દર વર્ષે નવરાત્રીમાં હજારો રૂપિયાનો ડ્રેસીંગ પાછળ ખર્ચ થતો હોય છે. તેના બદલે પોરબંદરમાં લોહાણા મિત્ર મંડળ દ્વારા વૃંદાવન રાસોત્સવનું આયોજન કરાયું છે. જેમાં ટ્રેડીશનલ ડ્રેસ વગર નવરાત્રી નું આયોજન કરાયું છે આ આયોજન અન્ય સમાજને અને આયોજકોને રાહ ચીંધે છે.
પોરબંદર લોહાણા મિત્રમંડળ દ્વારા દર વર્ષે વૃંદાવન રાસોત્સવ નું આયોજન કરવામાં આવે છે. સંસ્થા ના પ્રમુખ પરીમલભાઈ ઠકરારે જણાવ્યું હતું કે તેમની સંસ્થા દ્વારા છેલ્લા ૧૮ વર્ષ થી લોહાણા મહાજન વાડી ના પટાંગણમાં જ્ઞાતિજનો માટે મામૂલી ટોકન દરે રાસોત્સવ નું આયોજન કરવામાં આવે છે. જેનો હેતુ એ છે કે રઘુવંશી સમાજ ના દરેક લોકો એક છત નીચે પારિવારિક માહોલ માં રાસોત્સવ નો આનંદ લઇ શકે. અત્યારે કાળઝાળ મોંઘવારી ચાલી રહી છે ઉપરાંત દેખાદેખી બહુ જ વધી ગઈ છે. નવરાત્રી દરમિયાન પોતાના બાળકોને અતી મોંઘા અને ભારેખમ ડ્રેસિંગ પહેરાવવા માટે એક દિવસનું હજારો રૂપિયા ભાડું ખર્ચી નાખવામાં આવે છે.જે દરેક પરિવારો ને પરવડતું નથી. પરંતુ દેખા દેખી ના મોહમાં આર્થિક રીતે ખેંચાઈ અને કરવું પડતું હોય છે.
આથી સંસ્થા દ્વારા ગત વર્ષે પ્રાયોગીક ધોરણે ડ્રેસિંગ વગર રાસોત્સવ રમાડવામાં આવતા ખુબજ સુંદર પ્રતિસાદ સાંપડયો હતો, ઘણા વાલીઓએ પોતાના હજારો રૂપિયા ની બચત થઇ હોવાનું જણાવ્યું હતું.તે રીતે હિસાબ કરીએ તો સમગ્ર નવરાત્રી દરમિયાન સમાજના લાખો રૂપિયા બચી શકે, આથી એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વર્ષે પણ રાસોત્સવ માં ખેલૈયાઓએ કોઈપણ જાતનું ડ્રેસિંગ કરી અને રમવાનું નહિ. પરંતુ રોજીંદા તેમજ સિમ્પલ કપડામાં પણ ગરબા રમી શકશે
જેનાથી જે ખેલૈયા ઓ ખરેખર સારું રમે છે. તેનું સિલેક્સન થઈ જશે. અને જ્ઞાતિમા દરેક પરિવારોને ખોટા ડ્રેસિંગના ખર્ચ થી રાહત રહેશે.પરિમલભાઈ એ જણાવ્યું હતું કે અમારા આ વિચાર માંથી અન્ય આયોજકોએ પણ શીખ લઈ અને અનુકરણીય કાર્ય કરવું જોઈએ. આપ ઝાકઝમાડવાડુ ખૂબ જ મોંઘુ ડ્રેસિંગ કરીને આવો તેનાથી અમોને કોઈ વાંધો નથી. પરંતુ દરેક પરિવારોને આ પોસાતું હોતું નથી. માટે આપના પૈસાનો બચાવ થાય અને આપ નવરાત્રી નો આનંદ નિર્દોષ રીતે માતાની ભક્તિ અને શક્તિ દ્વારા કરી શકો તેમ પરિમલભાઈ ઠકરારે સમાજને અપીલ કરતા જણાવ્યું છે. સંસ્થા ના આ નિર્ણય ને જ્ઞાતિજનો એ પણ વધાવ્યો છે.