પોરબંદર જિલ્લામાં ફટાકડા ફોડવા અંગે જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું
દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતિ માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે પોરબંદર જિલ્લાના વિસ્તારમાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયત્રંણ મુકવું જરૂરી જણાય છે. જેથી એમ.કે.જોષી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, પોરબંદરએ જિલ્લાની હદમાં નીચે મુજબના કૃત્યોનું ચુસ્તપણે પાલન કરવા માટે જાહેરનામું બહાર પાડ્યુ છે. આ જાહેરનામું તા.૧૮ ઓકટોબરથી તા.૨૫ નવેમ્બર સુધી અમલમાં રહેશે.
જે મુજબ દિવાળી તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા ફોડવામાં આવે છે તેમાં ફટાકડા રાત્રે ૨૦.૦૦ થી ૨૨.૦૦ સુધી જ ફોડી શકાશે. તેમજ ક્રિસમસ તથા નૂતન વર્ષના તહેવારમાં રાત્રે ૨૩.૫૫ કલાકથી ૦૦.૩૦ કલાક સુધી જ ફોડી શકાશે.હાનિકારક ધ્વની પ્રદુષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા ધ્વારા અધિકૃત બનાવટ વાળા અને માન્ય ધ્વની સ્તર (Decibel level) વાળા જ ફટાકડા વેચી/વાપરી શકાશે. PESO ધ્વારા એવા અધિકૃત/માન્ય ફટાકડાના દરેક બોકસ ઉપર ”PESO ની સુચના પ્રમાણેનું’ માર્કિંગ હોવું જરૂરી છે.
હોસ્પીટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી.કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં, રાખી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહી. ઈ—કોમર્સ વેબસાઈટ ફલીપકાર્ટ, એમેઝોન સહીતની કોઈપણ ઈ-કોમર્સ વેબસાઈટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર લઈ શકાશે નહી, ઓનલાઈન વેચાણ કરી શકાશે નહી.
સીરીઝમાં જોડાયેલા ફટાકડા (ફટાકડાની લૂમ) થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહીં, ફોડી શકાશે નહીં કે વેચાણ કરી શકાશેનહી. લોકોને અગવડ ઉભી ન થાય, કોઈ ભયજનક પરિસ્થિતીનું નિર્માણ ન થાય તે માટે પોરબંદર જિલ્લાના ચોપાટી, અસ્માતવતી રીવર ફ્રન્ટ, બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પમ્પ, એલપીજી બોટલિંગ પ્લાન્ટ, એલ.પીજી ગેસના સ્ટોરેજ તથા અન્ય સળગી ઉઠે તવા પદાર્થોંના સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઈમથકની નજીક ફટાકડા ફોડી શકાશે નહી.
કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન(ચાઈનીઝ તુકકલ/આતશબાજ બલુન) નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહી. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા કરવાનું રહેશે. આ વેપારીઓએ નામદાર સુપ્રિમ કોર્ટના તા.૨૩/૧૦/૨૦૧૮ ના આદેશ મુજબ માન્ય રાખવામાં આવેલ ફટાકડાનું જ વેચાણ કરવાનું રહેશે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ તથા આઈ.પી.સી. કલમ–૧૮૮ માં જણાવેલ શિક્ષાને પાત્ર રહેશે.