ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ગુજરાત રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. લોકશાહીના આ પર્વમાં તમામ મતદારો પોતાના મતદાન અધિકારોનો ઉપયોગ કરીને મતદાન કરે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિ માટે કાર્યક્રમ યોજવામાં આવે છે. પોરબંદર જિલ્લામાં સમાવિષ્ટ ૮૩- પોરબંદર અને ૮૪- કુતિયાણા વિધાનસભા બેઠક માટેની ચૂંટણી પ્રથમ તબક્કામાં તારીખ ૧. ડિસેમ્બરના રોજ યોજનાર છે.
લોકશાહીના આ પર્વમાં જિલ્લામાં નોંધાયેલા મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કરી અચૂક મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેકટર અશોક શર્માની ઉપસ્થિતિમાં પોરબંદર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ અને રેલી યોજાઇ હતી. આ રેલીમાં વિવિધ શાળાના ૨૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી જિલ્લા કલેકટર અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારી નિનામા, નિવાસી અધિક કલેકટર એમ.કે.જોશી, નાયબ ચૂંટણી અધિકારી હેતલ જોશી, જિલ્લા શિક્ષણ અધિકારી કણસાગરા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક નિલમ ગૌસ્વામી સહિત અધિકારીઓએ મતદાન જાગૃતિ રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી મતદાન જાગૃતિના વિવિધ બેનર્સ તથા સ્લોગન પ્રદર્શિત કરીને, મતદાન જાગૃતિના સૂત્રો ઉચ્ચારીને શહેરના વિવિધ માર્ગો પર ફર્યા હતા. આ પ્રસંગે કાર્યક્રમના સ્થળે અવસર લોકશાહીનો સેલ્ફી પોઇન્ટ ઊભું કરાયું હતું. જેમાં અધિકારીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકોએ અવસર લોકશાહીનો સેલ્ફી પોઇન્ટ સાથે સેલ્ફી લીધી હતી.







પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ સરકારી વિનયન કોલેજ રાણાવાવ દ્વારા અવસર લોકશાહીનો કેમ્પેઈન અંતર્ગત મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં કોલેજના અધ્યાપકો, વહીવટી સ્ટાફ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રેલી રાણાવાવ શહેરના મુખ્ય માર્ગો પર ફરી લોકશાહી પ્રત્યે જાગૃતતા કેળવાય અને વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિના સૂત્રોચાર સાથે રેલી કાઢવામાં આવી હતી. જાગૃત મતદાર એ સુદ્રઢ લોકશાહીનો આધારસ્તંભ છે એ ઉક્તિને સાર્થક કરવા મતદાનની આવશ્યકતાથી મતદારો જાગૃત થાય અને મતદાન કરી લોકશાહીને વધુ મજબૂત બનાવવા પોતાનું યોગદાન આપે એવી અપીલ કરવામાં આવી હતી. અવસર લોકશાહીનો અંતર્ગત સમગ્ર કાર્યક્રમનું આયોજન મતદાર સાક્ષરતા ક્લબ દ્વારા કોલેજના આચાર્ય કે.કે.બુધ્ધભટ્ટીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
તો બીજી તરફ શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ પોરબંદર દ્રારા સ્વિપ કાર્યક્રમ અંતર્ગત ૧૦૦ જેટલા દિવ્યાંગ ભાઈઓ તથા બહેનો માટે મતદાન અંગે જાગૃતતા કેળવાઈ તે હેતુથી મતદાન જાગૃતિ સેમિનાર યોજાયો હતો. આ સેમિનાર અંતર્ગત દિવ્યાંગોને મતદાન પ્રક્રિયા અંગે જાણકારી મળે તેમજ મતદાન પ્રક્રિયા સરળતાથી થઈ શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તથા વધુમાં વધુ મતદાન થાય તેવી અપીલ પણ કરી હતી.આ તકે સ્વિપના નોડલ અધિકારી પ્રશ્નાણી તથા પી.ડબલ્યુ.ડી અને સિનિયર સિટીઝનના નોડલ ઓફિસર વી.પી.સોલંકી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ચાવડા તેમજ ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળના સંચાલક કમલેશભાઈ ખોખરી ઉપસ્થિત રહ્યા હતા.



પોરબંદર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ અને રેલી યોજાઇ હતી. જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેકટર અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારી બી.ડી.નિનામા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હેતલ જોશી સહિત અધિકારીઓએ ઝંડી દ્વારા મતદાન જાગૃતિની રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમા જુદી જુદી શાળાઓના અંદાજે ૨૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. શહેરના જુદા જુદા માર્ગો પર ફરીને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મતદાન જાગૃતિની આ રેલી પરત આવી હતી. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવીને અંગ્રેજીમાં VOTE શબ્દાકૃતિ અંકિત કરી હતી. આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી અશોક શર્માના માર્ગદર્શનમાં જિલ્લા શિક્ષણ અધિકારી કણસાગરા, સંદીપ સોની સહિત વિવિધ શાળાના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

