પોરબંદર માં ઇન્કમટેક્સ ના અધિકારીઓ નો કાફલો ત્રાટક્યો હોવાની અફવા ફેલાતા અનેક લોકો ના શ્વાસ અધ્ધર થયા હતા જો કે અધિકારીઓ દ્વારકા દર્શન કરી પોરબંદર માં ભોજન કરી સોમનાથ જવા રવાના થયા હોવાનું જાણવા મળે છે.
પોરબંદર ચોપાટી ખાતે આવેલ હોટલ પાસે આજે બપોર ના સમયે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા,જોઈન્ટ કમિશ્નર ઓફ ઇન્કમટેક્સ લખેલી ૨ કાર પડી હતી. જે નિહાળી કોઈએ ૧૭ ગાડીઓ ના કાફલા સાથે પોરબંદર માં ઇન્કમટેક્ષ અધિકારીઓ ના ધામા અને દરોડા હોવાની અફવા ફેલાવી હતી. જેના કારણે શહેરમાં કોઈ પણ સ્થળે ઈન્કમટેક્સના દરોડા પડ્યા ન હોવા છતાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
શહેરના અનેક વેપારીઓ અને ઉદ્યોગકારોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે પ્રાથમિક માહિતી અનુસાર ઇન્કમટેક્ષ વિભાગ ના ૩ થી ૪ જ વાહનો હતા. જેમાં અધિકારીઓએ દ્વારકા દર્શન કરી પોરબંદર ની હોટલ ખાતે ભોજન લીધું હતું. અને ત્યાર બાદ સોમનાથ તરફ જવા રવાના થયા હતા. જો કે આઈટી ના દરોડા ની અફવા ના પગલે દરોડા માં અનેક રાજકીય આગેવાનો અને મોટા ઉદ્યોગપતિઓના નામો પણ ચર્ચાઈ રહ્યા હતા અંતે આ એક અફવા હોવાનું સામે આવતા અનેક લોકો એ રાહત નો શ્વાસ લીધો હતો.