હરિયાણાથી પોરબંદર આવી પહોંચેલી મનોદિવ્યાંગ મહિલાનું ૧૮૧ અભયમ ટીમ દ્વારા પરિવારજનો સાથે મિલન કરાવવામાં આવશે
પોરબંદરના ટુકડા ગામમાંથી કોઈ જાગૃત નાગરીકે ૧૮૧ અભયમ માં ફોન કરી મદદ માંગી જણાવ્યુ હતું કે,કોઈ માનસિક અસ્થિર જણાતી મહિલા મળી આવી છે. તે રસ્તો ભુલી ગઈ છે. અને તેને મદદની જરૂર છે. તેથી અભયમની ટીમના કાઉન્સેલર મીનાક્ષીબેન સોલંકી,મહિલા કોન્સ્ટેબલ સજલબેન પંપાણીયા તુરંત સ્થળ પર પહોચી ગયા હતા. ત્યાં તેઓને જાણવા મળ્યું હતું કે મહિલા સાંજના સમયથી મધરાત્રી સુધી એક જ સ્થળ પર બેઠા હતા.
અભયમ ટીમે મહિલાને કાઉન્સેલિંગ કરતા તેઓ અન્ય રાજયમાંથી આવ્યા હોવાનું તથા , અલગ-અલગ ભાષામાંજુદા-જુદા નામ જણાવતા હતા. કોઈ ચોક્કસ માહિતી આપતા ન હતા. અને સતત ટ્રેનમાં પોરબંદર આવી ગયા હોવાનું બોલતા હતા. અને ત્યાથી ચાલતા ચાલતા ટુકડા ગામ પહોંચી ગયા હતા તેવી માહિતી આપી હતી. આથી ટીમે મહિલાનું વધુ કાઉન્સેલિંગ કરતા તેની પાસેથી એક નંબર મળી આવતા તે નંબર પર ફોન કરતા જાણવા મળ્યું હતું કે તે નંબર મહિલાના પતિનો જ હતો. આથી તેને મહિલા વિશે માહિતી આપી સહીસલામત હોવાનું જણાવ્યું હતું. મહિલા ના પતિએ જણાવ્યું હતું કે તેઓ હરિયાણાના કરનાલ જિલ્લામાં રહે છે. અને મહિલા માનસિક અસ્વસ્થ હોવાથી તેની દવા ચાલુ હોવાનું અને ૧૫ દિવસથી તેઓ ઘરેથી નીકળી ગયા હોવાનું જણાવ્યું હતું. અને બે-ત્રણ દિવસ માં પોરબંદર આવી ને તેને લઇ જશે તેવું જણાવ્યું હતું. આથી હાલ આ મહિલા ને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવ્યો છે.