પોરબંદરના આદિત્યાણા ગામે વર્ષ ૨૦૧૮માં ડબલ મર્ડરના ગુન્હામા કાચા કામના કેદી તરીકે જામનગરની જેલમાં સજા ભોગવતો શખ્શ વચગાળાના જામીન પર છૂટયા બાદ મે ૨૦૨૩ના ફરાર થઇ ગયો હતો જેને પોરબંદર પેરોલ ફર્લો સ્કવોડની ટીમે થરાદ ખાતેથી પકડીને જામનગર જેલમાં મોકલી આપ્યો છે.
પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પેરોલ, ફર્લો, વચગાળાના જામીન ઉપરથી ફરાર, પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપીઓ પકડી પાડવા સારુ સૂચના કરવામાં આવેલ તેમજ તા. ૧૫-૪-૨૦૨૫ થી તા. ૩૦-૪-૨૦૨૫ સુધી પેરોલ ફર્લો, વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીઓને પકડવા અંગે ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.એમ. જાડેજા તથા પેરો ફર્લો સ્કવોડના માણસો પ્રયત્નશીલ હતા.
તે દરમ્યાન એ.એસ.આઈ. જે.આર. કટારા તથા પી.કે. બોદર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વજશીભાઈ વરૂ તથા પીયુષભાઈ સીસોદીયાને સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે રાણાવાવ પોલીસ સ્ટેશનના ડબલ મર્ડરના ગુન્હાના આરોપી આદિત્યાણાના માલદે ગીગા ઓડેદરા, ઉ.વ.૨૮ જામનગર જિલ્લા જેલ ખાતે કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા હોય અને હાઇકોર્ટ દ્વારા વચગાળાના જામીન પર છોડવામાં આવેલ હોય અને મજકુરને ગઈ તા. ૧૬-૫-૨૦૨૩ના રોજ જામનગર જિલ્લા જેલ ખાતે હાજર થવાનું હતુ. પરંતુ મજકુર આરોપી હાજર થયેલ ન હોય અને ફરાર થયેલ જે આરોપી, કેદી હાલ વાવ થરાદ જિલ્લાના થરાદ ગામે હોવાની હકીકત મળતા ત્યાં જઈ તપાસ કરતા મજકુર આરોપી મળી આવતા પકડી જામનગર જિલ્લા જેલ ખાતે આગળની સજા કાપવા સારુ મોકલી આપેલ છે.
શું હતો ડબલ મર્ડર નો સમગ્ર મામલો
રાણવાવ તાલુકા ના આદિત્યાણા ગામે ૧૫ એપ્રિલ ૨૦૧૮ ની મોડી રાત્રે રાણાવાવ પાલિકાના નગર સેવક હાજા વિરમ ખુંટી અને ભાજપના કાર્યકર કાના ભૂરા કડછાની હત્યા કરવામાં આવી હતી.હત્યા કરનાર પણ ભાજપ અગ્રણી અને રાણાવાવ પાલિકા ના વિરોધ પક્ષ ના નેતા વીંજા રામદે મોઢવાડિયા તેના બે ભાણેજો કરણ કેશુ ઓડેદરા અને જયમલ કેશુ ઓડેદરા તેમજ અન્ય શખ્શો કાના બાબુ ઓડેદરા,હમીર મોઢવાડિયા ,માલદે ગીગા ઓડેદરા,કેશુ અરજણ ઓડેદરા,તથા એક અજાણ્યો માણસ સહીત આઠ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે તમામ શખ્સોએ તીક્ષ્ણ હથિયાર,લાકડી,ધોકા જેવા હથિયારો થી હુમલો કરતા નગરસેવક હાજા વિરમ ખુંટીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે કાના કડછાને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજતા બનાવ બેવડી હત્યામાં પલટાયો હતો.
ડબલ મર્ડર ની આ ઘટના માં મૃતક કાનાભાઈ કડછા ના પત્ની ગીતાબેન કે જેમને આ બનાવ માં ઈજાઓ થઇ હતી તેઓને ફરીયાદી બનાવી અને પોલીસે ફરિયાદ નોંધી હતી જેમાં એવું જણાવ્યું હતું કે મુખ્ય આરોપી અને પાલિકા નો વિરોધપક્ષ નો નેતા વીંજા રામદે મોઢવાડિયા પોતાની સાથે ધરાર ભળી જવા દબાણ કરે છે મૃતક કાનાભાઈ એ અને હાજાભાઇ એ તેની સાથે ભળવા ની ના પાડી હોવાથી તેનું મનદુઃખ રાખી અને વીંજા ઉપરાંત તેના બે ભાણેજો કરણ કેશુ ઓડેદરા અને જયમલ કેશુ ઓડેદરા તેમજ અન્ય શખ્શો કાના બાબુ ઓડેદરા,હમીર મોઢવાડિયા ,માલદે ઓડેદરા,કેશુ અરજણ ઓડેદરા,તથા એક અજાણ્યો માણસ સહીત આઠ શખ્સો ગઈ કાલે રાત્રે ગેરકાયદે મંડળી રચી અને છરી,લોખંડ ના પાઈપ અને ધોકા જેવા હથિયારો સાથે ઘસી આવ્યા હતા અને પોતાના પુત્ર કરણ ની હત્યા નો પ્રયાસ કર્યો હતો અને પોતાના પર પણ હુમલો કર્યો હતો ઉપરાંત તેના પતી કાનાભાઈ અને પાલિકા ના નગરસેવક હાજાભાઇ ની હત્યા નીપજાવી હતી હત્યા બાદ મોટા ભાગ ના આરોપી ઝડપાઈ ગયા હતા અને હાલ જેલ માં જ છે જેમાં માલદે વચગાળા ના જામીન મેળવી ફરાર થયો હતો જેને પોલીસે ઝડપી લીધો છે.