પોરબંદરના અસ્માવતી ઘાટ પાસે બોટો અને નાની હોડી અવર જવર કરવાની ચેનલ રેતીનાં ભરાવાથી બંધ થવાથી બોટોની અવર જવરમાં ભારે મુશ્કેલી હતી. જેને લઇને ખારવા સમાજ ના આગેવાનોની રજૂઆત ના પગલે રેતી કાઢવાની કામગીરી શરુ કરાઈ છે.
પોરબંદરમાં અસ્માવતી ઘાટ પાસે બોટો અને નાની હોડી અવર જવર કરવાની ચેનલ (બારૂ) રેતીનાં ભરાવાથી બંધ થઇ હતી. આથી બોટો અને નાની હોડીને અવર જવરમાં ભારે મુશ્કેલી હતી. જેથી સમસ્ત ખારવા સમાજનાં પ્રમુખ પવન શિયાળ તથા પંચ પટેલો તેમજ પોરબંદર માછીમાર બોટ એસોસીએશનનાં પ્રમુખ મુકેશ પાંજરી તથા કમિટિ મેમ્બર્સ દ્વારા સાંસદ રમેશ ધડુક સહીત રાજકીય આગેવાનો ને રજુઆત કરવામાં આવી હતી.
જેને ધ્યાને લઇને સાંસદ દ્વારા મત્સ્યોદ્યોગ મંત્રી રાધવજી પટેલ સાથે ટેલીફોનીક વાતચીત કરી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. જેથી મત્સ્યોદ્યોગ મંત્રીએ માપલાવારી વિસ્તારમાં વાર્ફ વોલનું કામ કરતા કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરી અને સુચના આપતા તેણે તાત્કાલીક ધોરણે બારાનાં મુખમાં મોટુ હિટાચી મશીન ફાળવી દેતા રેતી કાઢી અને ઉપરના ભાગમાં નાંખવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.બારામાંથી રેતી કાઢવાની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ થતા માછીમારો ને બોટો ની અવરજવર માં થતી મુશ્કેલી દુર થશે જેથી પોરબંદર સમસ્ત ખારવા સમાજના પ્રમુખ પવન શિયાળ તથા પંચ પટેલો અને પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશ પાંજરી તથા કમિટી મેમ્બરો દ્વારા મત્સ્યોદ્યોગ મંત્રી રાધવજી પટેલ, લોકસભા સાંસદ રમેશ ધડુક, પુર્વ ધારાસભ્ય બાબુ બોખીરીયાનો આભાર વ્યક્ત કર્યો હતો.