પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન સંસ્થાના પ્રણેતા, પરમ ભાગવત કથાકાર, શિક્ષણના ક્ષેત્રમાં અવિરત સેવા આપનારા રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાનો પ્રાગટ્ય દિવસ પ્રતિવર્ષ સેવાદિવસ તરીકે ઉજવવામાં આવે છે.
એ ઉપક્રમમાં આ વર્ષે તા.૩૧-૦૮-૨૨, બુધવારના ગણેશ ચતુર્થીના પાવન દિવસે પોરબંદર, ગુજરાત, દેશના અનેક શહેરોમાં અને વિશ્વના કેટલાય દેશોમાં અનેક સેવાકીય સામાજિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દ્વારા પૂજ્ય ભાઇશ્રીનો ૬૫મો પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવશે.
આ અવસરે સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રી હરિ મંદિરમાં પૂજ્ય ભાઈશ્રીના દીર્ઘાયુ અને નિરામય જીવન માટે વર્ધાપન પૂજન કરવામાં આવશે. આ સાથે ગણેશ ચતુર્થીના પાવન દિવસે સાંદીપનિ યજ્ઞશાળામાં ગણપતિ યાગ સંપન્ન થશે. આ અવસરે વિશેષતઃ મુંબઈથી બેન્ડ પાર્ટી ઉપસ્થિત રહેશે જે ગણપતિજીના ભક્તિગીતો ઉપર સૂરાવલિ ઓ પ્રસ્તુત કરશે.
પૂજ્ય ભાઇશ્રીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે દર વર્ષે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે. એમ આ વર્ષે પણ પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડમાં સાંદીપનિ ઋષિકુળ અને ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા સફાઈ કરવામાં આવશે. જેમાં નગરપાલિકાના સભ્યો, શહેરના આગેવાનો તથા બ્રહ્મસમાજના સભ્યો પણ આ અભિયાનમાં જોડાશે… ઉલ્લેખનીય છે કે પૂજ્ય ભાઇશ્રી દ્વારા કથાના માધ્યમથી અનેક શહેરોમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરીને લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરતા આવ્યા છે.
પૂજ્ય ભાઇશ્રીનો આ વર્ષે ૬૫મો પ્રાગટ્ય ઉત્સવ હોય, સાંદીપનિ સંકુલમાં પૂજ્ય ભાઇશ્રીની પ્રેરણાથી અધ્યાપકશ્રીઓ અને ઋષિકુમારો દ્વારા ૬૫ વૃક્ષારોપણ પણ કરવામાં આવશે.
વર્તમાન સમયમાં લમ્પી વાયરસના કહેરથી દિવસે દિવસે અનેક ગાયો અને પશુઓ રોગગ્રસ્ત થઈ રહ્યા છે ત્યારે પોરબંદરમાં લમ્પી રોગગ્રસ્ત પશુઓને ગાયોને બચાવવા માટે જે કેમ્પ ચાલી રહ્યો છે એમાં તા.૩૧-૦૮-૨૨ના રોજ સેવા દિવસ નિમિત્તે સાંદીપનિ વિદ્યાનિકેતન સંસ્થા દ્વારા તમામ લમ્પી રોગગ્રસ્ત ગાયોને ઔષધિ યુક્ત લાડુ ખવડાવવામાં આવશે.
સાંસ્કૃતિક કાર્યક્રમ
તા. ૩૧-૦૮-૨૨, બુધવારના રાત્રે પૂજ્ય ભાઇશ્રીના પ્રાગટ્ય ઉત્સવના અવસરે જેતપુરના સુપ્રસિદ્ધ ભજનકલાકાર નારણભાઇ ઠાકર દ્વારા પૂજ્ય ભાઇશ્રીની પાવન ઉપસ્થિતિમાં ભજનોની પ્રસ્તુતિ થશે. આ રાત્રિ સાંસ્કૃતિક કાર્યક્રમનો લાભ લેવા માટે સૌ ભાવિકોને જાહેર નિમંત્રણ આપવામાં આવે છે.