પોરબંદર નજીકના મોઢવાડા ગામે આગામી શુક્રવારે સર્વરોગ નિદાન અને મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડાયાબીટીશ તથા વિટામીનના રીપોર્ટ માટેની લેબોરેટરીની વ્યવસ્થા પણ સ્થળ ઉપર જ કરી આપવામાં આવશે.
પોરબંદર હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડીયાએ જણાવ્યું છે કે, જિલ્લા આરોગ્ય અધિકારી તથા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે સ્વ. મહેશભાઇ માલદેભાઇ મોઢવાડિયાની પુણ્યતિથિ નિમિત્તે સર્વરોગ નિદાન તથા મહા રકતદાન કેમ્પનું આયોજન તા. તા. ૩ને શુક્રવારે સવારે ૯ થી સાંજે ૪ સુધી મોઢવાડા ગામે આવેલ લીરબાઇ માતાજીના મંદિરે કરાયું છે. જીલ્લા ના અનેક દર્દીઓ કેન્સર, કિડની, હૃદયરોગ સહિતની ગંભીર બિમારીઓની સારવાર અર્થે અમદાવાદ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં જતા હોય છે. ત્યારે આવા દર્દીઓને સારવાર માટે લોહીની જરૂરિયાત ઉભી થાય છે. ત્યારે સત્વરે અને સરળતાથી લોહી મળી રહે તેવા આશયથી અમદાવાદ સિવિલ હોસ્પિટલના લાભાર્થે મહારકતદાન કેમ્પનું આયોજન પણ કરાયું છે.
જેમાં જિલ્લાના સેવાભાવી રકતદાતાઓને મોટી સંખ્યામાં રકતદાન કરવા માટે ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે. સાથે સાથે ગ્રામ્ય વિસ્તારના દર્દીઓના લાભાર્થે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં ભાવસિંહજી હોસ્પિટલ તેમજ જિલ્લા આરોગ્ય વિભાગના નિષ્ણાંત તબીબો તેમઅન્ય નિષ્ણાંત તબીબો આ કેમ્પમાં ઉપસ્થિત રહીને બાળરોગ, ચામડીના રોગો, હાડકાના રોગો, સ્ત્રી રોગ, આંખ-કાન-નાક અને ગળાના સહિતના રોગોનું નિદાન નિઃશુલ્કપણે કરી આપશે. તેમજ જરૂરી દવાઓ પણ સ્થળ પર જ વિનામૂલ્યે આપવામાં આવશે. તેમજ ડાયાબીટીશ અને વિટામીન ડેફીશીયન્સીના રીપોર્ટ કરવા માટેજરૂરી લેબોરેટરીની સુવિધા પણ સ્થળ પર જ રાખી છે. આ કેમ્પમાં દર્દીઓના નામ સ્થળ પર જ નોંધવામાં આવશે તેમજ દર્દીઓએ અગાઉના રીપોર્ટ સાથે લઇ આવવા જણાવ્યું છે. આ મહારકતદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પમાં પધારનાર સર્વે રકતદાતાઓ અને દર્દીઓ સૌ માટે પ્રસાદીની વ્યવસ્થા સ્થળ પર જ રાખવામાં આવી છે