પોરબંદરમાં ૧૦ વર્ષ પહેલા દારૂની પરમીટ માટે લાંચ માંગતા રંગે હાથે પકડાયેલ નશાબંધીખાતાના અધિકારીને પાંચ વર્ષની સખત કેદની સજા અને પંદર હજારનો દંડ ફટકારાયો છે.
પોરબંદર ખાતે રહેતા રણછોડભાઈ ચૌહાણએ પોરબંદર એસીબી પોલીસ સ્ટેશનમાં આપેલ ફરીયાદની ટુંકી હકીકત મુજબ તેઓએ પોતાને હેલ્થ માટે દારૂની પરમીટ મેળવવા માટે પોરબંદરની નશાબંધી અને આબકારી કચેરી ગયેલ કચેરીના અધીકારી વી.એન. સીસોદીયા ને મળેલ અને પરમીટ મળવા અરજી કરેલ. અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરેલ. અને આ સમયે કચેરીના અધિકારી વી.એન. સીસોદીયાએ પરમીટ કાઢી આપવા બાબતે રૂા. ૨૦,૦૦૦ ની લાંચ માંગણી કરેલ.
જે રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય પોરબંદર એસીબી પોલીસ સ્ટેશનમાં વિગતવારની ફરીયાદ આપતા એસીબીના અધિકારી એ ગોઠવેલ લાંચ ના છટકા દરમ્યાન નશાબંધી ખાતાના અધિકારીને તેઓની કચેરીમાંથી લાંચ રકમ સાથે સરકારી પંચોની હાજરીમાં રંગે હાથ ઝડપી લીધેલા અને લાંચની રકમ કબ્જે લીધેલ ત્યારબાદ એસીબી પોલીસે આરોપીની લાંચ રૂશ્ર્વત નિવારણ અધિનિયમની કલમ મુજબ નોંધી ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી કરી દસ્તાવેજી પુરાવા મેળવી આરોપી વિરૂધ્ધ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ કરેલ.
આરોપી વિરૂધ્ધ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ જજ આર. ટી. પંચાલની કોર્ટમાં સરકાર પક્ષે એડીશ્નલ પબ્લીક પ્રોશીકયુટર અનીલ લીલાએ ૬૦ જેટલા અલગ અલગ દસ્તાવેજી પુરાવા રજુ રાખેલ અને સાહેદોના મૌખિક પુરાવા રજુ રાખેલ અને મૌખિક દલીલો કરી જણાવેલ કે સમાજમાં લાંચ અને ભ્રષ્ટાચારના બનાવોમાં ખુબ જ વધારો થયેલ છે જે સમાજ માટે કેન્સર સમાન છે. જેને અંકુશમાં લાવવા આરોપીને તકસીરવાર ઠેરવવા જોઈએ. જેથી ભ્રષ્ટાચાર આચરતા ઈસમો કર્મચારોઓમાં કાયદાનો ભય રહેશે અને વધુમાં કેસના સમર્થનમાં ઉચ્ચ ન્યાયાલયના ચુકાદાઓ રજુ રાખેલ
બંન્ને પક્ષોની દલીલો સાંભળી સરકારી વકીલ અનીલ લીલાની દલીલો તથા કોર્ટ સમક્ષ રજુ રાખેલ એસીબી પોલીસના તપાસના દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઇ નશાબંધી અને આબકારી કચેરીના તત્કાલીન અધિકારી આરોપી વી.એન. સીસોદીયાને લાંચ રૂશ્વત નિવારણ અધિનિયમની કલમ મુજબ ૩ વર્ષની સજા અને પાંચ હજારનો દંડ અને કલમ મુજબ ગુન્હામાં પાંચ વર્ષની સખત કેદની સજા અને પંદર હજારની રકમનો દંડની સજા ફરમાવતો ઐતિહાસિક ચુકાદો પોરબંદરના ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ જજ આર.ટી. પંચાલની કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.