પોરબંદર
પોરબંદરના કુછડી ખિમેશ્વર મહાદેવ મંદીર થી મીયાણી સુધીના દરીયા કિનારા પર ખુલલેઆમ બેફામ રેતી ચોરી થઇ રહી હોવાનું જણાવી આ રેતીચોરી અટકાવવા તથા રેતીચોરો સામે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવા સામાજિક કાર્યકરોએ કલેકટરને રજૂઆત કરી છે.
પોરબંદરના સામાજિક કાર્યકરો બાવનભાઈ બાદરશાહી,ભાસ્કરભાઈ પાંજરી અને સલિમભાઈ સૂર્યા એ જિલ્લા કલેકટરને આવેદન પાઠવી રેતીચોરી અંગેના શૂટિંગ સહિતના પુરાવા આપી રજુઆત કરી છે.જેમાં જણાવ્યું છે કે કુછડી થી મીયાણી સુધીના દરીયા કિનારા ઉપર ડમ્પરો તથા જેસીબી દ્વારા ભ્રષ્ટ અધિકારીઓની મીઠી નજર હેઠળ ખુલ્લેઆમ તથા બેરોકટોક દરીયાઇ રેતીની ચોરી થાય છે.આ રેતી ચોરીમાં રાજકીય ભ્રષ્ટ પદાધિકારીઓ પણ સામેલ છે.અને તેમના મળતીયાઓ દ્વારા આ રેતી ચોરીનું મોટુ કૌભાંડ ચાલી રહયુ છે.
અગાઉ પણ અસ્માવતી ઘાટ,જાવર ગેસના ટાંકાની બાજુમાં રેતી કાઢી અને ચોપાટીના ગ્રાઉન્ડ તથા ઇન્દીરાનગર તથા અન્ય જગ્યાઓ ઉ૫૨ રાખવામાં આવી હતી.અને ત્યાંથી રેતીના ડમ્પરો ભરાઈને બારોબાર વેચી નાખવામાં આવી હતી. હાલમાં પણ કુછડી થી મિયાણી સુધીના દરિયાઈ વિસ્તારમાં બેફામ રેતીચોરી થાય છે.જેથી કુદરતી આફતો સમયે પાણી શહેરો અને ગામોમાં ઘુસી જશે.જેથી આ રેતીચોરી અટકાવવામાં આવે અને રેતીચોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવું રજૂઆત માં જણાવ્યું છે.
જુઓ આ વિડીયો