પોરબંદર પંથકના અને ભાણવડના યુવાન સહિત કુલ ચૌદને સિંગાપુર હોટેલમાં નોકરી અપાવવાના બહાને બોખીરા-તુંબડાના શખ્સ સતર લાખ પાંસઠ હજાર જેવી રકમ પડાવીને અસલ પાસપોર્ટ પણ સાથે લઇ નાસી ગયાની એફ.આઇ.આર.તા.૧૬-૩-૨૦૨૨ના નોંધાઇ હતી. આ શખ્શને પકડી પાડવામાં પોરબંદર પોલીસ ને મહત્વની સફળતા મળી છે.
ભાણવડ ગામે રણજીતપરામાં શિવ નગરમાં રહેતા અને મોબાઈલ રીપેરીંગનો ધંધો કરતા ભરત નાગાભાઇ પીપરોતર નામના યુવાને તા. ૧૬-૩-૨૨ના પોરબંદરના કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં એવી પોલીસ ફરીયાદ નોંધાવી હતી કે તે દિલીપ મોબાઇલ નામની દુકાને બેસીને મોબાઇલ રીપેરીંગનું ભાણવડના સુભાષચોકમાં કામ કરતો હતો. અને ફરિયાદના થોડા મહિનાઓ પહેલા ઓમ ઝેરોક્ષ એન્ડ ટ્રાવેલ્સ સર્વિસ નામના વોટસએપ ગૃપમાં કેયુરભાઈ જોશીએ એક મેસેજ શેર કર્યો હતો. જેમાં સિંગાપુરમાં હોટેલ માટે રીક્રુમેન્ટ હોવાનું જણાવાયું હતુ.
તેથી જાહેરાતમાં દર્શાવેલ મોબાઈલ નંબર ઉપર ફોન કરતા એ વ્યક્તિએ એવું જણાવ્યું હતું કે પોરબંદર ખાતે ઓમ એકેડેમી અને ઝેરોક્ષ નામની તેમની ઓફિસે આવજો, આથી આ ભરત ઉપરાંત ભાણવડના અન્ય યુવાનો તેજસ તુલસીદાસ વેગડ તથા ભરત મેહુલભાઈ મેથાણીયા વગેરે ત્રણે જણા ઓમ એકેડમીની ઓફિસે ગયા હતા. તે વખતે બે વ્યકિતઓ હાજર હતા. તેમાં એક કેયુર ભાનુપ્રતાપ જોશી અને બીજો દેવ પરમાર હતો. કેયુરે દેવને એવું જણાવ્યું હતું કે “ આ મારા ઓળખીતા છે અને જેને સિંગાપુર મોકલવાનું ફાઈનલ છે ને?” તેમ કહેતા દેવ પરમારે ” ૧૦૦ ટકા ફાઈનલ છે” તેમ જણાવ્યું હતું.
તા. ૩૦/૯/૨૧ના સિંગાપુર જવાનું ફાઈનલ છે તેમ જણાવીને દેવ પરમારે આ ત્રણે યુવાનોના પાસપોર્ટ લઇ લીધા હતા અને જોબ લેટર આવે ત્યારે દરેકે એક લાખ ત્રીસ હજાર જમા કરાવવા જોશે તેમ જણાવ્યું હતું.ત્યારબાદ તા. ૧૨/ ૮ના દેવ પરમારે સિંગાપુરની હોટેલ પૈઈન પેસેફિકના નામ વાળો અંગ્રેજી ભાષામાં લખાયેલો જોબ લેટર મોકલ્યો હતો. તેથી તા. ૨૬/૯ ના ભરતે યશ મકવાણાને ફોન કર્યો હતો. આથી ચશે દેવ સાથે વાત કરી પૈસા આપવા જણાવ્યું હતું તેની સુદામા મંદિરના ગેટ પાસે ૭૫,૦૦૦ હજાર રૂપિયા આપ્યા હતા અને બાકીના ૬૫,૦૦૦ હજાર વિઝા અને ટીકીટ આવે ત્યારે આપવાનું નકકી થયું હતું.
ત્યારબાદ તા. ૨૭/૯ના દેવને ફોન કર્યો પણ ઉપાડયો ન હતો. આથી તા. ૩૦ તુંબડામાં રહેતા દેવશી ઉર્ફે દેવ કનૈચાલાલ પરમાર નામના આ શખ્સના ઘરે ગયો હતો ત્યારે તેના મમ્મીએ દેવ દિલ્લી ગયો હોવાનું જણાવ્યું હતું. અને ૧૮/૧૦ના પોરબંદરમાં તેમની ઓફિસનું ઓપનીંગ છે ત્યારે આવશે તેમ ઉમેર્યું હતું. ત્યાર બાદ આ ભરત કેયુર જોશીની ઓમ એકેડેમી અને ઝેરોક્ષ નામની દુકાને ગયો હતો અને હકીકત જણાવી હતી.
આથી ત્યાં અન્ય લોકો પણ હાજર હતા અને તેઓએ પણ સિંગાપુર જવા માટે અસલ પાસપોર્ટ અને રોકડ આપ્યાનું જણાવ્યું હતુ અને રૂપિયા અને અસલ પાસપોર્ટ લઇને દેવશી ઉર્ફે દેવ કનૈયાલાલ પરમાર ગામ છોડીને જતો રહ્યો હોવાનું જણાતા આ તમામ છેતરપીંડીનો ભોગ બનેલા ચૌદ લોકોએ કીર્તિમંદિર પોલીસ સ્ટેશને આવીને અરજી કરી હતી. જેમાં ભાણવડના ભરત પીપરોતર ઉપરાંત તેજસ વેગડ, ભરત મેથાણીયા, પોરબંદર છાયા એસ.બી.એસ. કોલોનીના રોહન રાજેશ દાઉદીયા, કડિયા પ્લોટના રમેશ ડાયાલાલ સોલંકી, નરસંગ ટેકરીના કૌશિક દેવી સાદીયા, આકાશ લાખા શીંગરખીયા, ભાણવડના જયેશ પરબત કારાવદરા, આદિત્યાણાના રમેશ કેશુ પરમાર, ભરત લીલા ઓડેદર, ઓડદર વિજય અરભમ ઓડેદરા, છાચાના રાણા પ્રતાપ મોઢવાડીયા, રોકડીયા હનુમાન પાસે રહેતા વિજય મનસુખલાલ જોશી, આદિત્યાણાના અરજણ વીસા ઓડેદરા, રમેશ અરજન સુંડાવદરા વગેરે તમામના એડવાન્સ ફી પેટે એક લાખ ત્રીસ હજાર રૂપિયા અને ભરતના પંચોતેર હજાર સહિત કુલ સતર લાખ પાંસઠ હજારની છેતરપીંડી કરી ગામ છોડી કયાંક ચાલ્યો ગયો હોવાથી છેતરપીંડીનો ગુન્હો નોંધાવ્યો હતો.ત્યાર બાદ તે એક વર્ષ થી ફરાર હતો.
ગઈ કાલે પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બાતમી ના આધારે સુદામા ચોક સીટી બસસ્ટેન્ડ પાસેથી. દેવશીને ઝડપી લેવામાં આવ્યો હતો અને કીર્તિમંદિર પોલીસ સ્ટેશનને સોંપી દેવાયો છે. પોલીસે તેની આકરી પૂછપરછ કરતા તેણે એવું કબુલ્યું હતું કે પોતે નાસી ગયા બાદ દુબઈ હતો અને થોડા સમય પહેલાં જ તે અહીં ભારતમાં આવ્યો હતો