પોરબંદરમાં ચોપાટી ખાતે ભાઈશ્રીના સાનિધ્યમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે. જેમાં વિવિધ ધાર્મિક,સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોકડાયરામાં ભીખુદાન ગઢવી, કીર્તીદાન ગઢવી, રાજભા ગઢવી રંગ જમાવશે.
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા તા.૧૨/૩/૨૦૨૩ થી તા.૧૯/૩/૨૦૨૩ સુધી પોરબંદર ખાતે શ્રીમત ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર વિસ્તારના સર્વે સમાજના સર્વાંગી વિકાસ તેમજ જનજાગૃતિ અર્થે રાષ્ટ્રીય સંત ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની અમૃતવાણીમાં પોરબંદરના ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સાપ્તાહિક મહોત્સવ-૨૦૨૩ હેઠળ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન હાથ ધરેલ છે આ ભાગવત સપ્તાહનો સમય બપોરે ૩:૩૦ થી સાંજે ૭:૦૦ વાગ્યાનો સમય રાખેલ છે.
આ સાપ્તાહિક કાર્યક્રમમાં ભાગવત સપ્તાહ સાથે કૃષિ અને ઉદ્યોગ મેળો, મેડિકલ કેમ્પ, રક્તદાન કેમ્પ સાથે વિવિધ તજજ્ઞો દ્વારા વ્યસનમુક્તિ, ખેતી, અંધશ્રદ્ધા સહિતના વિષયો ઉપર માર્ગદર્શન પૂરું પાડશે. તેમજ દરરોજ રાત્રે વિવિધ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક તેમજ લોકડાયરાના કાર્યક્રમમાં તા.૧૨/૩/૨૦૨૩ ના રોજ વિશ્વ પ્રસિદ્ધ મણીયારો રાસ તથા દાંડિયા રાસનું આયોજન કરી વિશ્વ વિક્રમ પ્રસ્થાપિત કરવામાં આવશે.
તા.૧૩/૩/૨૦૨૩ પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી તથા જયદેવભાઈ ગોંસાઈ. તા.૧૪/૩/૨૦૨૩ ના રોજ દેવરાજભાઈ ગઢવી (નાનો ડેરો) તથા કવિ શ્યામભાઈ ગઢવી, તા.૧૫/૩/૨૦૨૩ ના રોજ દેવરાજભાઈ ગઢવી ( ઉપલેટા) તથા કાજલબેન પટેલ, તા.૧૬/૩/૨૦૨૩ ના રોજ કિર્તીદાનભાઈ ગઢવી, તા.૧૭/૩/૨૦૨૩ ના રોજ ભીમાભાઇ ઓડેદરા (કાનગોપી) તથા તા.૧૮/૩/૨૦૨૩ ના રોજ રાજભા ગઢવીના કાર્યક્રમ દરરોજ રાત્રે ૯:૦૦વાગ્યે ચોપાટી ગ્રાઉન્ડ ઉપર આયોજિત કરવામાં આવશે. પોરબંદર ખાતે આયોજિત આ સાપ્તાહિક કાર્યક્રમમાં પધારવા પોરબંદરની જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.