ઓખા નજીક દરિયા માં ખલાસી ને પેરેલીસીસનો હુમલો આવતા કોસ્ટગાર્ડ ની પેટ્રોલિંગ શીપ તુરંત મદદે દોડી ગઈ હતી. અને ખલાસી ને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ઓખા ખાતે લઇ જવામાં આવ્યો છે.
પોરબંદર ખાતે કોસ્ટગાર્ડ ના મેરીટાઇમ રેસ્ક્યુ સબ સેન્ટર ને તા 29 ઑક્ટોબર ના રોજ બપોરે ચારેક વાગ્યે જલજ્યોતિ નામની ફિશિંગ બોટ પર તબીબી કટોકટી અંગે વીએચ એફ મારફત મદદ માંગવામાં આવી હતી. જેથી સેન્ટર દ્વારા બોટ ના લોકેશન અંગે તપાસ હાથ ધરતા આ બોટ ઓખાથી 30 માઈલ દૂર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ઓખા ખાતેના કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર અને પેટ્રોલિંગ મિશન માટે તે વિસ્તારમાં કાર્યરત ફાસ્ટ ઇન્ટરસેપ્ટર શિપ ચાર્લી-૪૧૧ ને તુરંત રવાના કરાતા 4:30 વાગ્યે શીપ ત્યાં પહોંચી ગયું હતું.
અને પેરેલીસીસ નો હુમલો આવેલા દર્દી ને બોટ માંથી બહાર કાઢી કોસ્ટગાર્ડ ના શિપ પર લઈ જવામાં આવ્યો હતો. અને અહી કોસ્ટગાર્ડ ની તબીબી ટીમ દ્વારા પ્રારંભિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી. ત્યાર બાદ 5:30 વાગ્યે શીપ ઓખા બંદરે પહોંચ્યું હતું. તે દરમ્યાન ઓખા ના કોસ્ટગાર્ડ ડીસ્ટ્રીકટ હેડ ક્વાર્ટર નં ૧૫ એ દ્વારકા સરકારી હોસ્પિટલ નો સંપર્ક કરી દર્દી અંગે જાણકારી આપી હોવાથી બંદર ખાતે મેડિકલ ટીમ સાથેની એક કોસ્ટગાર્ડ એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય હતી. જેથી તુરંત તેને સારવાર માટે હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળે છે.