુદ્ર પર તૈનાત કરવામાં આવ્યા છે. ભારતીય સમુદ્રની સુરક્ષાની જવાબદારી જેના શીરે છે તેવી ભારતીય નેવી આધુનીકતા સાથે કદમથી કદમ મીલાવી રહી છે. અને આ આધુનીકતાના ભાગ સ્વરૂપે પોરબંદર ખાતે આવેલા તેના એરફિલ્ડ પરથી એરસ્કવોડ્રન કાર્યરત કરવામાં આવી છે હાલ નેવી આ પ્રકારની 22 એરસ્કવોર્ડન ધરાવે છે. અને આજે વધુ એક એરસ્કવોડ્રનના લોન્ચીંગ બાદ નેવી પાસે આ પ્રકારની એરસ્કવોડ્રનની સંખ્યા 23 થઇ છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે