પોરબંદર ના સુભાષનગર વિસ્તાર માં નશાબંધી ખાતા દ્વારા યોજાયેલ વ્યસનમુક્તિ શપથ સમારોહ માં ૭૮ વ્યસનીઓ એ નશો-વ્યસન છોડવાનો સંકલ્પ લીધો હતો.
નશાબંધી ખાતુ ગુજરાત રાજ્ય ગાંધીનગરના નિયામકના માર્ગદર્શનમા અધિક્ષક નશાબંધી ખાતા પોરબંદર દ્વારા “વ્યસન મુક્તિ શપથ” સમારોહ યોજાયો હતો. જેમા સુભાષનગર વિસ્તારના ૭૮ જેટલા વ્યસની નાગરિકોએ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાની પ્રેરક ઉપસ્થિતિમા નશો-વ્યસન છોડવાના સંકલ્પ લઇને અન્યને પણ પ્રેરણા પુરી પાડવા કટીબધ્ધ થયા હતા.
આ તકે જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી અને ખારવા સમાજના પ્રમુખ, નશાબંધી અમલીકરણ સમિતિના સભ્ય સહિત ઉપસ્થિત રહ્યા હતા.આ તકે નશાબંધી વિભાગ, જીલ્લા પોલીસ અને રેડક્રોસ ટીમને અભિનંદન અને નશામુક્તિના સંકલ્પકર્તાઓને ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામનાઓ જિલ્લા કલેકટર, ભાઇ રમેશભાઈ ઓઝા સહિતે પાઠવી હતી.
કલેકટર અશોક શર્માની પ્રેરણા અને સતત માર્ગદર્શનમા નશાબંધી ખાતાએ ઓગસ્ટ મહિનામાં પોરબંદર જિલ્લાના અતિ પછાત વિસ્તારમાં હર ઘર વ્યસન મુક્ત પરિવાર અંતર્ગત નશાબંધી વિષયક વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમા સુભાષનગર વિસ્તારમાં સ્વૈચ્છિક વ્યસન છોડવા ઈચ્છતા ૭૮ લોકોએ પ્રાર્થના હોલ સુભાષ નગર ખાતે આગેવાનોની હાજરીમાં પ્રતિજ્ઞા પત્રમાં સહી કરીને પ્રતિજ્ઞા લીધી કે આજ પછી કોઈપણ વ્યસન કરીશ નહીં.
આ તકે રમેશભાઇ ઓઝાએ વ્યસન છોડનાર લોકોને કહ્યુ કે, આજે તમે તમારા ઘરની માતા, પત્નિ, બહેન કે પુત્રીને મોટી ભેટ આપી છે. તેની આંખમાં જે આનંદ અને પ્રેમ છે, એના નશામાં રહો. પ્રામાણિકતાથી મહેનત કરો. તમારું વ્યસન ભૂલાઇ જશે. આજે તમારા સાથીઓ અને મેડિકલ ટીમ તમારી પડખે છે. પ્રોહીબીશન અધિકારી ગોહેલનો પરિશ્રમ આ સંકલ્પ મારા જન્મ દિવસની મોટી ભેટ છે.
તથા ભાઇએ કલેકટરને આશીર્વાદ આપતાં કહ્યું કે, અશોક શર્મા માત્ર સરકારી ફરજ નહીં પણ નિ:સ્વાર્થ જનસેવાના નિર્દોષ નશામાં રત છે અને આજીવન સેવાનો નશો રહે તેવા આશીર્વાદ આપ્યા હતા.
આ તકે કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષકે વ્યસન છોડનાર તમામને અભિનંદન પાઠવ્યા હતા. નશાબંધી અધિક્ષક પી.આર ગોહિલએ સર્વેનો આભાર માની નશામુક્તિની પ્રતિજ્ઞા લેવડાવ્યા હતા. જિલ્લા આરોગ્ય અધિકારી બીબી કરમટાએ વ્યસનમુક્તિની દવા વિશે માહિતી આપી હતી.