પોરબંદરના ખાપટ અને ધરમપુર ભુગર્ભ ગટર યોજનાના ટેન્ડરમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની કોંગ્રેસ દ્વારા રજૂઆત કરાઈ છે.
પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડીયાએ યોજેલી પ્રેસકોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ભારત સરકારના ‘અમૃતમ” યોજનાના અને ગુજરાત સરકારના નાણામાંથી પોરબંદર-છાયા સંયુકત નગરપાલીકામાં ખાપટ-ધરમપુર માટેની ભુર્ગભ ગટર યોજના માટે નાણા ફાળવવામાં આવ્યા હતા. આ કામના અમલીકરણ અધિકારી તરીકે ચીફ ઓફીસર, પોરબંદર-છાયા સંયુક્ત નગરપાલીકાને નિમવામાં આવ્યા હતા.
ચીફઓફીસર દ્વારા કન્સલ્ટન્ટ તરીકે રાજકોટના મનીષ રૂપારેલીયાની નિમણુંક કરવામાં આવી હતી. જેને સદરહુ પ્રોજેક્ટમાં કન્સલ્ટન્ટ તરીકે કવોલીફાય ન હોવા છતાં નિમણુંક કરેલ છે તેવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ કામના કન્સલ્ટન્ટ દ્વારા એ ટેન્ડરની એસ્ટીમેટ વેલ્યુ ૩૮,૦૪,૮૨,૨૬૭ રૂપિયા નકકી કરવામાં આવી હતી. આ બીડની અંદર ત્રણ ઠેકેદારોએ ભાગ લીધો હતો. જેમાં અમદાવાદની વી.સી.પ્રોજેકટ ઈન્ફ્રા.પ્રા.લી. અને જલારામ પ્રોજેકટસ પ્રા.લી. તથા એન.પી.પટેલ એન્ડ કંપની તેમજ વિષ્ણુ પ્રકાશ આર. પુંગાલીચા અને યશ કન્સ્ટ્રકશન કંપની એ ભાગ લીધો હતો. આ તમામ કોન્ટ્રાકટરોએ બીડમાં ભાગ લીધો હતો. જલારામ પ્રોજેકટસ પ્રા.લી. તથા એન,પી.પટેલ એન્ડ કંપની તેમજ વિષ્ણુ પ્રકાશ આર. પુંગાલીયાને ડીસ્કવોલીફાય કરવામાં આવ્યા હતા જયારે વી.સી,પ્રોજેકટ ઈન્ફ્રા.પ્રા.લી. વાળાને ટેન્ડર સબમીશનના ૫૧ માં દિવસે લેખીત જાણ કરવામાં આવે છે કે તમારા ફીઝીકલ ડોકયુમેન્ટળાનું બીડનું કવર ફાટેલું હતુ અને તેમાં ઇ.એમ.ડી.નો ડીમાન્ડ ડ્રાફટ । ફીઝીકલ ડોકયુમેન્ટ સાથે જોડેલ નથી. હકીકતમાં સદરહુ ફીઝીકલ ડોકયુમેન્ટ ડીલીવર કરનાર પોસ્ટમેનને કે પોસ્ટઓફીસમાં કોઈ લેખિત કે મૌખિક ફરીયાદ નગરપાલીકાના સતાધીશો દ્વારા કરવામાં આવી ન હતી.
ઘણી ન્યાયિક પ્રક્રીયાઓના કોર્ટના હુકમના આધારે લાંબા સમયે ઈ.એમ.ડી.ના ડીમાન્ડ ડ્રાફટની ફીઝિકલ કોપી સ્વીકારીને સદરહુ ઠેકેદારને કવોલીફાય કરવામાં આવ્યા હતા અને બાકીની ૩ પાર્ટી સાથે આ કામના કન્સલ્ટન્ટ મનીષભાઈ રૂપારેલીયા દ્વારા સમજાવીને, જોઈન્ટ વેન્ચર કરીને પ્રી કવોલીફીકેશન બીડમાંથી અમુક ડોકયુમેન્ટ ઠેકેદારોની સંમતીથી કાઢી નાખેલ હતા અને આ રીતે બાકીના ત્રણેય એજન્સીઓને ડીસ્કવોલીફાય કરી હતી. તે પ્રકારનો ગંભીર આક્ષેપ રામદેવભાઈ મોઢવાડીયાએ કર્યો છે.
અંતે સ્પર્ધામાં યશ કન્સ્ટ્રકશન અને વી.સી.પ્રોજેકટ ઈન્ફ્રા.પ્રા.લી. બે જ પાર્ટી સ્પર્ધામાં રહી હતી.જેમાં પાછળથી રીંગ-કમ-જોઈન્ટ વેન્ચર પ્રક્રિયા દ્વારા વી.સી.પ્રોજેકટ ઈન્ફ્રા.પ્રા.લી. ને ટેન્ડર ઓપનીંગની પ્રક્રિયા પહેલા જ ઇ.એમ.ડી.નો ડીમાન્ડ ડ્રાફ્ટ સદરહુ એજન્સીનો સંમતિપત્ર લઈને પાછો આપી દીધો હતો તેવો આક્ષેપ કરીને ઉમેર્યું છે કે, હકીકતમાં જયાં સુધી વર્કઓર્ડર કોઈ એજન્સીને અપાય ન ત્યાં સુધી ઇ.એમ.ડી. પાછી આપી શકાતી નથી. પરંતુ આ કેસમાં ઇ.એમ.ડી. એટલા માટે પાછી આપી દેવામાં આવી કે યશ કન્સ્ટ્રકશનના ભાવ ટેન્ડર વેલ્યુ ૩૮,૦૪,૮૨,૨૬૭ રૂપિયાથી ૨૫ ટકા વધારે ૪૭,૫૬,૦૩,૪૫૮ રૂપિયા હતા જયારે વી.સી.ઇન્ફ્રા, પ્રોજેકટસના ટેન્ડર વેલ્યુ ૩૮,૦૪,૮૨,૨૬૭ રૂપીયા ૫ ટકા લેખે કે ૩૬,૫૨,૬૩,૪૫૭ રૂપીયા એટલા હતા.
આમ યશ કન્સ્ટ્રકશનના ભાવ વી.સી.ઇન્ફ્રા. પ્રોજેકટસ કરતાં રૂા. ૧૧,૦૩,૪૦,૦૦૧ વધારે હતા એટલે ૧૧ કરોડ ૩ લાખ રૂપીયા નો ભાવ વધારો છે. તેથી એટલુ નાણાકીય નુકશાન પોરબંદર છાયા સંયુકત નગરપાલીકાને કરેલ છે. તેવો આક્ષેપ કરીને ઉમેર્યું છે કે, આમ કામના કન્સલ્ટન્ટ તરીકે ભુગર્ભ ગટર યોજનાનો મેગા પ્રોજેકટ સફળતાપુર્વક કર્યો હોય એને જ એપોઈન્ટ કરવા જોઈએ. વર્ક ઓર્ડર તાત્કાલીક રદ કરવામાં આવે એવી અમારી માંગણી છે. તથા ભ્રષ્ટાચારમાં સામેલ જે કોઈપણ પદાધીકારીઓ હોય તેની સામે અને સંબંધિત અધિકારીની સામે તટસ્થ તપાસ નીમીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અપીલ છે તેમ ઉમેર્યું હતું.