પોરબંદર નજીક મોઢવાડા ગામના વૃધ્ધને બિમારી સબબ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યાર બાદ વધુ સારવાર માટે ઓકસીજનનો બાટલો આપીને રાજકોટ લઇ જવાતા હતા. ત્યારે રસ્તામાં જ આ બાટલો ખલાસ થઇ ગયો હોવાથી ઉપલેટા નજીક પહોંચ્યા ત્યારે તેમનું મોત થતા આ બનાવ અંગે કોંગ્રેસ દ્વારા આક્રોશ ઠાલવીને ઉગ્ર રજુઆત કરવામાં આવી છે.
પોરબંદર નજીકના મોઢવાડા ગામે રહેતા કાન્તિગીરી ગોસ્વામી નામના 70 વર્ષીય વૃધ્ધને બિમારી સબબ સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અને ત્યાં તેની પરિસ્થિતિ વધુ ગંભીર બનતા ઓકસીજનના બાટલા સાથે તેને સારવાર માટે રાજકોટ લઇ જવાતા હતા. પરંતુ ઉપલેટા પાસેજ ઓકસીજનનો બાટલો ખલાસ થઇ ગયો હતો. આથી કોંગ્રેસના આગેવાન રામદેવભાઇ મોઢવાડીયાને જાણ કરવામાં આવતા તેમણે ધારાસભ્ય લલિતભાઈ વસોયાને જાણ કરી હતી.અને ધોરાજી ખાતે વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
પરંતુ કાન્તિગીરી ત્યાં પહોંચે તે પહેલાં જ તેનું કરૂણ મોત નીપજ્યું હતું. મોઢવાડાના લીરબાઇ માતાજીના મંદિરના પૂજારીના ભાઇ એવા કાન્તિગીરી ગોસ્વામીનું તંત્રની બેદરકારીના કારણે મોત થયાનો ગંભીર આક્ષેપ કરીને રામદેવભાઇએ ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરી જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલનું રેઢિયાળ તંત્ર બેદરકારી કરી રહ્યું છે. પંદર દિવસ પહેલાં પણ એક દર્દીને આ રીતે વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાતા રસ્તામાં જ ઓકસીજનનો બાટલો ખલાસ થઇ ગયો હતો. અને તેનું પણ મોત થયું હતું. સરકારી હોસ્પિટલમાં રાષ્ટ્રીય સંત રમેશભાઇ ઓઝા દ્વારા હજારો લીટરનો ઓકસીજનનો ટેન્ક અપાયો છે. એટલું જ નહીં પરંતુ ઓકસીજનના બાટલા પાછળ તોતીંગ ખર્ચ કરવામાં આવે છે.. તેમ છતાં ઓકસીજનના અભાવે જો દર્દીઓ મૃત્યુ પામતા હોય તો તેના માટે જવાબદાર કોણ તેવો સવાલ ઉઠાવીને સિવિલ હોસ્પિટલના બેદરકાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક હાથે પગલા લેવા જોઇએ તેવી માંગ કરી હતી. અને આ પ્રકારના વારંવાર બનતા બનાવોમાં જે કોઇ સ્ટાફ સંડોવાયો હોય તેમને પણ ઘરભેગા કરવો જોઇએ તેવી માંગણી પણ કરી છે.
આ અંગે સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. નિલેશ મકવાણાને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતુંકે, આ બનાવ અંગે પૂરતી તપાસ કરવામાં આવશે.ક્યા સ્ટાફ ની ચૂક થઈ છે તે અંગે તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.